Archive for January, 2009

ગાયનું છાણ, ગાયનું દુધ

January 31, 2009

ગાયનું છાણ ૧૦૦ ગ્રામ ગોબર રસ અને ૩૦૦ ગ્રામ તલનું તેલ માત્ર તેલ બાકી રહે ત્યાં સુધી ઉકાળવું. એ તેલનાં રાત્રે આંખમાં ટીપાં મુકવાથી ચશ્મા દુર થાય છે.

ગાયનું દુધ હળદર નાખી પીવાથી સ્વરપેટીના રોગ મટે છે. એમાં ગાયનું ઘી નાખી સાંજે પીવાથી કમજોરી અને કબજીયાત દુર થાય છે. ગાયના દુધનું દહીં બનાવી એની છાસમાં મીઠો લીમડો નાખી પીવાથી કૉલેસ્ટરોલ અને જાડાપણું મટે છે.

ગાંધી બાપુને અંજલી

January 30, 2009


હે દિવ્ય આલોકિત બાપુ

હે દિવ્ય આલોકિત બાપુ

પ્રેમે અંજલિ આજે આપું

દૂર કર્યું અંધારું આવી,

દશે દિશામાં રહ્યો પ્રકાશી

તારી ઉગ્ર તપસ્યાને અંજલિ આપું. ..પ્રેમે

પેટાવ્યા તેં અનેક દિવા

રહ્યા પ્રકાશી તે પણ એવા

તારી દૂરંદેશીને અંજલી આપું પ્રેમે

ઝળહળતો પ્રકાશ થયો

આજ અરેરે ક્યાંયે અલોપ

તારા દિવ્ય તેજને આજે અંજલિ આપુંતેજ વેરાયું અવનિ માંહી

ઘટ ઘટમાં તે રહ્યું પ્રકાશી

તારી માનવતાને અંજલિ આપું ..

ગાયનું ઘી

January 30, 2009

ગાયનું ઘી એ સ્મરણ શક્તી, બુદ્ધી, જઠરાગ્ની, વીર્ય, ઓજસ, કફ તથા મેદને વધારનાર છે. તે વાયુ, પીત્ત, ઝેર, ઉન્માદ, શોષ તથા તાવનો નાશ કરે છે. પચી ગયા પછી મધુર અને આંખ માટે હીતકારી છે. એ માટે એને પગના તળીયે ઘસવું જોઈએ. જો આંખો નબળી હોય, તેમાં દાહ અને ખંજવાળ હોય તો ગાયનું ઘી લાંબા સમય સુધી ૧૫ મીનીટ ઘસવું. આંખ તેજસ્વી અને સ્વસ્થ બની જશે. એનો અખંડ દીવો જ્યાં ચાલુ હોય ત્યાં કોઈ ઝેરી જનાવર રહેતું નથી. ૧૦ ગ્રામ ઘીના દીવાથી ૧ ટન ઑક્સીજન મળે છે. ઘીનાં ટીપાં સવારે નાકમાં મુકવાથી કફ નહીં થાય, બપોરે મુકવાથી પીત્ત અને સાંજે મુકવાથી વાયુ થશે નહીં. શરદી, માથાનો દુખાવો અને અનીદ્રા મટાડવા ગાયનું ઘી ઉત્તમ છે. પગના તળીયે ઘી ઘસવાથી ઉંઘ સારી આવે છે. આપણા આહારમાં જો ઘી, તેલ, માખણ જેવાં સ્નેહદ્રવ્યો તદ્દન બંધ કરી દેવામાં આવે તો શરીરમાં વાયુની વૃદ્ધી, મંદાગ્ની, કૃશતા, શુષ્કતા તથા વાયુની વૃદ્ધીના કારણે થતા આવેશ, ઉતાવળાપણું, કંપ અને ઉન્માદ જેવી વીકૃતીઓ ઉત્પન્ન થાય છે. વાયુ પ્રકૃતીવાળા માટે એટલે જ ઘીનું સેવન અત્યંત જરુરી છે. ઘી મનુષ્યની જ્ઞાનશક્તી, સ્મૃતી, બુદ્ધી, હીંમત અને બળ વધારે છે તેમ જ શરીરને પોષણ આપનાર શ્રેષ્ઠ તત્ત્વ છે. તે પ્રકુપીત થયેલા વાયુનું શમન કરે છે. ક્ષીણ થયેલા કફને વધારે છે તથા જઠરાગ્નીને પ્રદીપ્ત કરી પીત્તનું પ્રમાણ જાળવે છે. આમ શરીરનાં વાત, પીત્ત અને કફ ત્રણે દોષ માટે ઘી પોષણરુપ હોવાથી શ્રેષ્ઠ ટોનીક છે. એક વર્ષ જુનું ઘી ત્રણે દોષો મટાડે છે. તે મુર્ચ્છા, કોઢ, ઝેર, ઉન્માદ, અપસ્માર-વાઈ તથા તીમીર(આંખનો એક રોગ)નો નાશ કરે છે. આવું જુનું ઘી ધીમે ધીમે જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે અને આમનો નાશ કરે છે. તેમ જ કોઢ, નેત્રશુળ, કર્ણશુળ, મુર્ચ્છા, સોજા, હરસ, ઉન્માદરોગ અને યોનીદોષમાં ફાયદાકારક છે. આયુર્વેદમાં મુખ્ય આઠ પ્રકારનાં ઘીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દરેક ઘી જેમ જેમ વધારે જુનાં થાય તેમ તેમ તે વધારે ગુણકારી બને છે, પરંતુ રોજીંદા આહારમાં, તર્પણમાં, પરીશ્રમ કર્યા બાદ બળના ક્ષયમાં, પાંડુરોગ, કમળો, નેત્રરોગ તથા સામાન્ય સ્વસ્થ મનુષ્ય માટે તો તાજું ઘી જ સર્વશ્રેષ્ઠ ગણાય છે. ઔષધોપચારની દૃષ્ટીએ જ જુનું ઘી વધારે હીતકારી છે. રોજીંદા ઉપયોગમાં નવું ઘી ગુણકારી છે.

ગાજર

January 29, 2009

ગાજર ગાજરમાંથી વીટામીન મળે છે, જે રોગ પ્રતીકારક શક્તીમાં વધારો કરે છે. દરરોજ એક કપ રાંધેલાં ગાજર ખાવાં જોઈએ. રાંધવાથી ગાજરના કડક કોષો નરમ અને સુંવાળા બને છે. તેથી ગાજરમાંથી મળતાં પૌષ્ટીક તત્ત્વો શરીરમાં બરાબર શોષાય જાય છે અને તેનો પુરેપુરો લાભ આપણે મેળવી શકીએ છીએ. ગાજર મધુર, સહેજ કડવાં, તુરાં, તીક્ષ્ણ, ઉષ્ણ, અગ્નીને પ્રદીપ્ત કરનાર અને પચવામાં હલકાં છે. એ ઝાડાને રોકનાર, રક્તપીત્ત, હરસ, સંગ્રહણી, વાયુ, કફ, રક્તાલ્પતા અને રતાંધણાપણાને મટાડે છે. સોજા આવ્યા હોય તો નમક અને ખટાશ વગરનું ગાજરનું શાક દરરોજ ખાવાથી લાભ થાય છે. શ્વાસ અને હેડકીમાં ગાજરના રસનાં પાંચ-સાત ટીપાં નાકમાં નાખવાથી લાભ થાય છે. ઘી કે તલના તેલમાં ગાજરનું શાક દાડમનો રસ નાખી દહીં સાથે ખાવાથી હરસ મટે છે.

ગંઠોડા

January 28, 2009

ગંઠોડા પીપરીમુળના ગંઠોડા જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, લઘુ, તીખા, ઉષ્ણ, રુક્ષ, પીત્ત કરનાર અને મળને ભેદનાર-તોડીને કાઢનાર છે. તે કફ, વાયુ, ઉદરરોગ, બરોળની વીકૃતી, ગૅસ, આફરો, કૃમી, શ્વાસ અને ક્ષયમાં હીતાવહ છે. મગજની નીર્બળતા, ઉન્માદ, વાતપ્રકોપ, પ્રસુતાના રોગો, માસીક ઓછું આવવું, નીદ્રાનાશ, ઉધરસ, શ્વાસ વગેરેમાં વીભીન્ન રીતે પ્રયોજાય છે. અનેક આયુર્વેદીક દવાઓમાં તે વપરાય છે. અજીર્ણ, આફરો, અરુચી, પેટમાં વાયુનો ગોળો ચડવો વગેરે પેટની-પાચનની તકલીફોમાં તેમ જ ઉપરોક્ત રોગોમાં ગંઠોડાનું પા ચમચી ચુર્ણ બે ચમચી મધમાં મીશ્ર કરી સવાર-સાંજ ચાટી જવું. આ બધી તકલીફો શાંત થઈ જશે. લોહીનું નીચું દબાણ(લો બી.પી.) અને હૃદયરોગમાં પણ આ ઔષધ-ઉપચાર ફાયદો કરે છે.

ગળો

January 26, 2009

ગળો

घृतेन वातं सगुडा विबंधं पित्तं सीताढयां मधुना कफे|

वातास्रमुग्रं रूबुतेलमिश्रा शूंठयामवातं शमयेत् गुडूचि ||

એટલે કે ગળો-ગુડુચી ગોળ સાથે લેવાથી કબજીયાત, ઘી સાથે લેવાથી વાયુ, સાકર સાથે લેવાથી પીત્ત, મધ સાથે લેવાથી કફ, સુંઠ સાથે લેવાથી આમવાત, દીવેલ સાથે લેવાથી વાતરક્ત અને ગૌમુત્ર સાથે લેવાથી શ્લીપદ-હાથીપગું મટાડે છે. ગળોના સેવનથી રીબાઈ રીબાઈને મરવાનું બનતું નથી. એનાં પાન મધુર હોય છે. આથી એનાં પાનનું શાક ખુબ સ્વાદીષ્ટ લાગે છે, જે તાવમાં ઉત્તમ છે. ગળો તીખી, કડવી, પચી ગયા પછી મધુર, રસાયન, મળને રોકનાર, તુરી, ઉષ્ણ, પચવામાં હલકી, બળ આપનાર, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, ત્રીદોષઘ્ન (કડવા રસથી પીત્ત અને કફને મટાડે છે. ઉષ્ણ હોવાથી વાયુને હણે છે. પચી ગયા પછી મધુર રસથી વાજીકર-રસાયન છે.) તથા આમ, તરસ, બળતરા, પ્રમેહ, કોઢ, ઉધરસ, રક્તાલ્પતા-પાંડુ, કમળો, કુષ્ઠ, વાતરક્ત, કૃમી, જ્વર, ઉલટી, ઉબકા, દમ, હરસ, મુત્રકષ્ટ અને હૃદયરોગને મટાડનાર છે. ગળોનો રસ ત્રણ ચમચી અને ગળોનું ચુર્ણ અડધીથી એક ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવું. કોઈ પણ વૃક્ષ પર ચડેલી ગળો ઔષધમાં વાપરી શકાય, પરંતુ લીમડા પર ચડેલી ગળો ઉત્તમ ગણાય છે. તાજી લીલી ગળો મળે તો તેનો ઉપયોગ કરવો, નહીંતર સુકી ગળોનું ચુર્ણ વાપરી શકાય. ગળોના વેલા પર કાગળ જેવી પાતળી છાલ હોય છે, જે દુર કરવાથી અંદર લીલીછમ માંસલ ગળો જોવા મળે છે. એના નાના નાના ટુકડા કરી છાંયડે સુકવવાથી સુંદર લીલાશ પડતું બારીક ચુર્ણ તૈયાર થઈ શકે. ઔષધોમાં આવું તાજું ચુર્ણ જ વાપરવું જોઈએ. બજારમાં ગળોની ગોળી સંશમની વટીનામે મળે છે. સંશમની એટલે જે વધેલા દોષોને ઓછા કરે અને ઓછા હોય તો સમાન કરે. એની એક એક ગોળી સવાર, બપોર અને સાંજે લેવી જોઈએ. લીમડા, બાવળ કે આંબા પર ચડેલી ગળોની વેલ વધારે ગુણકારી ગણાય છે, તેમાં પણ લીમડા પરની શ્રેષ્ઠ. ગળોનું ચુર્ણ એક ચમચી અને રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ લઈ શકાય. (૧) ગળો, ધાણા, લીમડાની અંતરછાલ અને રતાંજળી(રક્તચંદન)નો ઉકાળો સવાર-સાંજ પીવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થઈ સર્વ પ્રકારના તાવ મટે છે. (૨) ગળોનો રસ સાકર નાખી પીવાથી અમ્લપીત્ત તરત જ મટે છે અને પીત્તથી થતી ઉલટી તત્કાળ શાંત થાય છે. (૩) ગળોના બે ચમચી રસમાં બે ચમચી મધ નાખી પીવાથી ત્રણે દોષોથી થતી ઉલટી મટે છે. (૪) ગળોનો રસ અથવા ગળોનો ઉકાળો અડધો કપ સવાર-સાંજ પીવાથી અને માત્ર મગના સુપ અને ભાત પર રહેવાથી કોઢમાં એકદમ ફાયદો થાય છે. (૫) ગળોના રસમાં મધ અથવા સાકર નાખી પીવાથી કમળો જલદી મટે છે. (૬) ગળો અને ત્રીફળાના ઉકાળામાં મધ અને પીપરનું ચુર્ણ નાખી સવાર-સાંજ પીવાથી સર્વ પ્રકારના નેત્રરોગ મટે છે. (ઉકાળો ઠંડો થયા પછી એમાં મધ નાખવું.) (૭) ગળોનું વસ્ત્રગાળ બારીક ચુર્ણ ૧ કીલો અને ગોળ, મધ અને ઘી દરેક ૧૬૦ ગ્રામ મેળવી ચાટણ બનાવવું. એકથી બે ચમચી આ ચાટણ સવાર-સાંજ લેવાથી કોઈ રોગ થતો નથી, ઘડપણ આવતું નથી કે વાળ ધોળા થતા નથી.

ગરમાળો

January 25, 2009

ગરમાળો ગરમાળો ૧૦થી ૨૫ ફુટનું ઝાડ છે. તેને જાંબુ જેવાં પણ તેનાથી મોટાં અણીવાળાં, એક બાજુ સુંવાળાં અને બીજી બાજુ ખરબચડાં પાન થાય છે. ઉનાળામાં પીળા રંગનાં પુશ્કળ
ગુચ્છાદાર ફુલ આવે છે. ફુલ ખરી પડી લાંબી લીલા રંગની શીંગો આવે છે
, જે અંગુઠાથી પણ વધુ જાડી અને દોઢથી બે ફુટ લાંબી હોય છે. તે પાકી જતાં સુકાઈને કાળી પડી જાય છે. તેની અંદરનો માવો સુકાઈ જઈને બી છુટાં પડી જતાં ઘુઘરાની જેમ આ શીંગો ખખડે છે. આ માવો મીઠો હોય છે. એને ગરમાળાનો ગોળ કહે છે. આ ગોળ મળશોધક છે. તે પેટમાં ગડગડાટ કરતો નથી.

(૧) ગરમાળાનો ગોળ, પીપરીમુળના ગંઠોડા, નાગરમોથ, કડુ અને હરડેને સરખા ભાગે અધકચરાં ખાંડી, એક ચમચી ભુકાને એક ગ્લાસ પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ગાળીને ઠંડુ પાડી સવાર-સાંજ પીવાથી વાયુ અને કફજન્ય તાવ અને આમથી થતું શુળ મટે છે. એનાથી મંદ થયેલો જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે અને આહારનું પાચન થઈ મળશુદ્ધી થાય છે. દર વખતે ઉકાળો તાજો બનાવી પીવો. (૨) મૃદુ વીરેચક ઔષધોમાં ગરમાળાનો ગોળ શ્રેષ્ઠ ગણાય છે.
એકથી બે ચમચી જેટલો ગરમાળાનો ગોળ દરરોજ સાંજે લેવાથી સવારે સરળતાથી મળ ઉતરી જાય
છે. આબાલ-વૃદ્ધ
, ગર્ભીણી સહુ કોઈ નીર્ભયપણે એ લઈ શકે. તાવમાં પણ જો મળ ઉતરતો ન હોય તો ગરમાળાનો ગોળ લઈ શકાય, કેમ કે એ પરમ કોષ્ઠ શુદ્ધીકર છે. (૩) કોઢ, ચામડીના વીકારો, તાવ, સર્વાંગ ખંજવાળ, કમળો, કબજીયાત, પ્રમેહ, પીત્તના અને હૃદયના રોગોમાં પણ એ હીતાવહ છે.

ગજપીપર

January 24, 2009

ગજપીપર ચવકના ફળને ગજપીપર કહે છે. તે તીખી, વાયુ તથા કફ હરનારી, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, તેમ જ ઉષ્ણ હોવાથી અતીસાર, શ્વાસ, કંઠના રોગો અને પેટના કૃમીઓને મટાડે છે. લીંડીપીપર કરતાં ગજપીપર થોડી મોટી હોય છે અને બંનેના ગુણોમાં પણ બહુ થોડું અંતર રહેલું છે.

ખેર

January 23, 2009

ખેર એને સંસ્કૃતમાં ખદીર કહે છે. મધ્યમ કદના, ખરબચડી છાલવાળા કાંટાદાર ખેરના વૃક્ષને આછા પીળા રંગનાં ફુલો થયા પછી ૨ થી ૪ ઈંચ લાંબી, પાતળી, ચપટી અને ભુરા રંગની શીંગ થાય છે. પાનમાં વપરાતો કાથો ખેરના લાકડામાંથી બને છે. ખેર શીતળ, દાંત માટે હીતકર, ખંજવાળ, ખાંસી-ઉધરસ, ગળું બેસી જવું, ગળાનો સોજો અને અરુચીનો નાશ કરે છે. એ કડવું, તુરું, મેદનાશક, કૃમીનાશક, પ્રમેહનો નાશ કરનાર, મોઢાનાં ચાંદાં, સોજો, કોઢ, આમ, પીત્ત અને રક્તના રોગો, પાંડુ તથા ત્વચા રોગો મટાડે છે. ચામડીના રોગોનું ખેર સર્વોત્તમ ઔષધ છે. (૧) ખેરની છાલનું ચુર્ણ ત્રણથી ચાર ગ્રામ સવાર, બપોર, સાંજ પાણી સાથે ફાકવાથી ચામડીના રોગો મટે છે. આખા શરીરે ચામડીનો રોગ પ્રસરી ગયો હોય તો ખેરની છાલનો ઉકાળો પાણીમાં નાખી સ્નાન કરવું. (૨) ચામડીમાંથી પાણી, પરુ, લોહી કે કફ ઝમતાં હોય તો ખેરની છાલના ઉકાળાથી ખરાબ ચામડી-વ્રણ ધોવાં. (૩) કોઢવાળી કોઈ પણ વ્યક્તી નાહવામાં, પીવામાં અને આહારમાં ખેરનો જ ઉપયોગ કરે તો તે રોગમુક્ત બને છે. સફેદ કોઢના દર્દીએ લાંબા સમય સુધી સવાર-સાંજ ખેરની છાલનો ઉકાળો પીવો અને ખેરની છાલનો ઉકાળો નાખેલા પાણીથી સ્નાન કરવું. (૪) શનૈર્મેહ નામના પ્રમેહમાં મુત્ર ધીરે ધીરે અને થોડું થોડું આવે છે. એ કફના કારણે થાય છે. તથા ક્ષૌદ્રમેહ વાયુથી થાય છે. આ બંને પ્રમેહમાં ૧૦ ગ્રામ ખેરની છાલનો ભુકો બે કપ પાણીમાં ધીમા તાપે અડધાથી પોણા ભાગનું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારીને ગાળી રોજ સવાર-સાંજ તાજું બનાવી પીવાથી લાભ થાય છે. (૫) ખેરની છાલનો ઉકાળો મોંમાં ભરી રાખવાથી દાંતના રોગો, દાંતનો દુઃખાવો, રક્તસ્રાવ, મોંમાંથી વાસ આવવી વગેરે મટે છે. (૬) ખેરના વૃક્ષની જીવીત સ્થીતીમાં ઝાડની વચમાં કુદરતી રીતે જે કાથો તૈયાર થાય છે તેને ખેરસારકહે છે. દરરોજ સવાર, બપોર, સાંજ છ ચોખાભાર ખેરસાર અડધી ચમચી મધમાં ચાટવાથી હાથીપગુ મટે છે. (૭) ખેરસાર તુરું હોવાથી ગર્ભાશય ઢીલું થઈ ગયું હોય તો તેને સ્વચ્છ કરી શીથીલતા દુર કરે છે. કસુવાવડ, અતી સંભોગ કે પ્રદર જેવી વ્યાધીને લીધે ગર્ભાશય ઢીલું પડી જાય છે. એમાં ખેરસારનો ઉપયોગ આશીર્વાદ સમાન છે, કેમકે એનાથી ગર્ભાશય મજબુત થાય છે.

ખદીરારીષ્ટ એમાં ખેર મુખ્ય ઔષધ છે. એની માત્રા ચારથી છ ચમચી સવાર-સાંજ. એ મહાકુષ્ઠ-લેપ્રસી, અર્બુદ, પાંડુરોગ, કાસ-ઉધરસ, શ્વાસ, કૃમી, ગાંઠ, સર્વ પ્રકારના કોઢ અને રક્ત બગાડમાં હીતાવહ છે. ખદીરાદીવટી ૧૦૦ ગ્રામ ખેરસાર તથા કપુર, સોપારી, જાયફળ, ચણકબાબ અને એલચી દરેક ૨૦-૨૦ ગ્રામના મીશ્રણના બારીક ચુર્ણમાં પાણી મેળવી ચણાના દાણા જેવડી બનાવેલી ગોળીને ખદીરાદીવટી કહે છે. આ ત્રણચાર ગોળી સવાર, બપોર, સાંજ મોંમાં રાખી ધીમે ધીમે ચુસવાથી સુકી ઉધરસ, અવાજ બેસી જવો, મોંમાં ચાદાં, જીભ, દાંત, દાંતનાં પેઢાંની તકલીફ મોળ આવવી વગેરેમાં ફાયદો થાય છે. ખદીરાદીવટી બજારમાં તૈયાર પણ મળે છે.

ખુરાસાની અજમો

January 22, 2009

ખુરાસાની અજમો રોજ રાત્રે વાલના દાણા જેટલું ખુરાસાની અજમાનું ચુર્ણ એક ચમચી સાકર સાથે જમ્યા પછી લેવાથી કષ્ટાર્તવ-માસીક વખતનો સખત દુખાવો, અલ્પાર્તવ-ઓછું માસીક, અધીક માસીક અને અનીયમીત માસીકમાં ફાયદો થાય છે.