બટાટા બધી જાતના બટાટા ઠંડા, ઝાડાને રોકનાર, મધુર, ભારે, મળ તથા મુત્રને ઉત્પન્ન કરનાર, રુક્ષ, પચવામાં ભારે, રક્તપીત્ત મટાડનાર, કફ તથા વાયુ કરનાર, બળ આપનાર, પીત્તશામક, કબજીયાત કરનાર, કામોત્તેજક, વીર્યને વધારનાર અને અલ્પ પ્રમાણમાં અગ્નીને વધારનાર છે. બટાટા પરીશ્રમી, પરીશ્રમથી નીર્બળ બનેલા, રક્તપીત્તથી પીડાતા, શરાબી અને તેજ જઠરાગ્નીવાળાઓ માટે અતી પોષક છે. જેને ગૅસ થતો હોય તેણે બટાટા ન ખાવા. બટાટા સ્વાદે મધુર અને વીપાકે પણ મધુર છે. આથી બટાટા પીત્તશામક છે. બટાટા કફકારક, પચવામાં ભારે અને કાર્બોહાઈડ્રેટથી ભરપુર હોવાથી મેદની તકલીફવાળાએ, ડાયાબીટીસવાળાએ તથા જેની પાચનક્રીયા નબળી હોય તેમણે બટાટા કદી ખાવા જ નહીં જોઈએ. વાયુના રોગોમાં પણ બટાટા ત્યાજ્ય છે. (૧) શરીરના ઉપરના કે નીચેના માર્ગેથી રક્તસ્રાવ થતો હોય તો બટાટાનો સાકરમાં બનાવેલો શીરો ખાવો. (૨) બટાટા બાફી પેસ્ટ જેવું બનાવી, ખરજવા પર મુકી પાટો બાંધી દેવાથી ભીનું કે સુકું-જુનું ખરજવું નીર્મુળ થઈ જાય છે.
Tags: બટાટા
July 4, 2009 at 2:33 am |
બટાટા વીષે ઘણી ગેરસમજો પ્રવર્તે છે. ખાસ કરીને આયુર્વેદ અને એલોપથીની વીચારણામાં ક્યારેક એકબીજાની વીરુદ્ધ વાત હોય તેવું લાગે.
મધુર અને ભારે હોવા છતાં એ રુક્ષ પણ ગણાવાયા છે. બટાટાને ફળાહારમાં મુકીને તથા તેલમાં વઘારવાનું કે તળવાનું સુઝાડીને આરોગ્ય પર મોટો ખતરો ઉભો કરી દેવામાં આવ્યો છે. શ્રમીકો માટે બરાબર છે, બાકી બેઠાડુ જીવનમાં તો એ તકલીફોના સર્જકો જ ગણાય !
આ શ્રેણી આપે બહુ સારી આપી છે.
July 4, 2009 at 8:10 am |
આદરણીય જુગલકીશોરભાઈ,
આપની કૉમેન્ટ બદલ ખુબ ખુબ આભાર.
આપની વાત સાથે હું સંપુર્ણપણે સંમત છું. ખાસ કરીને ઉપવાસ સમયે એ ખાવાની છુટ આપવાની વાત બહુ જ અનીચ્છનીય ગણાય.
ફરીથી આપનો હાર્દીક આભાર.