શેરડી

By ગાંડાભાઈ વલ્લભ

શેરડી શેરડી શ્રમહર છે. થાકી ગયા હો તો શેરડી ચુસવી અથવા શેરડીનો રસ પીવો. થાક જતો રહેશે અને તાજગીનો અનુભવ થશે. શેરડી ગળા માટે હીતાવહ છે. શુક્રશોધન દસ ઔષધોમાં શેરડીની ગણતરી થાય છે. જેમનું વીર્ય વાયુપીત્તાદીથી દુષીત થતું હોય, તેમણે શેરડીનો ઉપયોગ કરવો જોઈએ. શેરડી લીવરને તેના કાર્યમાં સક્રીય કરતી હોવાથી કમળા જેવા લીવરના રોગોમાં ખુબ હીતાવહ છે. તરત જ બળ, સ્ફુર્તી એટલે કે તાજગી આપતા ઔષધ દ્રવ્યોમાં શેરડીની ગણતરી થાય છે. આ ઉપરાંત શેરડી રક્તપીત્તનાશક, સેક્સ વધારનાર, વીર્યદોષો દુર કરનાર, વજન વધારનાર, મુત્ર વધારનાર, શીતળ અને પચવામાં ભારે છે. રોજ થોડી શેરડી ખાવાથી શરીર હૃષ્ટપુષ્ટ થાય છે, બળ મળે છે, મેદની વૃદ્ધી થાય છે, અને મૈથુનશક્તી વધે છે. શેરડી કફ કરનાર છે. શેરડીનો રસ પીવા કરતાં શેરડી ચાવીને ખાવી વધુ હીતાવહ છે. શેરડી જમ્યા પહેલાં ખાવી જોઈએ. કોઈ પણ પ્રકારના રક્તસ્રાવમાં (જો ડાયાબીટીસ ન હોય તો) શેરડી ખુબ હીતાવહ છે. પેશાબ વધારનાર દ્રવ્યોમાં શેરડી ઉત્તમ છે. રતવામાં અને કમળામાં શેરડી સારી. શેરડીનો  રસ આદુના રસ સાથે લેવાથી કફના રોગો, હરડે સાથે લેવાથી પીત્તના રોગો અને સુંઠ સાથે લેવાથી વાયુના રોગો મટે છે. શેરડી ચુસીને કાયમ ખાવાથી કૃશકાયતા અને માંસક્ષય દુર થાય છે. જમવા પહેલાં શેરડી ખાવાથી પીત્તનો નાશ થાય છે, પરંતુ જમ્યા પછી ખાવાથી વાયુનો પ્રકોપ થાય છે. શેરડી વધુ મહેનત કરવાથી લાગેલો થાક દુર કરે છે. (૧) શેરડી ખાવાથી કમળો મટે છે. (૨) ગરમ કરેલા દુધમાં સરખા પ્રમાણમાં શેરડીનો રસ મેળવી પીવાથી મુત્રમાર્ગના રોગોમાં રાહત થાય છે. (૩) રાત્રે બહાર ઝાકળમાં રાખેલી શેરડી સવારે ખાવાથી ધાતુપુષ્ટી થાય છે અને વજન વધે છે. (૪) ચણા ખાધા પછી શેરડીનો રસ પીવાથી ઉગ્ર કમળો (કમળી) મટે છે. (૫) એક ગ્લાસ શેરડીના રસમાં એક ચમચી ઘી નાખી પીવાથી વારંવાર થતી હેડકી મટે છે. (૬) એક ગ્લાસ શેરડીના રસમાં પા(૧/૪) ચમચી  ફુલાવેલો ટંકણખાર નાખી આઠ-દસ દીવસ પીવાથી પેશાબમાં જતી ધાતુ અટકે છે. (૭) શેરડીના રસમાં થોડું ગંઠોડાનું ચુર્ણ નાખી પીવાથી ઉંઘ સારી આવે છે.

Tags:

Leave a Reply