ગુજરાતી ભાષાની સમૃદ્ધી
ગાંધીજીની આત્મકથા મુળ ગુજરાતીમાં વાંચવાના આશયથી પરભાષી ગુજરાતી શીખવા આવ્યાં, એ સમાચારથી બહુ હરખાઈ જવાની જરુર નથી એમ કોઈએ કહ્યું. આ પ્રસંગ પરથી જે તારણ આપણે કાઢવું જોઈએ તે એ કે ગાંધીજીની આત્મકથાએ અને અન્ય લખાણોએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી છે. ગાંધીજીનું કહેવાનું તાત્પર્ય ખરેખર તો એમણે જે ભાષામાં પોતાના વીચારો વ્યક્ત કર્યા છે તે ભાષામાં વાંચવાથી જ સાચી રીતે સમજી શકાય. ભાષાંતરમાં ભાષાંતર કરનારની અસર રહેવાની. એક જ હકીકત જુદા જુદા ભાષાંતર કરનાર જુદી જુદી રીતે મુકશે. ગુજરાતી ભાષાને શી રીતે સમૃદ્ધ કરી શકાય? એમાં એવાં ઘણાં બધાં જ્ઞાનસમૃદ્ધ, ઉચ્ચ કક્ષાનાં પુસ્તકો હોય જે બધા જ વીષયોને આવરી લે-વીજ્ઞાનની બધી જ શાખાઓ, ભૌતીકવીજ્ઞાન, રસાયણવીજ્ઞાન, જીવવીજ્ઞાન, ખગોળ, ભુસ્તર, વગેરે(આ માત્ર ઉદાહરણો છે, સંપુર્ણ યાદી નથી) અને આ બધાં વીજ્ઞાનોની બધી જ શાખા-પ્રશાખાઓ ઉપર આજ સુધીનું જ્ઞાન સમાવી લેતાં પુસ્તકો મળી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે, તો સંદર્ભ ગ્રંથ તરીકે અન્ય ભાષા જાણનારાઓ પણ ગુજરાતી શીખવા માંડશે- આ જ્ઞાન પોતાની ભાષામાં ઉતારવા માટે. જેમ આજે અંગ્રેજી ભાષા લોકો શીખવા આતુર છે તેમ ગુજરાતી માટે બની શકે. અત્યારે જ સમાચાર વાંચવા મળ્યા કે ગુજરાત યુનીવર્સીટી બધા વીષયોમાં પી.એચ.ડી. માટેના નીબંધો ધીમે ધીમે માત્ર અંગ્રેજીમાં જ સ્વીકારશે. કેમ કે ગુજરાતીમાં લખેલા ઉચ્ચ કક્ષાના નીબંધોને પણ કોઈ લક્ષમાં લેતું નથી. ખરેખર એનું કારણ ગુજરાતી ભાષાની નબળાઈ છે? કોઈ ગણ્યાગાંઠ્યા નીબંધ હોય તો તે લોકોનું ધ્યાન ખેંચી ન શકે તે સમજી શકાય. હા, શરુઆતમાં એવા ગુજરાતી નીબંધોનું અંગ્રેજી કરવાની જરુર રહેશે. પછી લોકોને ખ્યાલ આવશે કે જો અંગ્રેજીમાં આ વાંચવા કરતાં મુળ ગુજરાતીમાં વાંચવામાં આવે તો જ આનું હાર્દ સમજી શકાશે. વળી ગુજરાતી જેની માતૃભાષા હશે તે પોતાના વીચારો ગુજરાતીમાં વધુ સારી રીતે વ્યક્ત કરી શકે. એની ગુણવત્તા એવી હોય તો પછીથી એનું અંગ્રેજી કરવું વધુ યોગ્ય ગણાશે. ગુજરાતીમાં આવું થઈ શકે? હા, જરુર. જો રતિલાલ ચંદરયા જેવા દાની આપણી પાસે હોય તો આ બની શકે. ગુજરાત આર્થીક રીતે સમૃદ્ધ છે. જરુર છે આ માટે કામ કરનારાઓની. આ માટે પહેલાં તો દસ વાર્ષીક યોજના બનાવવી જોઈએ. શરુઆતમાં કેટલા અને કયા કયા વીષયો લેવા-મળી શકતા વીદ્વાનો, ભેગું કરી શકાતું ફંડ વગેરે મુજબ આ યોજના બનાવી શકાય. દેશ-વીદેશમાં વસતા ગુજરાતીઓ પાસેથી ફંડની વ્યવસ્થા થઈ શકે. આ કામ સહકારી ધોરણે કરી શકાય. જો આપણી પાસે નીસ્વાર્થ ભાવે કામ કરનારા, માત્ર માતૃભાષાની સેવાની ધગશ રાખનારા સેવકો હોય તો આ મુશ્કેલ નથી. પણ સેવા પાછળ કોઈ પણ પ્રકારના મેવાની ઈચ્છા ન હોવી જોઈએ. એ મેવો પછી આર્થીક હોય કે માન-મરતબાનો કે ગમે તે. આ બધું જ્ઞાન લોકભોગ્ય ભાષામાં હોવું પણ મહત્ત્વનું છે. ગાંધીજીએ એમ પણ કહ્યું છે કે ભાષા તો કોશીઓ-કોશ ચલાવનાર પણ સમજી શકે તેવી સાદી હોવી જોઈએ. હાલ અંગ્રેજી શબ્દોની જે ભરમાર જોવામાં આવે છે તે અંગ્રેજી ન ભણ્યા હોય તે લોકો સમજી શકે ખરા? જો કે હું તો લગભગ પાંત્રીસ વર્ષથી અહીં ન્યુઝીલેન્ડમાં છું, આથી દેશમાં જે પરીવર્તન આવી ગયું હશે તેનાથી અજાણ છું. પણ મને લાગે છે કે સામાન્ય માણસ સમજી શકે તેવા નવા ગુજરાતી શબ્દો બનાવતા જવું જોઈએ. ગુજરાતી જેની માતૃભાષા છે તેને શબ્દોના કલેવરથી અર્થબોધ થાય તેમ કરવું જોઈએ. એક સમયે કોઈકે અંગ્રેજી મુજબ નામ ઉપરથી ક્રીયાપદ ગુજરાતીમાં પણ લખવાનો પ્રયોગ કરેલો. જેમ કેઃ સવારે ઉઠીને દાતણ્યો. આ મુજબ આપણા ગુજરાતીના પરીચીત શબ્દો પર અર્થની નવી નવી કલમો કરી શકાય. સાદી ભાષામાં મહત્ત્વનું જ્ઞાન પણ ઉતારી શકાય.