આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.
(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)
તો અવશ્ય માફ કરીશું
શક્ય છે કે આપણા લાંબા જીવનકાળ દરમીયાન કોઈકે આપણી સાથે દુર્વ્યવહાર પણ કર્યો હોય. એ પણ શક્ય છે કે એક યા બીજા કારણસર તે વ્યક્તી આપણી માફી પણ માગે. આવા પ્રસંગે આપણે સાવધાન થઈ જઈશું. આપણે ખાતરી કરીશું કે તે ખરેખર શુધ્ધ ભાવનાથી આપણી માફી માગે છે કે આપણી પાસેથી પોતાનું કામ કઢાવી લેવા માટે માફી માગવાનું “નાટક” કરે છે? જો એની બદદાનત જણાય તો આપણે તેને માફી ધરાર ન જ આપીએ. એવી મુર્ખામી આપણે ના જ કરીએ. સાવધાન! પરંતુ શાંતીથી વીચારતાં એમ માલુમ પડે કે તે વ્યક્તીની શુધ્ધ દાનત છે, માફી માગવામાં તેનો કોઈ સ્વાર્થ નથી, તે વ્યક્તી ખરા અંતઃકરણથી માફી માગી રહી છે તો…..તો અને તો જ એને આપણે પણ ખરા અંતઃકરણથી માફી આપીએ, અવશ્ય આપીએ. આપણા મનમાં એ વ્યક્તી માટે ઘર કરી ગયેલી બધી જ કડવાશને એક ઝાટકે ઉડાવી દઈ તે વ્યક્તીને અત્યંત પ્રેમપુર્વક ગળે લગાવી દઈએ અને અનુભવીએ કે પર્યાવરણમાં કેટલી સુગંધ પ્રસરી રહી છે!!!
આપણને ખબર છે કે ખરા અઃકરણથી માફી માગવી ખરેખર અઘરી છે, કારણ કે તેમ કરવામાં આપણે આપણો બધો જ અહમ્ બાજુ પર મુકવાનો છે; પરંતુ આપણને એ પણ બરાબર ખબર છે કે ખરા અતઃકરણથી માફી આપવી તેથી પણ અઘરી છે; કારણ કે તેમ કરવામાં આપણે આપણા મનમાં તે વ્યક્તી માટે વ્યાપી ગયેલી બધી જ કડવાશને બાજુ પર મુકવાની છે, જે ખરેખર ખુબ જ અઘરું છે.
ક્ષમા વીરસ્ય ભુષણમ્.
Tags: તો અવશ્ય માફ કરીશું