તુરો રસ કષાય એટલે તુરો રસ મોંને સુકવી દે છે. જીભમાં વીશદતા, સ્તબ્ધતા અને જડતા જન્માવે છે. કંઠને કોઈ ભીંસતું હોય, બંધ કરી દેતું હોય એવું થાય છે. હૃદયમાં ખેંચાવા જેવી પીડા થાય છે, હૃદય પર દબાણ આવે છે, અને કંઠમાર્ગ-સ્રોતોનો અવરોધ કરે છે. તુરો રસ મળને બાંધનાર, ઘાને રુઝવનાર, ચીરાને સાંધનાર, જખમની પીડા દુર કરનાર, દ્રવને શોધનાર-ચુસનાર અને મળને રોકનાર છે. ઝાડા બંધ કરનાર બધાં દ્રવ્યો મોટે ભાગે તુરાંં હોય છે. તુરો રસ કફ, પીત્ત અને રક્તનું શમન કરનાર, શરીરની ભીનાશ સુકવનાર, રુક્ષ-લુખો, ઠંડો, ભારે, ખોતરનાર, વીકૃત ત્વચાને નીર્મળ કરનાર, રક્ત અને મેદની શુદ્ધી કરનાર અને કાચા આમ-ચીકાશને રોકે છે. બધા રસોમાં સૌથી ઓછી શક્તીવાળો છે.
વધુ પ્રમાણમાં તુરો રસ ખાવામાં આવે તો મોં સુકાય, હૃદયમાં પીડા થાય, પેટમાં આફરો-ગૅસ થાય, વાણી અટકી જાય, શરીરના આંતરીક સ્રોતો-માર્ગોમાં અવરોધ થાય, શરીર કાળું પડી જાય અને નપુસંકતા આવે છે. વધુ પડતો તુરો રસ વાયુ, પેશાબ, મળ અને શુક્રને રોકે છે. શરીરને પાતળું કરે છે. ગ્લાની, સ્તબ્ધતા અને તરસ ઉત્પન્ન કરે છે. એનાથી લકવા, અર્દીત વાયુ(મોઢાનો લકવા), મન્યાસ્તંભ, ગાત્રસ્ફુરણ, શરીરનાં અંગોમાં ચમચમાટ (રાઈ લગાડવાથી થતો ઝમઝમાટ) વગેરે વાયુના રોગો થાય છે.
