Archive for September, 2009

વડ

September 30, 2009

વડ (વડના ઔષધીય ઘણા ઉપયોગો છે. આથી દર વખતે થોડા થોડા આપવા વીચારું છું.)વડનાં બધાં અંગો ઔષધરુપે વપરાય છે. સંસ્કૃતમાં વડને વટ, ન્યગ્રોધ કે બહુપાદ કહે છે. વડ શીતળ, ભારે, ગ્રાહી, મળને બાંધનાર, વર્ણને સારો કરનાર અને તુરા રસને કારણે કફ, પીત્ત, વ્રણ-ઘા, રતવા, દાહ તથા ગર્ભાશય તથા યોનીરોગોનો નાશ કરે છે. વડની છાલ, પાન, વડવાઈ, ટેટા, દુધ અને પાનના અંકુર ઔષધમાં ઉપયોગી છે. વડનું દુધ વેદના-પીડા મટાડનાર અને વ્રણ રુઝવનાર છે. વડનાં કોમળ પાન કફનાશક અને છાલ મળને રોકનાર છે. (૧) અતીસાર-પાતળા ઝાડામાં વડની કોમળ વડવાઈઓ ચોખાના ઓસામણમાં સારી રીતે વાટી-લસોટી સાકર નાખી બે ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવાથી અતીસાર મટી જાય છે. મળ સાથે ઝાડામાં લોહી પડતું હોય-રક્તાતીસાર હોય તો તે પણ મટી જાય છે. (૨) મુત્રમાર્ગના રક્તસ્રાવમાં પણ આ ઉપચાર સારું પરીણામ આપે છે. (વધુ આવતી વખતે)

વટાણા

September 29, 2009

વટાણા વટાણા મધુર, પાકમાં પણ મધુર, રુક્ષ અને ઠંડા છે. એ ઝાડાને બાંધનાર તેમજ કફ અને પીત્તનો નાશ કરનાર છે. વટાણામાં ફૉસ્ફરસ, પોટૅશીયમ, મૅગ્નેશીયમ, કૅલ્શીયમ, ગંધક, તાંબુ અને લોહ હોય છે. તેનામાં સુપાચ્ય પ્રોટીનનું પ્રમાણ ખુબ વધુ છે. સાથે સાથે કાર્બોહાઈડ્રેટ અને વીટામીન A તથા C નું પ્રમાણ ઉંચું છે. બીજાં ખનીજ દ્રવ્યોનું પ્રમાણ પણ વધારે છે. વટાણાનું પોષણમુલ્ય બહુ જ ઉંચું છે.

લોબીંબરાજ ચુર્ણ

September 28, 2009

લોબીંબરાજ ચુર્ણ ૫૦ ગ્રામ સુંઠ, ૪૦ ગ્રામ લીંડીપીપર, ૩૦ ગ્રામ અજમો, ૨૦ ગ્રામ અજમોદ અને ૧૫૦ ગ્રામ હરડે ખુબ ખાંડી બનાવેલા બારીક ચુર્ણને લોબીંબરાજ ચુર્ણ કહે છે. દરરોજ અડધીથી પા ચમચી આ ચુર્ણ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી પેટમાં થતો ગડગડાટ, ચુંક આવવી, આમ, વાયુ, મળાવરોધ, પેટનો દુખાવો વગેરે બધી તકલીફો મટે છે. આ ચુર્ણ ભુખ લગાડનાર અને આહારનું યોગ્ય પાચન કરાવનાર છે.

લુણી

September 27, 2009

લુણી એને સંસ્કૃતમાં લેણીકા કહે છે. એની નાની અને મોટી એવી બે જાતો થાય છે. મોટી લુણીનાં પાન જરા ગોળ રતાશ પડતાં લીલાં તથા જાડાં-દળદાર હોય છે. ફુલ સફેદ તથા બીજ નાનાં અને પીળાશ પડતાં હોય છે. બંને જાતની ભાજીનાં મુઠીયાં બનાવવામાં આવે છે. લુણી ઠંડી અને સોજા ઉતારનાર છે. તે રક્તશુદ્ધી કરનાર, મુત્રપીંડ-કીડની અને મુત્રાશયના રોગોમાં ભાજી અને બીજ બંને વપરાય છે. લુણી પેશાબ સાફ લાવનાર છે. હરસના દર્દીઓ લુણીની ભાજી ખાય તો હરસ શાંત રહે છે. પેશાબમાં લોહી પડતું હોય તો લુણીની ભાજી ખાવાથી રક્તસ્રાવ બંધ થાય છે. તાવની ગરમી, પેશાબની બળતરા, દુઝતા હરસ, માથાની ગરમી માટે લુણીની ભાજી અને બીજ બંને હીતકારી છે.

લીંબુ

September 26, 2009

લીંબુ લીંબુ શરીરમાં ઉત્પન્ન થતી અમ્લતા દુર કરે છે. એમાં રહેલું વીટામીન ‘સી’ શરીરની રોગપ્રતીકારક શક્તી વધારે છે. લીંબુ હૃદયને સ્વસ્થ રાખે છે. હૃદયના રોગોમાં લીંબુ દ્રાક્ષ કરતાં વધુ ફાયદો કરે છે. લીંબુ અને એની છાલ બન્ને ઔષધીય ગુણોથી ભરપુર છે. લીંબુ તીક્ષ્ણ વાયુનાશક, આહાર પચાવનાર, ભુખ લગાડનાર, પચવામાં હલકું, પેટનાં દર્દને મટાડનાર અને પેટના કૃમીઓનો નાશ કરનાર છે. તે ઉલટી, પીત્ત, આમવાત, અગ્નીમાંદ્ય, વાયુ, વાયુના રોગો, કૉલેરા, ગળાના રોગો, ઉધરસ અને કફ દુર કરે છે. (૧) ભુખ લાગતી ન હોય કે આહાર પર રુચી થતી ન હોય તો બે ચમચી લીંબુનો રસ અને પાંચ ચમચી ખાંડની ચાસણી મીશ્ર કરી પાણી ઉમેરી શરબત બનાવી, મરી અને લવીંગનું થોડું ચુર્ણ ઉમેરી સવાર-સાંજ પીવાથી ભુખ ઉઘડે છે. (૨) ખોટા આહાર-વીહારને કારણે શરીરમાં યુરીક એસીડ બને છે. તેને દુર કરવા સવારે નરણા કોઠે ગરમ પાણીમાં લીંબુનો રસ આદુના રસ સાથે લેવો જોઈએ. (૩) લીંબુ પેશાબ વાટે યુરીક એસીડનો નીકાલ કરે છે. સાથે સાથે કબજીયાાત, પેશાબની બળતરા, લોહીનો બગાડ, મંદાગ્ની અને ચામડીના રોગોમાં તે અકસીર છે. (૪) લીંબુના રસથી દાંત અને પેઢાં સ્વચ્છ થાય છે. પાયોરીયા અને મોંની દુર્ગંધ દુર થાય છે. (૫) યકૃતની શુદ્ધી માટે લીંબુ અકસીર છે. (૬) અજીર્ણ, છાતીની બળતરા, સંગ્રહણી, કૉલેરા, કફ, શરદી, શ્વાસ વગેરેમાં લીંબુ ઔષધનું કામ કરે છે. (૭) લીંબુના રસમાં ટાઈફોઈડનાં જંતુઓ તરત જ નાશ પામે છે.  (૮) લીંબુનાં સેવનથી પીત્ત શાંત થાય છે. (૯) લીંબુથી લોહી શુદ્ધ થવાથી શરીરમાં તાજગી અનુભવાય છે. લોહીમાંથી ઝેરી તત્ત્વ નાશ પામતાં માંસપેશીઓને વધુ બળ મળે છે. (૧૦) લીંબુ સમગ્ર શરીરની સફાઈ કરે છે. આંખોનું તેજ વધારે છે. રોજ એક લીંબુનો ઉપયોગ કરવાથી સ્વસ્થ અને પ્રસન્ન રહી શકાય. (૧૧) ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ લેવાથી શરદી, કફ, ઈન્ફ્લ્યુએન્ઝા વગેરેમાં પુરી રાહત મળે છે. લીંબુ અને મધનું પાણી લઈ લાંબા સમય સુધી ઉપવાસ દ્વારા ચીકીત્સા થઈ શકે છે. એ વાયુનાશક, અગ્નીદીપક, પાચન વધારનાર, રુચીવર્ધક છે. (૧૨) લીંબુના ફાડીયા પર નમક, જીરુ, કાળાં મરી, સુંઠ અને અજમાનું બારીક ચુર્ણ ભભરાવી જરાક ગરમ કરી ભોજન પુર્વે ધીમે ધીમે ચુસવું. એનાથી રુચી ઉઘડે છે અને વાયુ નીચે ઉતરે છે. હેડકી, ઉધરસ, આફરો જેવા વાયુના રોગોમાં પણ એનાથી લાભ થાય છે. (૧૩) સાંધામાં કાચો રસ જામી જવાથી થતા પીડાકારક આમવાત રોગમાં બે વખત નમક વગરના રાંધેલા મગ ખાવા, સવારે અને સાંજે એક ગ્લાસ સહેજ હુંફાળા પાણીમાં લીંબુ નીચોવી પી જવું. છ અઠવાડીયાં આ પ્રયોગ કરવાથી ઉત્તમ લાભ થાય છે. પછી ધીમે ધીમે ખોરાક પર ચડવું. (૧૪) ઘીવાળો ભારે ખોરાક ખાવાથી અજીર્ણ થયું હોય તો બે વખત નવશેકા પાણીમાં લીંબુ નીચોવી પી જવું. (૧૫) લીંબુમાં વીટામીન સી હોવાથી દાંતના પેઢામાંથી લોહી નીકળતું હોય તો નવશેકા પાણીમાં લીંબુ પીવાથી મટે છે. (૧૬) લીંબુ આલ્કલાઈન હોવાથી એસીડીટીમાં ઉત્તમ ગુણકારક છે. કફ, ઉધરસ, દમ અને શરીરના દુખાવાના કાયમી દર્દીએ લીંબુ લેવું નહીં. લોહીનું નીચું દબાણ, માથું દુખવું, પગમાં કળતર, તાવ વગેરેમાં લીંબુ નુકસાન કરે છે.

લીંડીપીપર

September 25, 2009

લીંડીપીપર લીંડીપીપર રસાયન છે. જેનાથી રોગો અને વાર્ધક્યનો નાશ થાય તેને રસાયન કહે છે. એ જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, તીખી પણ ગરમ નથી, પચ્યા પછી મધુર, સ્નીગ્ધ તથા વાયુ અને કફનાશક છે. પચવામાં હલકી અને રેચક છે. તે શ્વાસ, ઉધરસ, કફના રોગો, પેટના રોગો, જ્વર, કોઢ, પ્રમેહ, ગાંઠ, હરસ, બરોળ, શુળ તથા આમવાયુને મટાડનારી છે. પીપરનું ચુર્ણ વીવીધ અનુપાનો સાથે લેવાય છે. મધ સાથે લેવાથી કફના રોગ અને મેદ મટે છે. શ્વાસ, ઉધરસ તથા કફજ્વર મટાડે છે. વીર્ય વધારે છે, બુદ્ધીને હીતકારી, મંદ જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર અને સારી ઉંઘ લાવે છે (૧) ૨.૫ થી ૩ ગ્રામ જેટલું લીંડીપીપરનું ચુર્ણ સારી રીતે ઘુંટી, લોખંડના પાત્રમાં કાલવીને રાખી મુકવું. સવારે અડધા કપ જેટલા પાણી સાથે પી જવું. એકાદ વર્ષ સુધી આ પ્રયોગ ચાલુ રાખવો. જીર્ણજ્વર, રક્તાલ્પતા-પાંડુરોગ, શરદી તથા કફના રોગોમાં આ પ્રયોગ અતી ઉત્તમ છે. તેમાં પરેજીની જરુર નથી.

લીમડો

September 24, 2009

લીમડો (૧) લીમડાની આંતરછાલનો ઉકાળો તાવ મટાડે છે. (૨) ચામડીના તમામ પ્રકારના રોગો લીમડાના પાનના રસ કે તેની છાલના ઉકાળાથી મટે છે. (૩) સફેદ કોઢ જેવા જટીલ રોગ પણ લીમડાનું લાંબો સમય સેવન કરવાથી મટે છે. (૪) ગમે તેવો ન રુઝાતો ઘા કે પાક  લીમડાના પાનની લુગદી મુકવાથી રુઝાઈ જાય છે. (૫) નીયમીત લીમડાનું દાતણ કરવાથી દાંતનો સડો, પેઢાનો સોજો, દુખાવો, પેઢાનું પરું, મોઢાની દુર્ગંધ, દાંત અને પેઢાના બીજા રોગો મટે છે. મહુડો, કરંજ અને ખેરનું દાતણ પણ કરી શકાય. (૬) લીમડાના પાનના રસમાં મરી તથા સીંધવ યોગ્ય પ્રમાણમાં મેળવી ૧૫ દીવસ સુધી પીવામાં અાવે તો અાખા ઉનાળાનો આકરો તાપ પણ સતાવતો નથી. એનાથી સુવારોગ પણ થતો નથી. (૭) ચામડીના રોગોમાં લીમડાનાં પાન પાણીમાં ઉકાળી નાહવાથી લાભ થાય છે. (૮) કફ, ઉધરસ, પેટમાં ગરબડ, એસીડીટી, પીત્તવીકાર અને ચામડીના સૌંદર્યમાં લીમડાનો રસ અકસીર ઔષધ છે. લીમડાનાં તાજાં કુમળાં પાન વાટી પાણી સાથે ગાળી લેવાં. લીમડાનો આ શુદ્ધ રસ આરોગ્ય માટે ખુબ જ લાભદાયક છે. રોગ અનુસાર યોગ્ય માત્રામાં લેવાથી અવશ્ય ફાયદો થાય છે. (૯) ચૈત્ર મહીનામાં લીમડાના રસનું સેવન કરવાથી આખું વર્ષ નીરોગી રહેવાય છે. (૧૦) લીમડાની આંતરછાલનો ઉકાળો કે પાણીમાં છાલ પલાળી તે પાણી પીવાથી કરોળીયા એકદમ બેસી જાય છે. (૧૧) લીમડાના રસમાં જુની આમલી મેળવી પીવાથી કૉલેરા મટે છે. (૧૨) લીમડાનાં કુણાં પાનની ચટણી મીઠું નાખી ખાવાથી તાવ ઉતરે છે.

લીમડાનાં પાન લીમડાનાં પાન સોજા ઉતારનાર, ચામડી માટે ઉત્તેજક, અને એના દોષ દુર કરનાર, વ્રણ-ચાંદાનું શોધન અને શમન કરનાર, સડાને અટકાવનાર, કૃમીઓનો નાશ કરનાર, વીષમજ્વર અટકાવનાર, લીવરને ઉત્તેજીત કરનાર, વધારે માત્રામાં લેવાથી ઉલટી કરાવનાર, વળી લીમડાનાં પાન નેત્રને માટે હીતાવહ છે અને સર્વ પ્રકારની અરુચીઓ તથા સર્વ પ્રકારના ત્વચાના રોગોમાં ખુબ જ હીતાવહ છે. પાંચથી સાત લીમડાનાં તાજાં પાન ખુબ ચાવીને ખાવાં અથવા બેથી ચાર ચમચી લીમડાનો રસ સવાર-સાંજ પીવો. લીમડાનો રસ આખા શરીરે ચોળીને સ્નાન કરવું. સ્નાન કરવાના પાણીમાં લીમડાના પાન નાખી ગરમ કર્યા પછી તેનો સ્નાન માટે ઉપયોગ કરવો.

લસણ

September 23, 2009

લસણ લસણ ઉત્તમ આહાર અને રસાયન છે. લસણ કૃમી, ત્વચાના વીકારો, કોઢ, વાયુ, ગોળો, વગેરે મટાડે છે. એ સ્નીગ્ધ, ગરમ અને બળ આપનાર છે. તે શરીરને પુષ્ટ કરનાર, વીર્યવર્ધક, આહારનું પાચન કરનાર, ઝાડો ઉતારનાર, મધુર તથા તીક્ષ્ણ છે. તે જુનો તાવ, હૃદયરોગ, પડખાનું શુળ, કબજીયાત, અરુચી, ઉધરસ, સોજા, હરસ, અગ્નીમાંદ્ય, શ્વાસ, વાયુ અને કફ મટાડે છે. હૃદયના રોગોમાં લસણ ઉત્તમ છે. લસણમાં ફક્ત ખાટો રસ જ નથી, બાકીના પાંચ રસો વાયુ, પીત્ત અને કફથી થતા મોટા ભાગના રોગો મટાડે છે. વળી એ મૈથુનશક્તી, બુદ્ધી, અવાજ, વર્ણ અને આંખોનું તેજ વધારનાર તથા ભાંગેલા હાડકાને સાંધવામાં સહાયક, જીર્ણજ્વર, ઉદરશુળ, અપચો, ગોળો, ખાંસી, મટાડનાર છે. લસણમાં તીવ્ર ગંધવાળું ઉડ્ડયનશીલ તેલ રહેલું છે, જે કીડનીને તેનું કાર્ય કરવામાં ઉત્તેજીત કરે છે. આથી મુત્ર પ્રવૃત્તી વધે છે. લસણના આ ઉત્તમ ગુણને લીધે સર્વાંગ સોજા, કીડનીના રોગો, હૃદયના રોગો, પેટના રોગો, જળોદર વગેરે અનેક રોગોમાં ખુબ જ હીતકારી છે. લસણ ઉદરસ્થ ગૅસને ઓછો કરે છે, આથી હૃદય પરનું તીવ્ર દબાણ ઘટે છે. અરુચી દુર કરી ભુખ લગાડે છે. લસણની ગોળી ૧૦૦ ગ્રામ લસણ, શેકેલી હીંગ, લીંડી પીપર, અજમો, કાળાં મરી, સુંઠ, સીંધવ, જીરુ, કલોંજી જીરુ અને દાડમનાં બી દરેક ૧૦-૧૦ ગ્રામ અને લોબાન ૨૦ ગ્રામ લઈ પ્રથમ લસણને લસોટી બાકીના દ્રવ્યોનું વસ્ત્રગાળ ચુર્ણ મેળવી લીંબુના રસમાં ઘુંટી ઘટ્ટ થાય ત્યારે વટાણા જેવડી ગોળી બનાવવી. જમ્યા પછી બેથી ત્રણ ગોળી ગળવાથી કે ચુસવાથી અરુચી, અગ્નીમાંદ્ય, કબજીયાત, ગૅસ, પેટનો દુખાવો, આફરો, ગોળો, વધુ પડતા ઓડકાર, પેટમાં આંકડી આવવી, ઝાડા, મરડો, કૉલેરા, કૃમી વગેરે મટે છે અને પાચન સુધરે છે. ઉરુસ્તંભ (કમર જકડાઈ જવી), લકવા, ગૃધ્રસી (સાયટીકા જેને લોકવ્યવહારમાં રાંઝણ પણ કહે છે), સાંધાનો વા, સ્નાયુઓનો દુખાવો, પડખાનો દુખાવો, પગની પાની-એડીનો દુખાવો, આ બધા વાયુપ્રકોપના રોગોમાં લસણ ઉત્તમ ઔષધ છે. લસણપાક, લસણની ચટણી, લસણનો ક્ષીરપાક, લસણનું અથાણું, લશુનાદીવટી વગેરેમાંથી કોઈ એક કે બેનો ઉપયોગ કરવો અને એક કળીના લસણની એક કળીને ખુબ લસોટીને તલના તેલ સાથે જમતી વખતે બપોરે અને રાત્રે બેથી ત્રણ અઠવાડીયાં ખાવી. અત્યંત ફાયદાકારક અને દર્દશામક ઉપચાર છે. સગર્ભા, અતીસારવાળા, પ્રમેહી, રક્તપીત્ત, અમ્લપીત્ત, વ્રણ, અલ્સર, ઉલટીવાળાએ લસણનો ઉપયોગ કરવો નહીં.

લજામણી

September 20, 2009

લજામણી એને રીસામણી પણ કહે છે. એના છોડ બારે માસ ગુજરાતમાં થાય છે. પરંતું શીયાળામાં વધારે જોવામાં આવે છે. તે જમીન ઉપર પથરાતા વેલા જેવા છોડ છે. તેના પાનને સહેજ સ્પર્શ થતાં પાન બીડાઈ જાય છે. એના છોડ ઉપર બારીક કાંટા હોય છે. ફુલ ગુલાબી રંગનાં, શીંગો ચપટી અને લાંબી હોય છે. એનાં મુળ મોટાં હોય છે. ઔષધમાં મુળ જ વાપરવા જેવાં હોય છે. તે રક્તવાહીનીનો સંકોચ કરાવીને રક્તસ્રાવ બંધ કરે છે. લજામણી કડવી, શીતળ, તુરી, કફપીત્તહર, રક્ત અને પીત્ત બંને વીકારોમાં ઉપયોગી, પીત્તના અતીસારને મટાડનાર, રક્તાતીસાર-અલ્સરેટીવ કોલાયટીસ(મોટા આંતરડામાં ચાંદાં પડવાં)માં ખુબ જ ઉપયોગી તથા યોનીરોગો દુર કરે છે. ગર્ભાશય ખસી ગયું હોય તો લજામણીનું મુળ ઘસીને લગાડવાથી ફાયદો થાય છે. ઝાડામાં લોહી જતું હોય તો મુળ પાણીમાં ઘસીને અથવા મુળનું ચુર્ણ વાલનાં દાણા જેટલું દુધ અથવા છાસ સાથે પીવાથી રક્તસ્રાવ બંધ થાય છે. લજામણીનો તુરો શીતળ રસ પીત્તનાશક હોવાથી આ રોગમાં ખુબ જ પ્રશસ્ત છે. વ્રણ-ઘા પર તેનાં પાન વાટી ચોપડવાથી વ્રણ જલદી મટી જાય છે.

લવંગાદી ચુર્ણ

September 19, 2009

લવંગાદી ચુર્ણ

લવંગાદી ચુર્ણ-૧ લવીંગ ૮ ગ્રામ, એલચી ૬ ગ્રામ, જાયફળ ૬ ગ્રામ અને અફીણ ૧ ગ્રામનું મીશ્રણ કરી બારીક ચુર્ણ બનાવવું. એક કપ સહેજ ગરમ નવશેકા પાણીમાં પાંચ ગ્રામ ચુર્ણ નાખી સવારે, બપોરે અને રાત્રે લેવાથી ઉદરશુળ, ગેસ, પાતળા ઝાડા અને ઉબકા-ઉલટી મટે છે.

લવંગાદી ચુર્ણ-૨ લવીંગ, પીપર, જાયફળ દસ-દસ ગ્રામ, કાળા મરી વીસ ગ્રામ, સુંઠ એકસો સાઠ ગ્રામ લઈ બનાવેલું ચુર્ણ એરટાઈટ બાટલીમાં ભરવાથી તેના ગુણો બે મહીના જળવાઈ રહે છે. અડધીથી એક ચમચી આ ચુર્ણ સવાર-સાંજ લેવાથી ઉધરસ, તાવ, પ્રમેહ, અરુચી, શ્વાસ, મંદાગ્ની, સંગ્રહણી, ગેસ, આફરો, મોળ વગેરે મટે છે.