ખાદીની સાડી
ગાંધીજીએ સ્વરાજ્ય મેળવવા માટે બ્રીટીશ સામ્રાજ્ય સામે જે ઉપાયો શોધી કાઢ્યા હતા તે અદ્ભુત હતા. તેમાંનો એક ઉપાય તે વીદેશી વસ્તુઓનો બહીષ્કાર. તેનાથી હીન્દુસ્તાનની પ્રજાને સ્વદેશી, સ્વાવલંબન અને સ્વદેશીભાનનો મહામંત્ર મળ્યો. વીદેશી વસ્ત્રોના બહીષ્કારની ઘોષણા થઈ ત્યારે હીન્દુસ્તાનની પ્રજાએ ઢગલાબંધ વીદેશી વસ્ત્રોની સ્વૈચ્છાએ હોળી કરી. લોકોમાં ગજબનો જુસ્સો હતો એ વખતે.
હીંદની પ્રજાને રેંટીયાનું દર્શન થયું. ખાદીનો જન્મ થયો. બ્રીટીશ સરકારના કાપડ ઉદ્યોગને સીધો ફટકો પડ્યો. માંચેસ્ટરની કાપડની મીલો બંધ થવા માંડી. અહીં ઘરે ઘરે રેંટીયા ગુંજવા લાગ્યા. ખાદી વણાવા લાગી. લોકોને નવો ઉદ્યોગ મળ્યો. નવી રોજી મળી. નવી ચેતના મળી.
આપણા કાંઠાવીભાગમાં લોકો ઘેર ઘેર કાંતવા લાગ્યા, ખાદી પહેરવા લાગ્યા. એક પણ ઘર એવું ન મળે જ્યાં રેંટીયો ન કંતાતો હોય. કોઈ ખાદી ન પહેરતું હોય. વીદેશી વસ્ત્રો ભાગ્યે જ દેખાય, એવું વાતાવરણ અહીં હતું.
જે લોકો જેલમાં ગયા હતા તે લોકો જેલમાં પણ નીયમીત કાંતતા. નીયમીત ખાદી પહેરવાનો આગ્રહ રાખતા. જીવન પણ ખાદીને શોભે તેવું જીવતા.
હું જેલમાં પણ નીયમીત રેંટીયો કાંતતો. અને કાંતેલા સુતરમાંથી મારી પત્ની માટે એક સુંદર ખાદીની સાડી બનાવવાનું વીચારતો હતો. ખાદીની સાડીના વીચારથી મારું હૈયું પુલકીત થઈ જતું. છેવટે જેલમાંથી છુટ્યા પછી મેં જાતે કાંતેલા સુતરમાંથી મારી પત્ની માટે એક સુંદર સાડી વણાવી હતી. ૧૯૪૨ની ક્રાંતીના સમય દરમીયાન વણાયેલી ખાદીની એ સાડી આજે ૬૨ વરસ પછી પણ મારાં ધર્મપત્ની ડાહીબેન પાસે કોઈ અણમોલ જણસની જેમ પ્રેમથી સચવાયેલી છે.
છે તો એ સાડી જ, પણ એની સાથે પતીનો સાત્વીક પ્રેમ જોડાયેલો છે. સ્વરાજ્યની લડતનાં અવીસ્મરણીય સંસ્મરણો અને ભારતમાતાની સ્વતંત્રતાનાં સ્વપ્નો જોડાયેલાં છે.
આજે છ દાયકા પછી પણ ડાહીબેને એ સાડી જે ભાવથી, જે લાગણીથી સાચવી રાખી છે, તે અમારાં દાંપત્યજીવનનું એક ઉજળું પાસું છે.
૪૨ની ક્રાંતીના એ દીવસો મારાં પત્ની ડાહીબેન યાદ કરે છે ત્યારે એમની ગર્વીલી મુખમુદ્રા પર યુવાનીનો તરવરાટ દેખાય છે.
ટૅગ્સ: જેલજીવનનાં સંભારણાં
Leave a comment