અજીર્ણ-અપચો
(૨૬) ૪૦૦ મી.લી. ઉકળતા પાણીમાં ૨૫ ગ્રામ સુંઠનું ચુર્ણ નાખી ૨૦-૨૫ મીનીટ ઢાંકી રાખવું. ઠંડુ થયા બાદ વસ્ત્રથી ગાળી ૨૫થી ૫૦ ગ્રામ જેટલું પીવાથી પેટનો અપચો, ખરાબ ઓડકાર તથા ઉદરશુળ મટે છે. (૨૭) સમભાગે સુંઠ અને જવખાર ઘી સાથે ચાટી ઉપર ગરમ પાણી પીવાથી અજીર્ણ મટે છે; ભુખ ઉઘડે છે. (૨૮) સુંઠ ૫ ગ્રામ અને જુનો ગોળ ૫ ગ્રામ મસળી રોજ સવારમાં ખાવાથી અજીર્ણ અને ગૅસ મટે છે. (૨૯) ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડીયા સુધી રાખી મુકવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ ૫૦-૬૦ ગ્રામ જેટલો દીવસમાં ત્રણ વાર પીવાથી અપચો મટે છે. (૩૦) એક-બે ગ્રામ રાઈનું ચુર્ણ થોડી ખાંડ મેળવી ખાવાથી અને ઉપર ૫૦-૬૦ મી.લી. પાણી પીવાથી અપચો અને ઉદરશુળ મટે છે. (૩૧) કુમળા મુળાનો ઉકાળો કરી, તેમાં પીપરનું ચુર્ણ મેળવીને પીવાથી અગ્ની પ્રદીપ્ત થાય છે તેમ જ અપચો કે અપચાથી થયેલ ઉલટી કે ઝાડા મટે છે. (૩૨) ડુંગળીનો રસ ૧૦ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ, હીંગ ૦.૧૬ ગ્રામ મીઠું અને થોડું પાણી મેળવી પીવાથી અપચો મટે છે. જરુર જણાય તો આ મીશ્રણ બે કલાક પછી ફરીથી લઈ શકાય. (૩૩) મીઠાને તવી પર લાલ રંગનું થાય ત્યાં સુધી શેકી, હુંફાળા ગરમ પાણીમાં ૫ ગ્રામ જેટલું લેવાથી અપચો મટે છે. (૩૪) અજમો, સીંધવ અને હરડે દરેક ૧૦-૧૦ ગ્રામ અને હીંગ ૫ ગ્રામનું બારીક ચુર્ણ કરવું. એને પાચન ચુર્ણ કહે છે. આ ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું જમ્યા પછી ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે બપોરે અને રાત્રે નીયમીત લેવાથી ભુખ ન લાગવી, અપચો, પેટનું ભારેપણું, મોળ, ગૅસ, અજીર્ણ અને ઓડકાર મટે છે. (૩૫) હરડે, લીંડીપીપર, સુંઠ અને કાળાં મરી સરખા વજને મીશ્ર કરી, એ મીશ્રણથી બમણા વજનનો ગોળ મેળવી ચણી બોર જેવડી ગોળી બનાવવી. બબ્બે ગોળી સવાર, બપોર અને સાંજે ચુસવાથી અજીર્ણ, અરુચી અને ઉધરસ મટે છે. (૩૬) સરખા ભાગે સુકા ધાણા અને સાકરનો ઉકાળો દરરોજ સવાર-સાંજ પીવાથી અપચો મટે છે. ધાણા, સાકર અને પાણીનું પ્રમાણ પોતાની જરુરીયાત મુજબ રાખવું. (૩૭) લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચી અને મંદાગ્ની મટે છે. (૩૮) રાઈનું ચુર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ મટે છે. (૩૯) ભુખ ન લાગતી હોય કે ભુખ મરી ગઈ હોય તો દીવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભુખ ઉઘડશે. (૪૦) લસણની ચટણી ખાવાથી ભુખ ઉઘડે છે. (૪૧) ફુદીનો, તુલસી, મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુ દુર થઈ ભુખ લાગે છે. (૪૨) ચણાના છોડ પર રાતે કપડું ઢાંકી રાખી, સવારે નીચોવી, એ પાણીને ગરમ કરી ઉડાડી દેતાં વાસણમાં જે ક્ષાર રહે તેનું છાસ સાથે સેવન કરવાથી ગમે તેવું અજીર્ણ મટે છે. (૪૩) ચીત્રક, અજમો, સીંધવ અને મરીના સમભાગે બનાવેલા ચુર્ણનું સેવન કરવાથી અજીર્ણ મટે છે. (૪૪) વરીયાળીનો અર્ક અથવા કાચી કે શેકેલી વરીયાળી નીયમીત ખાવાથી અજીર્ણ મટે છે.