Archive for October, 2009

સરગવો

October 31, 2009

સરગવો સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. સરગવાના મુખ્ય બે પ્રકાર છે, સફેદ ફુલવાળો અને લાલ ફુલવાળો. સફેદ ફુલવાળો બધે જ મળે છે. લીલો સરગવો ન મળે તો સુકવણી પણ વાપરી શકાય છે. સરગવાના ફાલ વરસમાં બે વખત આવે છે. સરગવાનાં પાન, ફુલ, શીંગો, મુળ, છાલ એ બધાંનો ઔષધમાં ઉપયોગ થાય છે. તમામ પ્રકારના સોજામાં સાટોડી જેમ સરગવો પણ કામ આવે છે. સરગવો મધુર, તીખો, કડવો, તુરો, ઉષ્ણ, તીક્ષ્ણ, રુચીકર, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર, પચવામાં હલકો, હૃદય માટે હીતકર, ચાંદાં, કૃમી, આમ, ગુમડાં, બરોળ, સોજા, ખંજવાળ, મેદરોગ, ગલકંડ, અપચી, ઉપદંશ તથા નેત્રરોગમાં હીતકારી છે. સરગવાના મુળની છાલ ગરમ, કડવી, દીપનપાચન, ઉત્તેજક, વાયુ સવળો કરનાર, કફહર, કૃમીઘ્ન, શીરોવીરેચક, સ્વેદજનન, શોથહર અને ગુમડાં મટાડનાર છે. મુળની છાલનો ઉકાળો સીંધવ અને હીંગ સાથે લેવાથી ગુમડું, સોજો અને પથરી મટે છે. ગુમડા ઉપર છાલનો લેપ કરવાથી વેરાઈ જાય છે કે ફુટી જઈ મટે છે. કોમળ પાનનું શાક બનાવીને ખાવાથી પેટ હલકું રહે છે, અને પેટ સાફ આવે છે.  (૧) કફ પુશ્કળ પડતો હોય તો દમ-શ્વાસના દર્દીએ દરરોજ સવાર-સાંજ સરગવાની છાલનો ઉકાળો પીવો. (૨) હૃદયની તકલીફને લીધે યકૃત મોટું થયું હોય તો સરગવાનો ઉકાળો અથવા સરગવાની શીંગોનું સુપ બનાવી પીવાથી યકૃત અને હૃદય બંનેને ફાયદો થાય છે. (૩) કીડનીની પથરીમાં સરગવાના મુળનો તાજો ઉકાળો સારું કામ આપે છે. (૪) ૧થી બે કીલો સરગવાની શીંગોના નાના નાના ટુકડા કરી રાખવા. થોડા ટુકડા દોઢ ગ્લાસ પાણીમાં ધીમા તાપે એક કપ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થયા પછી થોડું ધાણાજીરુ અને હળદર તથા જરુર જણાય તો સહેજ સીંધવ નાખી સવારમાં નરણા કોઠે ઉકાળાનું નીયમીત સેવન કરવાથી દર મહીને બે કીલો વજન ઘટી શકે છે. ઓછી ચરબીવાળો આહાર લેવો અને પેટ સાફ આવે એટલું એરંડભ્રષ્ટ હરીતકીનું ચુર્ણ લેવું. (૫) આ ઉકાળાથી સંધીવા પણ મટે છે. સંધીવાના દર્દીએ સાથે અમૃતગુગળ વાપરવો.

સફરજન

October 30, 2009

સફરજન સફરજનમાં શરીરનાં વીજાતીય દ્રવ્યોનો નાશ કરવાનો ખાસ ગુણ રહેલો છે. એ સંગ્રહણી, મરડો અને અતીસારમાં સારું ગણાય છે. એ ગ્રાહી છે એટલે કે પાતળા મળને બાંધીને રોકે છે. સફરજનમાં પોટેશ્યમ અને મેલીક એસીડ જેવા  અગત્યના પદાર્થો છે. એનો મુરબ્બો સંગ્રહણી-અતીસારમાં ખુબ સારો છે. એ રસાયન ઔષધ છે. રોજનું એક સફરજન ખાવાથી તંદુરસ્તી સારી રહે છે. એમાં રહેલું તીવ્ર એન્ટીઑક્સીડંટ શરીરના કોષોને નાશ પામતા અટકાવવામાં મદદરુપ થાય છે. લાલ છાલવાળા સફરજનમાં લીલી છાલવાળા કરતાં એન્ટીઑક્સીડન્ટ વધારે હોય છે. સફરજન હૃદય, મગજ, લીવર અને હોજરીને બળ આપે છે, ભુખ લગાડે છે, લોહી વધારે છે અને શરીરની કાંતી વધારે છે. સફરજનને બાફીને કે સુપ બનાવીને પણ ખાઈ શકાય. એ મરડો, સંગ્રહણી, અતીસાર, આંતરડાનાં ચાંદાં-અલ્સરેટીવ કોલાયટીસમાં સારો ફાયદો કરે છે. પાચનશક્તી નબળી પડી ગઈ હોય, વારંવાર પાતળા ઝાડા થતા હોય કે કબજીયાત રહેતી હોય તો માત્ર સફરજન પર રહેવાથી ફાયદો થાય છે. જો દુધ માફક આવતું હોય તો સવાર-સાંજ દુધ અને બપોરે સફરજન લઈ શકાય. દુધ અને સફરજનની વચમાં એ પચી જાય એટલો સમયગાળો રાખવો જોઈએ, અને એટલા જ પ્રમાણમાં દુધ અને સફરજન ખાવાં જોઈએ. દુધ અનુકુળ ન આવતું હોય તેઓ તાજા દહીંનો મઠો લઈ શકે.

શેરડી

October 29, 2009

શેરડી શેરડી શ્રમહર છે. થાકી ગયા હો તો શેરડી ચુસવી અથવા શેરડીનો રસ પીવો. થાક જતો રહેશે અને તાજગીનો અનુભવ થશે. શેરડી ગળા માટે હીતાવહ છે. શુક્રશોધન દસ ઔષધોમાં શેરડીની ગણતરી થાય છે. જેમનું વીર્ય વાયુપીત્તાદીથી દુષીત થતું હોય, તેમણે શેરડીનો ઉપયોગ કરવો જોઈએ. શેરડી લીવરને તેના કાર્યમાં સક્રીય કરતી હોવાથી કમળા જેવા લીવરના રોગોમાં ખુબ હીતાવહ છે. તરત જ બળ, સ્ફુર્તી એટલે કે તાજગી આપતા ઔષધ દ્રવ્યોમાં શેરડીની ગણતરી થાય છે. આ ઉપરાંત શેરડી રક્તપીત્તનાશક, સેક્સ વધારનાર, વીર્યદોષો દુર કરનાર, વજન વધારનાર, મુત્ર વધારનાર, શીતળ અને પચવામાં ભારે છે. રોજ થોડી શેરડી ખાવાથી શરીર હૃષ્ટપુષ્ટ થાય છે, બળ મળે છે, મેદની વૃદ્ધી થાય છે, અને મૈથુનશક્તી વધે છે. શેરડી કફ કરનાર છે. શેરડીનો રસ પીવા કરતાં શેરડી ચાવીને ખાવી વધુ હીતાવહ છે. શેરડી જમ્યા પહેલાં ખાવી જોઈએ. કોઈ પણ પ્રકારના રક્તસ્રાવમાં (જો ડાયાબીટીસ ન હોય તો) શેરડી ખુબ હીતાવહ છે. પેશાબ વધારનાર દ્રવ્યોમાં શેરડી ઉત્તમ છે. રતવામાં અને કમળામાં શેરડી સારી. શેરડીનો  રસ આદુના રસ સાથે લેવાથી કફના રોગો, હરડે સાથે લેવાથી પીત્તના રોગો અને સુંઠ સાથે લેવાથી વાયુના રોગો મટે છે. શેરડી ચુસીને કાયમ ખાવાથી કૃશકાયતા અને માંસક્ષય દુર થાય છે. જમવા પહેલાં શેરડી ખાવાથી પીત્તનો નાશ થાય છે, પરંતુ જમ્યા પછી ખાવાથી વાયુનો પ્રકોપ થાય છે. શેરડી વધુ મહેનત કરવાથી લાગેલો થાક દુર કરે છે. (૧) શેરડી ખાવાથી કમળો મટે છે. (૨) ગરમ કરેલા દુધમાં સરખા પ્રમાણમાં શેરડીનો રસ મેળવી પીવાથી મુત્રમાર્ગના રોગોમાં રાહત થાય છે. (૩) રાત્રે બહાર ઝાકળમાં રાખેલી શેરડી સવારે ખાવાથી ધાતુપુષ્ટી થાય છે અને વજન વધે છે. (૪) ચણા ખાધા પછી શેરડીનો રસ પીવાથી ઉગ્ર કમળો (કમળી) મટે છે. (૫) એક ગ્લાસ શેરડીના રસમાં એક ચમચી ઘી નાખી પીવાથી વારંવાર થતી હેડકી મટે છે. (૬) એક ગ્લાસ શેરડીના રસમાં પા(૧/૪) ચમચી  ફુલાવેલો ટંકણખાર નાખી આઠ-દસ દીવસ પીવાથી પેશાબમાં જતી ધાતુ અટકે છે. (૭) શેરડીના રસમાં થોડું ગંઠોડાનું ચુર્ણ નાખી પીવાથી ઉંઘ સારી આવે છે.

શેતુર

October 28, 2009

શેતુર શેતુર સારક હોવાથી શરીરના તમામ મળોને સાફ કરે છે. એ વાયુ અને પીત્ત દુર કરે છે. શેતુરનાં ફળ ખટમધુરાં હોય છે. શીત હોવાથી બળતરા-દાહને રોકે છે. તે વાજીકર હોવાથી મૈથુનશક્તી વધારે છે તથા બળપ્રદ છે. પાકાં શેતુરનું શરબત તાવમાં, ગરમીના દીવસોમાં અને ગરમીના વીકારોમાં ખુબ જ ઉપયોગી છે. ચીત્તભ્રમ, ત્વચારોગો અને લોહીના બગાડમાં પણ ઉપયોગી છે. શેતુરમાં કેલ્શીયમ, ફોસ્ફરસ, લોહ, કેરોટીન(વીટામીન ‘એ’નું પુર્વરુપ), થીયામીન(વીટામીન બી૧), રીબોફ્લેવીન(વીટામીન બી૨) જેવાં તત્ત્વો સારી માત્રામાં રહેલાં છે.

શૃંગાદી ચુર્ણ

October 27, 2009

શૃંગાદી ચુર્ણ અતીવીષ, કાકડાશીંગ અને પીપર સરખા ભાગે લઈ મીશ્ર કરી ખુબ ખાંડી બનાવેલા બારીક ચુર્ણને ‘શૃંગાદી ચુર્ણ’ કહે છે. પાથી અડધી ચમચી ચુર્ણ એકથી દોઢ ચમચી મધ સાથે સવાર-સાંજ ચટાડવાથી બાળકોની શરદી, ખાંસી, કફજ્વર, સસણી, તાવ, ઉલટી વગેરે મટે છે.

શીમળો

October 26, 2009

શીમળો શીમળાને તીક્ષ્ણ લોખંડ જેવા કાંટા હોય છે, લાલચોળ ફુલ હોય છે, અને ઘેરાં લીલાં પાન હોય છે. એની છાલમાંના ચીકણા રસમાંથી લાલ ગુંદર થાય છે જેને મોયરસ કહે છે. શીમળાના ફુલનું શાક સીંધવ અને ઘીમાં વઘારીને ખાવાથી કષ્ટસાધ્ય પ્રદર, રક્તપીત્ત પ્રદર અને કફનો નાશ થાય છે. (૧) શીમળાનાં સુકવેલાં મુળને શેમુર મુસળી કહે છે. આ મુસળીનું અડધી ચમચી ચુર્ણ, એક ચમચી સાકર અને એક ચમચી ગાયનું ઘી એક ગ્લાસ દુધમાં નાખી ગરમ કરી દરરોજ રાત્રે પીવાથી શીઘ્ર સ્ખલનની તકલીફ મટે છે. (૨) એક ચમચી શીમળાની છાલ છાસમાં લસોટી તાજેતાજી સવાર-સાંજ પીવાથી અતીસાર, સંગ્રહણી અને જુનો મરડો મટે છે. (૩) શીમળાની છાલનું ચુર્ણ અડધી ચમચી, એક ચમચી મધ અને એક ચમચી સાકર રોજ રાત્રે લેવાથી શરીર બળવાન બને છે.

ગુજરાતી ભાષાની સમૃદ્ધી

October 24, 2009

ગુજરાતી ભાષાની સમૃદ્ધી

ગાંધીજીની આત્મકથા મુળ ગુજરાતીમાં વાંચવાના આશયથી પરભાષી ગુજરાતી શીખવા આવ્યાં, એ સમાચારથી બહુ હરખાઈ જવાની જરુર નથી એમ કોઈએ કહ્યું. આ પ્રસંગ પરથી જે તારણ આપણે કાઢવું જોઈએ તે એ કે ગાંધીજીની આત્મકથાએ અને અન્ય લખાણોએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી છે. ગાંધીજીનું કહેવાનું તાત્પર્ય ખરેખર તો એમણે જે ભાષામાં પોતાના વીચારો વ્યક્ત કર્યા છે તે ભાષામાં વાંચવાથી જ સાચી રીતે સમજી શકાય. ભાષાંતરમાં ભાષાંતર કરનારની અસર રહેવાની. એક જ હકીકત જુદા જુદા ભાષાંતર કરનાર જુદી જુદી રીતે મુકશે. ગુજરાતી ભાષાને શી રીતે સમૃદ્ધ કરી શકાય? એમાં એવાં ઘણાં બધાં જ્ઞાનસમૃદ્ધ, ઉચ્ચ કક્ષાનાં પુસ્તકો હોય જે બધા જ વીષયોને આવરી લે-વીજ્ઞાનની બધી જ શાખાઓ, ભૌતીકવીજ્ઞાન, રસાયણવીજ્ઞાન, જીવવીજ્ઞાન, ખગોળ, ભુસ્તર, વગેરે(આ માત્ર ઉદાહરણો છે, સંપુર્ણ યાદી નથી) અને આ બધાં વીજ્ઞાનોની બધી જ શાખા-પ્રશાખાઓ ઉપર આજ સુધીનું જ્ઞાન સમાવી લેતાં પુસ્તકો મળી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે, તો સંદર્ભ ગ્રંથ તરીકે અન્ય ભાષા જાણનારાઓ પણ ગુજરાતી શીખવા માંડશે- આ જ્ઞાન પોતાની ભાષામાં ઉતારવા માટે. જેમ આજે અંગ્રેજી ભાષા લોકો શીખવા આતુર છે તેમ ગુજરાતી માટે બની શકે. અત્યારે જ સમાચાર વાંચવા મળ્યા કે ગુજરાત યુનીવર્સીટી બધા વીષયોમાં પી.એચ.ડી. માટેના નીબંધો ધીમે ધીમે માત્ર અંગ્રેજીમાં જ સ્વીકારશે. કેમ કે ગુજરાતીમાં લખેલા ઉચ્ચ કક્ષાના નીબંધોને પણ કોઈ લક્ષમાં લેતું નથી. ખરેખર એનું કારણ ગુજરાતી ભાષાની નબળાઈ છે? કોઈ ગણ્યાગાંઠ્યા નીબંધ હોય તો તે લોકોનું ધ્યાન ખેંચી ન શકે તે સમજી શકાય. હા, શરુઆતમાં એવા ગુજરાતી નીબંધોનું અંગ્રેજી કરવાની જરુર રહેશે. પછી લોકોને ખ્યાલ આવશે કે જો અંગ્રેજીમાં આ વાંચવા કરતાં મુળ ગુજરાતીમાં વાંચવામાં આવે તો જ આનું હાર્દ સમજી શકાશે. વળી ગુજરાતી જેની માતૃભાષા હશે તે પોતાના વીચારો ગુજરાતીમાં વધુ સારી રીતે વ્યક્ત કરી શકે. એની ગુણવત્તા એવી હોય તો પછીથી એનું અંગ્રેજી કરવું વધુ યોગ્ય ગણાશે. ગુજરાતીમાં આવું થઈ શકે? હા, જરુર. જો રતિલાલ ચંદરયા જેવા દાની આપણી પાસે હોય તો આ બની શકે. ગુજરાત આર્થીક રીતે સમૃદ્ધ છે. જરુર છે આ માટે કામ કરનારાઓની. આ માટે પહેલાં તો દસ વાર્ષીક યોજના બનાવવી જોઈએ. શરુઆતમાં કેટલા અને કયા કયા વીષયો લેવા-મળી શકતા વીદ્વાનો, ભેગું કરી શકાતું ફંડ વગેરે મુજબ આ યોજના બનાવી શકાય. દેશ-વીદેશમાં વસતા ગુજરાતીઓ પાસેથી ફંડની વ્યવસ્થા થઈ શકે. આ કામ સહકારી ધોરણે કરી શકાય. જો આપણી પાસે નીસ્વાર્થ ભાવે કામ કરનારા, માત્ર માતૃભાષાની સેવાની ધગશ રાખનારા સેવકો હોય તો આ મુશ્કેલ નથી. પણ સેવા પાછળ કોઈ પણ પ્રકારના મેવાની ઈચ્છા ન હોવી જોઈએ. એ મેવો પછી આર્થીક હોય કે માન-મરતબાનો કે ગમે તે. આ બધું જ્ઞાન લોકભોગ્ય ભાષામાં હોવું પણ મહત્ત્વનું છે. ગાંધીજીએ એમ પણ કહ્યું છે કે ભાષા તો કોશીઓ-કોશ ચલાવનાર પણ સમજી શકે તેવી સાદી હોવી જોઈએ. હાલ અંગ્રેજી શબ્દોની જે ભરમાર જોવામાં આવે છે તે અંગ્રેજી ન ભણ્યા હોય તે લોકો સમજી શકે ખરા? જો કે હું તો લગભગ પાંત્રીસ વર્ષથી અહીં ન્યુઝીલેન્ડમાં છું, આથી દેશમાં જે પરીવર્તન આવી ગયું હશે તેનાથી અજાણ છું. પણ મને લાગે છે કે સામાન્ય માણસ સમજી શકે તેવા નવા ગુજરાતી શબ્દો બનાવતા જવું જોઈએ. ગુજરાતી જેની માતૃભાષા છે તેને શબ્દોના કલેવરથી અર્થબોધ થાય તેમ કરવું જોઈએ. એક સમયે કોઈકે અંગ્રેજી મુજબ નામ ઉપરથી ક્રીયાપદ ગુજરાતીમાં પણ લખવાનો પ્રયોગ કરેલો. જેમ કેઃ સવારે ઉઠીને દાતણ્યો. આ મુજબ આપણા ગુજરાતીના પરીચીત શબ્દો પર અર્થની નવી નવી કલમો કરી શકાય. સાદી ભાષામાં મહત્ત્વનું જ્ઞાન પણ ઉતારી શકાય.

શીરીષ

October 23, 2009

શીરીષ એનાં પાન કુવાડીયા જેવાં અને ફુલ એક કલગી જેવું અનેક પુંકેસરોનું બનેલું અત્યંત મૃદુ હોય છે. એ એટલું કોમળ હોય છે કે અડવાથી ખરી જાય છે. ફુલ સફેદ, પીળાં, લાલ એમ વીભીન્ન રંગનાં અત્યંત સુગંધીત હોય છે. કોઈ પણ જાતના ઝેરમાં શીરીષની અને સાદડની છાલનું એક એક ચમચી ચુર્ણ ઠંડા પાણી સાથે લેવું.

શાક

October 22, 2009

શાક લગભગ બધાં જ શાક ભારે, વાયુ અને કબજીયાત કરનારાંં હોય છે. આ દુર્ગુણો દુર કરવા તેને તેલમાં જીરુ અને હીંગ નાખી વઘારીને જ ખાવાં જોઈએ. શાક ચડી રહ્યા પછી તેમાં મીઠું, ખટાશ અને હીંગનું પાણી નાખવું જોઈએ.

શંખાવલી

October 21, 2009

શંખાવલી સંસ્કૃતમાં એને શંખપુષ્પી કહે છે. શંખાવલી ગુજરાતમાં બધે થાય છે. સમુદ્ર કીનારાની જમીન તેને વધુ અનુકુળ આવે છે. તેનાં પાંદડાં સોનામુખી જેવાં અને ફુલો શ્વેત ગુલાબી અને શંખના આકારનાં હોવાથી એને શંખાવલી કહે છે. શંખાવલી બારે માસ લીલી મળી રહે છે. એનાં પાન મસળવાથી માખણ જેવાં મુલાયમ થાય છે, આથી તેને માખણી પણ કહે છે. ઔષધમાં શંખાવલીનાં બધાં અંગોનો ઉપયોગ થાય છે. તેના સ્વરસની માત્રા ત્રણથી ચાર ચમચી, ઉકાળો એક કપ અને પંચાંગનું ચુર્ણ એક ચમચી સવાર-સાંજ લઈ શકાય. મગજની પુષ્ટી માટે શંખાવલીના પંચાંગનું ચાટણ દુધ સાથે આપવું. તેના સેવનથી ખાલી પડેલું મગજ ભરાય છે. શંખાવલીમાં સારક ગુણ વધારાનો છે, એ સીવાય બીજા ગુણો બ્રાહ્મીને મળતા છે. એની ભાજી બનાવીને પણ ખાઈ શકાય. ફુલ સહીત એના પાનનું તલના તેલમાં વઘારેલું શાક ખુબ સ્વાદીષ્ટ લાગે છે. એનું શાક વાતહર, પાચક, મળને સરકાવનાર, શક્તી અને બુદ્ધીવર્ધક તથા પીત્તહર છે. શંખાવળીની શાખાઓ વીસ ઈંચ જેટલી સુતળી જેવી બારીક રુંવાટીવાળી હોય છે. તેનાં પાન જરા લાંબાં, બુઠ્ઠાં ટેરવાંવાળાં, બારીક અને આંતરે આવેલાં હોય છે. તેની શાખા ઉપર શંખ જેવા જ આકારનાં ફુલોની હાર જોવા મળે છે. તેનાં ફળ ગોળાઈ લેતાં સુક્ષ્મ અણીવાળાં હોય છે. ઔષધમાં સફેદ ફુલોવાળી શંખપુષ્પી વાપરવી. એ ઉત્તમ બુદ્ધી વધારનાર હોઈ માનસીક રોગો, ગાંડપણ, હતાશા-ડીપ્રેશન, એપીલેપ્સી, વાઈ, ઉન્માદ વગેરેમાં હીતાવહ છે. (૧) બેથી ત્રણ ચમચી શંખાવલીનો તાજો રસ સવાર-સાંજ પીવાથી ગાંડપણ મટે છે. શંખાવલીના આખા છોડને મુળ સહીત ઉખેડી સારી રીતે ધોઈ પથ્થર પર લસોટી રસ કાઢવો. (૨) શંખાવલીનું ચુર્ણ અડધી ચમચી, પાંચ નંગ બદામ, બ્રાહ્મી ચુર્ણ પા(૧/૪) ચમચી, ગુલાબના ફુલની પાંખડી નંગ ૧૦, ખસખસ પા(૧/૪) ચમચી, વરીયાળી અડધી ચમચી, મરી નંગ ૧૦ અને એલચી નંગ ૧૦ને દુધમાં લસોટી ચાટણ જેવું બનાવી એક ગ્લાસ દુધમાં સાકર મેળવી શરબત બનાવી રોજ રાત્રે પીવાથી થોડા દીવસોમાં યાદશક્તી વધે છે, ઉંઘ સારી આવે છે, એપીલેપ્સી, ઉન્માદ અને ગાંડપણમાં ફાયદો થાય છે. (૩) શંખાવલીનું મુળ સાથે શરબત બનાવ્યું હોય તો દસ્ત સાફ ઉતરે છે. રોજ શરબત ન બનાવવું હોય તો શંખાવલી ઘૃત એક ચમચી રોજ રાત્રે ચાટી જવું. (૪) શંખાવલીના ચાર ચમચી રસમાં ચારથી પાંચ ચોખાભાર મીઠી કઠનું ચુર્ણ અને બે ચમચી મધ મેળવી રોજ સવાર-સાંજ પીવાથી ઉન્માદ અને વાઈ મટે છે. તમામ પ્રકારની ઘેલછા અને ગાંડપણમાં ખુબ હીતાવહ છે. (૫) શંખાવલીના પાનનો ચાર ચમચી રસ સાકર નાખી પીવાથી પ્રમેહ અને સંગ્રહણીમાં અસરકારક ફાયદો થાય છે. (૬) શંખાવલીના પંચાંગના રસથી સીદ્ધ કરેલું ઘી રેચક હોય છે. આ ઘી એક ચમચી સવાર-સાંજ લેવાથી પેટનો જુનો રોગ સન્નીપાતોદર મટે છે. (૭) શંખાવલીનાં મુળ અને પાનનો ઉકાળો સંધીવા, વીસ્ફોટક અને શરીરની નબળાઈ પર લાભ કરે છે. (૮) શંંખાવલીનાં સુકાં પાન ચલમમાં નાખી ધુમ્રપાન કરવાથી દમમાં ફાયદો થાય છે. (૯) શંખાવલીના ચાર ચમચી રસમાં બે ચમચી મધ અને પાંચ કાળાં મરીનું ચુર્ણ નાખી પીવાથી ઉબકા, ઉલટી, હેડકી અને ઓડકાર મટે છે. (૯) શંખપુષ્પી ચુર્ણ ઃ શંખાવળીના આખા છોડને તેના મુળ સાથે લાવી છાંયડે સુકવી ટુકડા કરીને ખુબ ખાંડી બનાવેલા બારીક ચુર્ણને શંખપુષ્પી ચુર્ણ કહે છે. જે બે મહીના સુધી વાપરી શકાય. બે માસ પછી તેના ગુણ ઓછા થવા લાગે છે. એક ગ્લાસ દુધમાં અડધી ચમચી આ ચુર્ણ, એક ચમચી ગાયનું ઘી અને બે ચમચી ખડી સાકરનો પાઉડર નાખી ઉકાળવું. પછી ઠંડું પડે ત્યારે રોજ રાત્રે પીવાથી મગજની યાદશક્તી વધે છે. નબળાઈ દુર થાય છે. વીદ્યાર્થીઓ અને બુદ્ધીજીવીઓ માટે તે ખુબ સારું છે. માનસીક રોગોનું તે ઉત્તમ ઔષધ છે.