સફરજન સફરજનમાં શરીરનાં વીજાતીય દ્રવ્યોનો નાશ કરવાનો ખાસ ગુણ રહેલો છે. એ સંગ્રહણી, મરડો અને અતીસારમાં સારું ગણાય છે. એ ગ્રાહી છે એટલે કે પાતળા મળને બાંધીને રોકે છે. સફરજનમાં પોટેશ્યમ અને મેલીક એસીડ જેવા અગત્યના પદાર્થો છે. એનો મુરબ્બો સંગ્રહણી-અતીસારમાં ખુબ સારો છે. એ રસાયન ઔષધ છે. રોજનું એક સફરજન ખાવાથી તંદુરસ્તી સારી રહે છે. એમાં રહેલું તીવ્ર એન્ટીઑક્સીડંટ શરીરના કોષોને નાશ પામતા અટકાવવામાં મદદરુપ થાય છે. લાલ છાલવાળા સફરજનમાં લીલી છાલવાળા કરતાં એન્ટીઑક્સીડન્ટ વધારે હોય છે. સફરજન હૃદય, મગજ, લીવર અને હોજરીને બળ આપે છે, ભુખ લગાડે છે, લોહી વધારે છે અને શરીરની કાંતી વધારે છે. સફરજનને બાફીને કે સુપ બનાવીને પણ ખાઈ શકાય. એ મરડો, સંગ્રહણી, અતીસાર, આંતરડાનાં ચાંદાં-અલ્સરેટીવ કોલાયટીસમાં સારો ફાયદો કરે છે. પાચનશક્તી નબળી પડી ગઈ હોય, વારંવાર પાતળા ઝાડા થતા હોય કે કબજીયાત રહેતી હોય તો માત્ર સફરજન પર રહેવાથી ફાયદો થાય છે. જો દુધ માફક આવતું હોય તો સવાર-સાંજ દુધ અને બપોરે સફરજન લઈ શકાય. દુધ અને સફરજનની વચમાં એ પચી જાય એટલો સમયગાળો રાખવો જોઈએ, અને એટલા જ પ્રમાણમાં દુધ અને સફરજન ખાવાં જોઈએ. દુધ અનુકુળ ન આવતું હોય તેઓ તાજા દહીંનો મઠો લઈ શકે.
Tags: સફરજન
October 30, 2009 at 5:02 pm |
સફરજનનો લેખ ગમ્યો. શેરડી વિષેનો લેખ પણ સારો રહ્યો.
ગઈકાલે દેવદિવાળી હતી. દેવદિવાળી અને મકરસંક્રાતીમા પહેલા લોકો શેરડી ખાતા. અમે પણ નાનપણમા શેરડી, બોર, કેરી, કેળાં, દ્રાક્ષ્, વ. બહુ ખાધા છે. હવે ૪૦ વર્ષથી વધુ વયની વ્યક્તિઓને આ બધી ચીજોથી દૂર રહેવાની સલહ અપાય છે.
ડોક્ટરો તો તેમના પ્રોફેશનના હિસાબે સલાહ આપતા હોય છે. પરંતુ આ બધી ચીજો જે આરોગ્યને ફાયદાકારક છે તે ક્યારે કેટલી કઈ રીતે ખાવી તે અંગે યોગ્ય માર્ગદર્શન જરૂરી છે.
આભાર!
દિનેશ પંડ્યા
October 30, 2009 at 8:56 pm |
આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર દિનેશભાઈ. આપની વાત સાથે હું સંમત છું.