રાષ્ટ્રવાદી મેળો
મેળો શબ્દ સમુદાયનું સુચક છે. હીંદુ સંસ્કૃતીમાં મેળાની વીભાવનામાં ધર્મ અને મોક્ષનો ભાવ અભીપ્રેત છે.
સ્વતંત્રતા સંગ્રામની ચળવળમાં જેલયાત્રાએ અતી મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ જેલયાત્રા દરમીયાન દેશના જુદા જુદા પ્રાંતોમાંથી ભાત ભાતના સ્વાતંત્ર્ય સેનાનીઓ આવતા. તેમાંથી કેટલાક રાષ્ટ્રીય નેતાઓ હતા. કેટલાક કવીઓ, લેખકો, પ્રોફેસરો, ડૉક્ટરો, એંજીનીયરો હતા. તો કેટલાક ધનવાન શ્રેષ્ઠીઓ, સમાજસેવકો અને રાજકીય આગેવાનો પણ હતા.
આ જેલયાત્રા દરમીયાન અમને ગણેશ વાસુદેવ માવલંકર, રવીશંકરદાદા, બલ્લુભાઈ મજમુદાર, નીરુભાઈ દેસાઈ, મધુ લીમયે જેવા પ્રતીભાશાળી રાષ્ટ્રીય આગેવાનોનો પરીચય થયો હતો. એમના જ્ઞાન અને અનુભવનો લાભ મળ્યો હતો. બલ્લુભાઈ મજમુદાર બનારસ યુનીવર્સીટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા. તેઓ જેલમાં અર્થશાસ્ત્રના વર્ગો ચલાવતા. સાબરમતી જેલમાં ગુજરાતના મોટા ઉદ્યોગપતી અંબાલાલ સારાભાઈ પણ રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા બદલ અમારા બધાની સાથે એક કેદીની જેમ રહેતા હતા. જેકભાઈ તેમના સંપર્કમાં આવ્યા હતા. જેકભાઈ ભજનો ગાતા, તે તેમને ખુબ ગમતાં. જેકભાઈને ભજનો સંભળાવવા ખાસ બોલાવતા. સરલાદેવી સારાભાઈ પણ ગાંધી રંગે રંગાયેલાં હતાં. ગુજરાતની અનેક રચનાત્મક પ્રવૃત્તીઓમાં જોડાયેલાં હતાં. જેકભાઈને તો પછીથી ખબર પડી કે જેમને એ ભજનો સંભળાવતા તે અંબાલાલ સારાભાઈ તો અમદાવાદના મોટા મીલમાલીક છે. ત્યારે તેમને નવાઈ લાગી. મહાત્મા ગાંધીએ કેવા કેવા માણસોને ભુરકી નાખી સ્વરાજ્યની લડતમાં ભેળવી લીધા છે! અમને કાંઠા વીભાગના ભાઈઓને આવા વડીલોની સાથે રહેવાનું મળ્યું તેથી જીવનમાં ખુબ જ લાભ થયો છે. સાબરમતી જેલ એ અમારા જેવા માટે તો ‘ઓપન યુનીવર્સીટી’ હતી.
ટૅગ્સ: સાબરમતી જેલમાં
Leave a comment