ગુજરાતી ભાષાની સમૃદ્ધી
ગાંધીજીની આત્મકથા મુળ ગુજરાતીમાં વાંચવાના આશયથી પરભાષી ગુજરાતી શીખવા આવ્યાં, એ સમાચારથી બહુ હરખાઈ જવાની જરુર નથી એમ કોઈએ કહ્યું. આ પ્રસંગ પરથી જે તારણ આપણે કાઢવું જોઈએ તે એ કે ગાંધીજીની આત્મકથાએ અને અન્ય લખાણોએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી છે. ગાંધીજીનું કહેવાનું તાત્પર્ય ખરેખર તો એમણે જે ભાષામાં પોતાના વીચારો વ્યક્ત કર્યા છે તે ભાષામાં વાંચવાથી જ સાચી રીતે સમજી શકાય. ભાષાંતરમાં ભાષાંતર કરનારની અસર રહેવાની. એક જ હકીકત જુદા જુદા ભાષાંતર કરનાર જુદી જુદી રીતે મુકશે. ગુજરાતી ભાષાને શી રીતે સમૃદ્ધ કરી શકાય? એમાં એવાં ઘણાં બધાં જ્ઞાનસમૃદ્ધ, ઉચ્ચ કક્ષાનાં પુસ્તકો હોય જે બધા જ વીષયોને આવરી લે-વીજ્ઞાનની બધી જ શાખાઓ, ભૌતીકવીજ્ઞાન, રસાયણવીજ્ઞાન, જીવવીજ્ઞાન, ખગોળ, ભુસ્તર, વગેરે(આ માત્ર ઉદાહરણો છે, સંપુર્ણ યાદી નથી) અને આ બધાં વીજ્ઞાનોની બધી જ શાખા-પ્રશાખાઓ ઉપર આજ સુધીનું જ્ઞાન સમાવી લેતાં પુસ્તકો મળી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે, તો સંદર્ભ ગ્રંથ તરીકે અન્ય ભાષા જાણનારાઓ પણ ગુજરાતી શીખવા માંડશે- આ જ્ઞાન પોતાની ભાષામાં ઉતારવા માટે. જેમ આજે અંગ્રેજી ભાષા લોકો શીખવા આતુર છે તેમ ગુજરાતી માટે બની શકે. અત્યારે જ સમાચાર વાંચવા મળ્યા કે ગુજરાત યુનીવર્સીટી બધા વીષયોમાં પી.એચ.ડી. માટેના નીબંધો ધીમે ધીમે માત્ર અંગ્રેજીમાં જ સ્વીકારશે. કેમ કે ગુજરાતીમાં લખેલા ઉચ્ચ કક્ષાના નીબંધોને પણ કોઈ લક્ષમાં લેતું નથી. ખરેખર એનું કારણ ગુજરાતી ભાષાની નબળાઈ છે? કોઈ ગણ્યાગાંઠ્યા નીબંધ હોય તો તે લોકોનું ધ્યાન ખેંચી ન શકે તે સમજી શકાય. હા, શરુઆતમાં એવા ગુજરાતી નીબંધોનું અંગ્રેજી કરવાની જરુર રહેશે. પછી લોકોને ખ્યાલ આવશે કે જો અંગ્રેજીમાં આ વાંચવા કરતાં મુળ ગુજરાતીમાં વાંચવામાં આવે તો જ આનું હાર્દ સમજી શકાશે. વળી ગુજરાતી જેની માતૃભાષા હશે તે પોતાના વીચારો ગુજરાતીમાં વધુ સારી રીતે વ્યક્ત કરી શકે. એની ગુણવત્તા એવી હોય તો પછીથી એનું અંગ્રેજી કરવું વધુ યોગ્ય ગણાશે. ગુજરાતીમાં આવું થઈ શકે? હા, જરુર. જો રતિલાલ ચંદરયા જેવા દાની આપણી પાસે હોય તો આ બની શકે. ગુજરાત આર્થીક રીતે સમૃદ્ધ છે. જરુર છે આ માટે કામ કરનારાઓની. આ માટે પહેલાં તો દસ વાર્ષીક યોજના બનાવવી જોઈએ. શરુઆતમાં કેટલા અને કયા કયા વીષયો લેવા-મળી શકતા વીદ્વાનો, ભેગું કરી શકાતું ફંડ વગેરે મુજબ આ યોજના બનાવી શકાય. દેશ-વીદેશમાં વસતા ગુજરાતીઓ પાસેથી ફંડની વ્યવસ્થા થઈ શકે. આ કામ સહકારી ધોરણે કરી શકાય. જો આપણી પાસે નીસ્વાર્થ ભાવે કામ કરનારા, માત્ર માતૃભાષાની સેવાની ધગશ રાખનારા સેવકો હોય તો આ મુશ્કેલ નથી. પણ સેવા પાછળ કોઈ પણ પ્રકારના મેવાની ઈચ્છા ન હોવી જોઈએ. એ મેવો પછી આર્થીક હોય કે માન-મરતબાનો કે ગમે તે. આ બધું જ્ઞાન લોકભોગ્ય ભાષામાં હોવું પણ મહત્ત્વનું છે. ગાંધીજીએ એમ પણ કહ્યું છે કે ભાષા તો કોશીઓ-કોશ ચલાવનાર પણ સમજી શકે તેવી સાદી હોવી જોઈએ. હાલ અંગ્રેજી શબ્દોની જે ભરમાર જોવામાં આવે છે તે અંગ્રેજી ન ભણ્યા હોય તે લોકો સમજી શકે ખરા? જો કે હું તો લગભગ પાંત્રીસ વર્ષથી અહીં ન્યુઝીલેન્ડમાં છું, આથી દેશમાં જે પરીવર્તન આવી ગયું હશે તેનાથી અજાણ છું. પણ મને લાગે છે કે સામાન્ય માણસ સમજી શકે તેવા નવા ગુજરાતી શબ્દો બનાવતા જવું જોઈએ. ગુજરાતી જેની માતૃભાષા છે તેને શબ્દોના કલેવરથી અર્થબોધ થાય તેમ કરવું જોઈએ. એક સમયે કોઈકે અંગ્રેજી મુજબ નામ ઉપરથી ક્રીયાપદ ગુજરાતીમાં પણ લખવાનો પ્રયોગ કરેલો. જેમ કેઃ સવારે ઉઠીને દાતણ્યો. આ મુજબ આપણા ગુજરાતીના પરીચીત શબ્દો પર અર્થની નવી નવી કલમો કરી શકાય. સાદી ભાષામાં મહત્ત્વનું જ્ઞાન પણ ઉતારી શકાય.
October 25, 2009 at 6:30 am |
સ્નેહિશ્રી ગાંડાભાઈ ગુજરાતી ભાષા માટે આપે સારી વાત કરી, માતૃભાષાને સતત ઉપયોગમાં લેવું એ માટે સાક્ષરોના સંપર્કમાં રહી તેમની કૃતિઓ વાંચવા સમજવા કોશિશ કરતો રહું છું. આપનું સારૂં યોગદાન છે એ માટે અભિનંદન અને ધન્યવાદ.
કૃપાળુ પરમાત્મા આપને આ પૂણ્ય કામ માટે તંદુરસ્તી બક્ષો એ પ્રાર્થના.
કાંતિલાલ પરમાર
હીચીન
October 25, 2009 at 9:31 am |
વદિલશ્રી ગાંડાભાઈ
ન્યુઝિલેન્ડમાં રહી ને પણ આપ માતૃભાષા માટે જે સુચનો કરો છો તે કાબિલેદાદ છે. ગુજરાત અને ગુજરાતીઓ જે રીતે અંગ્રેજીની પાછ્ળ પાગલ થયા છે તેથી ઘણી વાર ગુજરાતી ભાષા આવનારા દિવસોમાં લુપ્ત થઈ જશે કે શું તેવો ભય લાગ્યા કરે છે. બાળકોને અંગ્રેજી માધ્યમમાં કેજીથી જ ભણાવવા તેવો આજના ગુજરાતી યુવાનો/યુવતીઓનો દુરાગ્રહ પાગલ પણાંની હદે વક્ર્યો છે અને તે ક્યાંજઈ અતકશે તે કોઈ કહી શકે તેમ જણાતું નથી.
શિક્ષણના માધ્યમ વિષે મેં મારા બ્લોગ ઉપર મારાં વિચારો મૂક્યા છે કદાચ આપે વાંચ્યા હશે. બાળક જ નહિ પણ તેમના માબાપનું ગુજરાતી ભાષાનું જ્ઞાન દયા જનક બની ગયું છે ગુજરાતીના શબ્દો અંગ્રેજીમાં સમજાવવા પડે અને પોતાને ગુજરાતી નથી આવડતું તે માટે ગૌરાવ અનુભવે તે ગુજરાતી યૌવનને શુ કહેવું ?
આપના વિચારો અમલમાં મૂકી શકાય તો ગુજરાતી ભાષા માટે બહુ જ મોટું કામ થશે તેમ માનુ છું. આપને ખૂબ ખૂબ ધન્યવાદ !
આપના વિચારો ઝિલી જે કોઈ આગળ આવી શરૂઆત કરે તેમને મારા જેવા સીનીયર સીટીઝન થી જે કોઈ સહાય્/મદદ જોઈએ તો મારી શારીરિક અને આર્થિક મર્યાદામાં રહી કરવા માટે તત્પર રહીશ !
સ-સ્નેહ
અરવિંદ
October 26, 2009 at 4:35 pm |
જેમ કેઃ સવારે ઉઠીને દાતણ્યો
Good one.
Blogging has ceaeted good hopes for Gujarati. Hundreds of ordinary people have taken up this as a hobby.
It is a very positive sign that Gujarati is liked by many.
However, English has peoiferated so much everywhere, that Gujarati replacing it is too far fetched an ambition.
At thr most preventing further erosion should be the aim.
Sorry , I can not type in Gujarati , being in an Austin hotel.
October 26, 2009 at 4:36 pm |
Sorry
English has proliferated so much
October 26, 2009 at 10:17 pm |
માફ કરજો, પણ ગુજરાતી અંગ્રેજી ભાષાનું સ્થાન લઈ શકે એવું કહેવાનો મારો આશય નથી. આજે ગુજરાતીઓ પોતાની માતૃભાષા ન જાણતા હોય તેનું ગૌરવ લે છે, એવું કોઈક જગ્યાએ વાંચ્યું. આવી દયનીય સ્થીતી ગુજરાતીની હોય તો તેને બદલે પરભાષીઓ પણ ગુજરાતી શીખવાનું શરુ કરે એવી સ્થીતી લાવવા માટે ગુજરાતીને સમૃદ્ધ કરવાનો એક વીચાર મેં બહુ જ ટુંકમાં, માત્ર એક સુત્ર રુપે મુક્યો છે. ગુજરાતીના આપણા પરીચીત શબ્દોમાં નવા નવા અર્થો મુકીને વધુ લોકભોગ્ય બનાવવાનું “દાતણ્યો” શબ્દ (જે મેં ક્યાંક વાંચ્યો હતો.) માત્ર એક ઉદાહરણ તરીકે આપ્યો છે. વળી આ મારી પોતાની મૌલીક દેણ નથી.
ફરીથી મારે ખાસ કહેવું છે કે મેં મારા આ વીચારો માત્ર બહુ જ સંક્ષીપ્ત રુપે મુક્યા છે.
October 28, 2009 at 1:36 pm |
“ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શુર.”
ભાષાઓને લોકભોગ્ય બનાવવી પડતી નથી. તેઓ આપમેળે જ લોકભોગ્ય બની જાય છે. ૧૯૬૨ માં ઉકાઈના જંગલોમાં મેં આદિવાસી ભાઈઓને અંગ્રેજીમાં ક્રિકેટની કોમેન્ટરી સંભાળતા જોયા છે. જેમને જે બાબતમાં રસ હોય તે માટેની ભાષા તેઓ જાણી જ લે છે.
અહી અમેરિકામાં અમે ગુજલીશ (ગુજરાતીમીશ્રીત અંગ્રેજી) બોલીએ છીએ કારણ કે બધાજ અંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાય કે બધાજ ગુજરાતી શબ્દોના અંગ્રેજી પર્યાય મળતા નથી. દાખલા તરીકે અંગ્રેજી ‘વિકટીમ’ શબ્દનો સચોટ ગુજરાતી શબ્દ નથી જયારે ગુજરાતી ‘જખ મારીને’ નો તેવો ધારદાર અંગ્રેજી શબ્દપ્રયોગ નથી. એટલે આપણે જે કહેવું હોય તે સામી વ્યક્તિ સારી અને સાચી રીતે સમજી શકે તે માટે જે ભાષા અથવા ભાષામિશ્રણ કામ લાગે તે વાપરવું જરૂરી બને છે.
પણ ભાષાંતર કરવામાં શાબ્દિક અનુવાદ કરવાને બદલે શૈલીનું ધ્યાન રાખવું સારું. જેમ કે ‘ગુડ મોર્નિંગ’ ને માટે ‘સુપ્રભાત’ ને બદલે ‘આજ મુબારક’ કહેવું આપણા ‘સાલ મુબારક’ ને સુસંગત છે.
October 28, 2009 at 10:21 pm |
અહીં વેલીંગ્ટન ઈન્ડીયન એસોસીયેશન દર મહીને પત્રીકા કાઢે છે, એમાં કેટલાક અંગ્રેજીનો ગુજરાતીમાં તરજુમો કરવાનું મને કહેવામાં આવે છે. એમાં ઘણા અંગ્રેજી શબ્દો લેવાની જરુર રહે જ છે. વળી જે અંગ્રેજી શબ્દો લોકોમાં સામાન્ય થઈ ગયા હોય તેને માટે ગુજરાતી શબ્દ મુકવાની કોઈ જરુર જણાતી નથી. કદાચ એવા ગુજરાતીને બદલે અંગ્રેજી શબ્દ લોકો વધુ સારી રીતે સમજી શકે-જો એ ભદંભદ્રીય ગુજરાતી હોય તો.
આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર રશ્મીકાંતભાઈ.