Archive for જાન્યુઆરી, 2017

દાઝવા પર ઘઉંનો લોટ (આટો)

જાન્યુઆરી 29, 2017

દાઝવા પર ઘઉંનો લોટ (આટો)

પીયુષભાઈની અંગ્રેજી ઈમેલ પરથી

(બ્લોગ પર તા. 29-1-2017)

એક મહીલાનો દાઝી જવા બાબતનો અનુભવ

કેટલાક સમય પહેલાં હું મકાઈડોડા બાફતી હતી. એ તૈયાર થયા છે કે કેમ તે જોવા માટે મેં ઉકળતા પાણીમાં ફોર્ક ખોસ્યો. ફોર્ક ડોડા પરથી સરકી ગયો અને મારો હાથ સીધો ઉકળતા પાણીમાં. હું સખત રીતે દાઝી ગઈ અને ચીસાચીસ કરવા માંડી. એ સાંભળી વીયેતનામ યુદ્ધમાં જઈ આવેલ મારો મીત્ર દોડી આવ્યો. એણે પુછ્યું, “તું ઘઉંનો લોટ રાખે છે?”

મારી પાસે એક બેગમાં ઘઉંનો લોટ હતો. હું તે લઈ આવી. એણે મને આ લોટમાં 10 મીનીટ સુધી હાથ રાખી મુકવાનું કહ્યું.

મારા મીત્રે કહ્યું, “વીયેતનામમાં એકવાર એક ભાઈ આગની લપેટમાં આવી ગયો હતો. ગભરાટમાં બીજું કશું જ મળી ન શક્યું, આથી આગ બુઝાવવા પાસે પડેલી લોટની ગુણ એના પર આખી ને આખી ઠાલવી દીધી. એનાથી આગ તો બુઝાઈ જ ગઈ, એટલું જ નહીં એના શરીર પર એક પણ ફોલ્લો ઉઠી આવ્યો ન હતો. દાઝી જવાની સહેજ પણ વેદના એને થઈ ન હતી. અને ત્યાર બાદ દાઝી જવાનાં કોઈ ચાંઠાં પણ પડ્યાં ન હતાં.”

મેં મારો હાથ લોટની બેગમાં મુકી 10 મીનીટ સુધી રહેવા દીધો. મારા હાથ પર ફોલ્લો તો ઉઠ્યો જ ન હતો, લાલ ચકામું સુદ્ધાં જોવા મળ્યું નહીં, અને સહેજ સરખી વેદના પણ નહીં.

હંમેશાં ઘઉંનો લોટ હાથવગો રાખો, જેથી દાઝી જવાય તો કામ લાગે.

આ લોટમાં ગરમી શોષી લેવાનો ગુણ છે, અને એ પ્રબળ એન્ટીઑક્સીડન્ટ ગુણ પણ ધરાવે છે. આથી દાઝ્યા પછી જો 15 મીનીટની અંદર ઘઉંનો લોટ લગાડવામાં આવે તો બહુ જ રાહત થાય છે.

ફ્લુ-Flu

જાન્યુઆરી 22, 2017

ફ્લુ

મારા એક મીત્રને ફ્લુ થયો છે. એણે માહીતી માટે ફોન કર્યો હતો. મારા બ્લોગ પર આ પહેલાં મેં ફ્લુ વીશે લખ્યું છે, પરંતુ ‘ઔષધો’ વીભાગમાં આપેલી વીગતોનો એમાં સમાવેશ થયો ન હતો, આથી બધી વીગતો સાથે મુકું છું. વળી ફ્લુ અને સ્વાઈન ફ્લુની માહીતી જે અલગ અલગ મુકવામાં આવી હતી તે  આ પોસ્ટમાં સાથે મુકી છે. આ વીગતો માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે, સમસ્યાનો જાતે  ઉપચાર કરવા માટે નહીં. ઉપાયો કરતાં પહેલાં તમારી પ્રકૃતીને એ અનુકુળ છે કે કેમ તેની ખાતરી કરી લેવી, અને ઉપચાર પહેલાં તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ અવશ્ય લેવી.

  1. અરડુસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપીત્ત, કફજ્વર, ફ્લુ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.
  2. નાગરમોથ, ઈન્દ્રજવ, ત્રીફળા, કુટકી (કડુ) અને ફાલસાને સરખા ભાગે અધકચરાં ખાંડી બે ચમચી ભુકાનો ઉકાળો સવાર-સાંજ પીવાથી કફજ જ્વર (જેમાં ફ્લુનો સમાવેશ થાય છે) મટે છે.
  3. તજનું તેલ બેથી ત્રણ ટીપાં એક કપ પાણીમાં મેળવી લેવાથી ઈન્ફ્લ્યુએન્ઝામાં ફાયદો થાય છે.
  4. લસણ, ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી ફ્લુ મટે છે.
  5. અડધા કપ જેટલા કારેલાંના રસમાં એક ચમચી મધ મેળવીને પીવાથી કફજ્વર એટલે કે વાઈરલ ફ્લુ મટે છે.
  6. ફ્લુ અને મૅલેરીયાના તાવમાં તુલસીનાં પાન મરીના ભુકા સાથે ચાવીને ખાવાથી તાવ હળવો પડે છે.
  7. કફના રોગો જેવા કે શરદી-સળેખમ, ફ્લુ-કફજ્વર, ઉધરસ વગેરેમાં ગરમ દુધમાં હળદર નાખી પીવાથી લાભ થાય છે.
  8. ગળો અને તુલસી મોટા ભાગના રોગોથી બચાવે છે, જેમાં સ્વાઈન ફ્લુનો પણ સમાવેશ થાય છે.
  9. કડુ, કરીયાતુ, ગળો, વરાહી કંદ અને પારીજાતનાં ફુલ દરેક ૨૦-૨૦ ગ્રામ લઈ ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વાર ૨૦૦ મીલીલીટર પાણીમાં ઉકાળો કરી પીવાથી સ્વાઈન ફ્લુ સામે રોગપ્રતીકાર શક્તી પ્રાપ્ત થાય છે.
  10. શરદી, ફ્લુની ગોળી: સુંઠ, મરી, પીપર (પીપર જેમ વધુ ઘુંટવામાં આવે તેમ વધુ ગુણ કરે) અને હરડે દરેકનું બારીક તાજું ચુર્ણ ૧૦-૧૦ ગ્રામ અને ગોળ ૮૦ ગ્રામ બધાંને સારી રીતે એકત્ર કરી ઘુંટી ૨-૨ ગ્રામની ગોળી વાળી ઘરમાં છાંયડે જ સુકવવી. શરદી કે ફ્લુની અસર જણાતાં સવાર-સાંજ એક-એક ગોળી મોંમાં મુકી રાખી પોતાની મેળે ઓગળવા દેવી. માત્ર ત્રણ-ચાર દીવસમાં જ સ્પષ્ટ ફેર માલમ પડશે. (આ ઔષધ મેં બનાવીને વાપર્યું છે અને સારો ફાયદો શરદીમાં થયેલો એવું સ્મરણ છે. ફ્લુ વખતે વાપરેલું કે નહીં તે યાદ નથી. -ગાંડાભાઈ) સાથે જરુરી પરેજી પાળવી, જેમ કે વધુ પડતાં ખાંડ-ઘીવાળો, તળેલો, પચવામાં ભારે આહાર ન લેવો, માત્ર સુપાચ્ય હળવો ખોરાક લેવો. બને ત્યાં સુધી શક્તી મુજબ બેત્રણ કીલોમીટર દરરોજ ચાલવું, વગેરે.

 

 

વજન અને સ્વાસ્થ્ય

જાન્યુઆરી 18, 2017

વજન અને સ્વાસ્થ્ય

બ્લોગ પર તા. 18-1-2017

 

  1.  સુર્યોદય પહેલાં ઉઠો

વહેલા સુઈ વહેલા ઉઠવાથી પૃથ્વીના 24 કલાકના ભ્રમણ સાથે તાલમેળ બેસે છે, આથી જે ઉંઘ મળે તે વધુ આરામદાયક હોય છે. આ પ્રકારની ઉંઘ આપણા શરીરમાં થયેલી ભાંગફોડને યોગ્ય રીતે મરામત કરી શકે છે. આથી વધુ તાજગી અનુભવાય છે.

  1.  સવારમાં ઉઠીને ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીઓ

એનાથી ખોરાકના પાચન પછી પેદા થયેલા નકામા પદાર્થો પાચનમાર્ગમાંથી દુર થશે અને પાચનમાર્ગ ચોખ્ખો બની જશે. વળી એક લીંબુના રસમાંથી 30 મી.ગ્રા. વીટામીન સી મળે છે. પુરુષોને રોજના 90 મી.ગ્રા. ની જરુર પડે છે અને સ્ત્રીઓને 75 મી.ગ્રા.. જે લોકો વધુ વીટામીન સી લે છે તેમની પાચનશક્તી વધુ સારી રહે છે. વળી લીંબુનો રસ રોગપ્રતીકારક શક્તી વધારે છે અને શરદી અને ફ્લ્યુ સામે રક્ષણ આપે છે. લીંબુ જંતુનાશક છે, જે બૅક્ટેરીયા અને વાઈરસ બંનેનો નાશ કરે છે. એમાં પોટેશ્યમ અને મેગ્નેશ્યમ હોવાથી માનસીક શક્તી વધારે છે, આથી ડીપ્રેશન અને સ્ટ્રેસ દુર થશે. લીંબુમાં રહેલ એન્ટીઑક્સીડન્ટ કેટલાક પ્રકારનાં કેન્સર સામે રક્ષણ આપે છે.

  1.  માથા પર તથા શરીરે કોપરેલનું માલીશ કરો

કોપરેલમાં સંપૃક્ત ચરબી બહુ મોટા પ્રમાણમાં હોવા છતાં વજન ઘટાડવામાં એ ઉપયોગી ગણાય છે. એનું કારણ એમાં રહેલ મધ્યમ બાંધણીના ફેટી એસીડ છે. આ ફેટી એસીડ લંબાણવાળા ફેટી એસીડ કરતાં સરળતાથી પચી જાય છે, એમાંની શક્તી સરળતાથી અને વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, વળી એની ચરબી શરીરમાં જમા થતી નથી. આથી વજન ઘટાડવા માલીસ ઉપરાંત આહારમાં પણ કોપરેલનો સમાવેશ કરવો જોઈએ.

  1.  સવારે આખા શરીરની ચામડી પર બ્રશ કરો

ચામડી પર બ્રશ કરવાથી લોહીનું પરીભ્રમણ વધુ થાય છે અને નકામા પદાર્થોનો ઝડપથી નીકાલ થાય છે. ખાસ કરીને થાપા અને કમરની ચામડી નીચે અમુક પ્રકારનો એકઠો થયેલો કચરો સરળતાથી દુર થતો નથી. સુકું બ્રશ કરવાથી આ કચરો દુર કરી શકાય છે. એનાથી ચામડી નીચે આંતરીક માલીશ થાય છે. એ માટે સાવ નરમ પણ લાંબા હાથાવાળું બ્રશ લેવું અને દીવસમાં એક વાર વહેલી સવારે સ્નાન પહેલાં બ્રશ કરવું. પણ જો તમને બહુ ઠીક લાગતું ન હોય તો દીવસમાં બે વખત બ્રશ કરવાથી અવશ્ય લાભ થશે.

  1. તલના તેલનું પાંસળીના નીચેના ભાગે માલીશ કરવું

એનાથી પાચનશક્તી સુધરે છે. આમ તો આખા શરીરે તલના તેલનું માલીશ કરવાથી અદ્ભુત ફાયદા થાય છે. એનાથી લોહીનું ભ્રમણ વધવાથી શરીર હલકું થાય અને સ્ફુર્તીનો અનુભવ થાય છે, સારી ઉંઘ આવે છે, અને સ્ટ્રેસ દુર થાય છે. આથી જે બહેનોને સ્ટ્રેસને લીધે માસીક અનીયમીત રીતે આવતું હોય તેમને તેમાં લાભ થાય છે. ત્વચા ચમકીલી અને મુલાયમ બને છે.

  1.  મીઠાવાળા નવશેકા પાણી વડે નસકોરાં સાફ કરવાં

એ માટે નેતી લોટાનો ઉપયોગ કરી શકાય, અથવા બીજી રીતે નાકે પાણી ચડાવી મોં વાટે બહાર કાઢી શકાય. એનાથી માથું પણ હળવું ફુલ થઈ જાય છે અને સાઈનસની સમસ્યા રહેતી નથી. નેતી માટેનું પાણી નળમાંથી ન લેવું, કેમ કે એમાં જે બૅક્ટેરીયા કે અન્ય જીવાણું હોય તેનો ચેપ લાગી શકે. પીવામાં તો હોજરીમાંના એસીડથી એ નાશ પામે. નેતી માટે પાંચ મીનીટ ઉકાળેલું પાણી, ડીસ્ટીલ્ડ પાણી, કે મીઠું નાખેલું પાણી વાપરી શકાય. (હું મીઠું નાખેલું પાણી વાપરું છું. -ગાંડાભાઈ)

  1. સવાર-સાંજ 30 મીનીટ યોગાસન કરો

જોગીંગ, તરવું કે સાઈકલીંગ જેવી કસરત અને યોગ કરવાથી શરીર આમતેમ વાળવામાં સરળતા રહે છે, બેલેન્સ જાળવી શકાય તેમ જ શક્તી જળવાઈ રહે છે.

  1. પ્રાણાયામ – 10 મીનીટ

કંઈ નહીં તો દસ મીનીટ સુધી તો પ્રાણાયામ કરવા જોઈએ. એનાથી શરીરમાં સ્ફુર્તી રહેશે, માનસીક સમતુલા જળવાઈ રહેશે, પેટની ચરબી વધી જશે નહીં અને પાચનશક્તી સુધરશે.

પ્રાણાયામ હંમેશાં સવારમાં ખાલી પેટે અથવા ચા-કોફી પછી 15 મીનીટ બાદ નાહીને કરવા. જમીન પર સાદડી પાથરી પદ્માસનમાં સીધા બેસવું. બને તેટલો ઉંડો શ્વાસ ધીમે ધીમે લો અને સરળતાથી રોકી શકાય ત્યાં સુધી રોકી રાખો. શ્વાસ બહાર કાઢતી વખતે શ્વાસ લેતી વખતે લીધેલા સમય કરતાં બમણો સમય લેવો. આ એક પ્રાણાયામ થયો. એવા 3થી 10 પ્રાણાયામ કરવા. એક પ્રાણાયામ 2 મીનીટથી વધુ હોવો ન જોઈએ. જો પ્રાણાયામ કરતાં ચક્કર આવવા લાગે કે શ્વાસોચ્છ્વાસમાં તકલીફ પડે તો તરત જ અટકી જવું.

  1. ધ્યાન-મેડીટેશન

20-20 મીનીટ સવાર-સાંજ ધ્યાન કરવાથી સ્ફુર્તીમાં વધારો થાય છે અને માનસીક સ્વસ્થતા મળે છે.

  1. એક પણ સમયનું ભોજન છોડી ન દેવું, પણ ભુખ લાગે ત્યારે ખાવું

જ્યારે એકાદ ટંકનું ભોજન જતું કરવામાં આવે છે ત્યારે પાચનક્રીયા ખોરવાઈ જાય છે. યોગ્ય રીતે પાચનની અને ચયાપચયની ક્રીયા માટે ત્રણ ટંક ભોજન અને બે વખત નાસ્તો કરવો જોઈએ. દીવસ દરમીયાન ભુખ્યા રહેવામાં આવે અને પછી એક જ વખત ખાવાથી વધુ પડતું ખવાય છે. એનાથી પાચન અને ચયાપચયની ક્રીયામાં જે ગરબડ પેદા થાય છે તેથી લોહીમાંના ગ્લુકોઝનું સ્તર ખોરવાઈ જતાં ઈન્સ્યુલીન પેદા થવામાં વીક્ષેપ પડે છે. આ સ્થીતી લાંબો સમય ચાલુ રહે તો ડાયાબીટીસ થઈ શકે. (પશ્ચીમના દેશોમાં પ્રચલીત રુઢી મુજબ પાંચ વખત ખાવાનું કદાચ બધી વ્યક્તીઓને અનુકુળ આવી ન શકે. વળી ઉંમર વધતાં પાચનશક્તી નબળી પડે આથી પોતાની પાચનશક્તી મુજબ આહારનું પ્રમાણ અને સંખ્યા પોતે નક્કી  કરે તે વધુ યોગ્ય ગણાય. -ગાંડાભાઈ)

  1.  દર વખતે મુખ્ય ભોજનની શરુઆત આદુના ટુકડાથી કરો

ભોજન પહેલાં આદુ ખાવાથી પાચનશક્તી સતેજ બને છે. આદુનો રસ અને લીંબુનો રસ મીક્સ કરીને પણ લઈ શકાય અથવા આદુનું અથાણું પણ લઈ શકાય.

  1. વીરોધી ખાનપાન

જ્યારે બે કે ત્રણ આહાર દ્રવ્યો અલગ અલગ સ્વાદ, પ્રકૃતી અને વીપાક ધરાવનારાં હોય ત્યારે તેને સાથે ખાવાથી પાચકાગ્ની પર વધુ પડતો બોજો આવી પડે છે. આથી પાચકરસોનો યોગ્ય સ્રાવ થતો નથી અને ઝેરી પદાર્થો પેદા થાય છે.

વીરોધી ખાનપાન નીચે મુજબ છે:

દુધ સાથે: કેળાં, ખજુર, લીંબુ, પપૈયાં, વગેરે ફળો; અને ગોળ, લસણ, ડુંગળી, મુળા, ગાજર, તુલસી, આદુ, દહીં, છાસ, કઢી, ઢોકળાં, અથાણાં, માંસ, મચ્છી, ઈંડાં, કોડલીવર ઑઈલ વગેરે વીરુદ્ધ આહાર છે.

દહીં સાથે: ગોળ, દુધ, મુળા અને કેળાં વીરુદ્ધ છે.

ગોળ સાથે: મુળા, તેલ, લસણ, અડદ, દુધ, દહીં વીરુદ્ધ છે.

ઘી અને મધ સાથે લેવાનાં હોય તો સરખા ભાગે ન લેવાય. ક્યાં તો ઘી બમણુ કે મધ બમણુ લેવું.

બીજા એક અભીપ્રાય મુજબ વીરોધી ખાનપાન નીચે મુજબ છે:

આ વસ્તુ આની સાથે ન ખાવી
કઠોળ ફળ, ચીઝ, ઈંડાં, મચ્છી, દુધ, દહીં, માંસ
ઈંડાં ફળ-ખાસ કરીને તરબુચ, સકરટેટી જેવાં, કઠોળ, ચીઝ, મચ્છી, દુધ, દહીં, માંસ
ફળ ખરી રીતે કોઈ પણ વસ્તુ સાથે સીવાય કે ખજુર અને દુધ જે રસ, વીર્ય અને વીપાકમાં સરખાં જ હોય છે.
અનાજ ફળ, સાબુદાણા
મધ ઘી સાથે સમાન વજને નહીં, ઉકાળેલું કે રાંધવામાં મધ નહીં
હોટ ડ્રીન્ક્સ કેરી, ચીઝ, મચ્છી, માંસ, દહીં

 

  1.  ભોજન સાથે ગરમ પાણી

જમતી વખતે થોડું થોડું ગરમ પાણી પીતા રહેવાથી પાચનક્રીયાને વેગ મળે છે, કીડનીના કાર્યને મદદ મળે છે, લોહીમાંની શર્કરા પર નીયમન રહે છે અને ગળ્યુ ખાવાની ઈચ્છા પર કાબુ રહે છે. પરંતુ જમતી વખતે વધુ પડતુ પાણી પીવું નહીં, કેમ કે એથી પાચકરસો મંદ થવાથી લાભને બદલે નુકસાન થશે. જો તમે કોઈ અદ્ભુત ઉત્તમ પીણાની શોધમાં હશો તો નીરાશ થશો. ગરમ પાણી જ એક માત્ર એવું પીણુ છે. યોગ્ય પ્રમાણમાં ગરમ પાણી પીતા રહેવાથી જરુરી એવી શરીરની બધી પ્રકીયાઓ વેગવંતી બને છે.

  1.  સૌથી અગત્યનું – વધુમાં વધુ ભોજન બપોરે અને સાંજનું માત્ર હળવું અને સુપાચ્ય

હાલમાં થયેલાં સંશોધનો અનુસાર શરીરનું યોગ્ય વજન જાળવી રાખવા માટે દીવસ દરમીયાન 2-3 વાર ભોજન કરવું જોઈએ. એનાથી રોગો સામે રક્ષણ મળશે અને ઉંમરમાં પણ વધારો થશે. જો કે કેટલી વાર અને કેટલું ખાવું તે ઉંમર, સ્વાસ્થ્ય અને બીજી કેટલીક બાબતો પર આધાર રાખે છે. પણ થોડું થોડું અવારનવાર ખાવાથી જરુર કરતાં વધુ ખવાઈ જાય છે. કેમ કે એમાં ખાવાની ઈચ્છા સતત થતી રહે છે, એ રીતે વજન ઘટાડવામાં એ સહાયક નથી.

  1.  થોડું ઘી પણ ખાવું જોઈએ

આયુર્વેદ અનુસાર ઘી ખાસ કરીને પાચકાગ્નીને સતેજ કરે છે. ઘી જ માત્ર એવી ચરબી છે જે પાચનશક્તી વધારે છે. વળી ઘી ઘણું સુક્ષ્મ હોવાથી એ કોષોની અંદર ઉંડે સુધી પ્રવેશ કરી જાય છે અને એ રીતે લુબ્રીકેશનનું કામ કરે છે અને ઠંડક પહોંચાડે છે.

ઘી એ દુધમાંની શુદ્ધ ચરબી છે. એમાં સંપૃક્ત અને અસંપૃક્ત (saturated and unsaturated) ચરબીના મીશ્રણનું બેલેન્સ છે. એમાંની સંપૃક્ત ચરબી પણ ટુંકી ચેનના ફેટી એસીડ છે. આથી નુકસાનકર્તા નથી. આ વાત ગાયના ઘીની છે.

  1.  કુદરતી આખાં આહારદ્રવ્યોને રાંધીને ઉપયોગમાં લો

ખોરાક રાંધીને ખાવાથી પાચકાગ્નીને અદ્ભુત સહાય થાય છે, જે પાચનક્રીયા માટે અત્યંત ઉપયોગી બાબત છે.

સામાન્ય ખ્યાલ એવો છે કે રાંધ્યા વીનાના આહારમાં કુદરતી પોષક તત્ત્વો અને પાચકરસ ઉત્તેજીત કરનાર પદાર્થો વધુ હોય છે. પણ આયુર્વેદ અનુસાર ખાસ કરીને ચરક સંહીતા મુજબ રાંધેલો ખોરાક ઘણી સરળતાથી પચી જતો હોવાથી તથા પ્રાણ (મુળ જીવનશક્તી) પ્રોત્સાહક હોવાથી એ જ ઉત્તમ છે.

  1.  10 મીનીટ વરાળનો બાફ લો

અઠવાડીયામાં એક કે બે વખત નીલગીરી તેલ નાખી વરાળનો બાફ લો. ખાસ કરીને જો તમારું નાક બંધ થઈ ગયું હોય કે શ્વાસની કોઈ સમસ્યા હોય તો આ ઉપાય ઘણો કામનો છે. વળી ચહેરાનું સૌંદર્ય વધારવા માટે પણ બાફ લઈ શકાય. એનાથી ચામડી નીચે એકઠો થયેલો કચરો નીકળી જવાથી ખીલ પણ થતા નથી, અને થયા હોય તો મટી જાય છે.

  1.  ગાજર, બીટ અને કાકડીનો રસ પીઓ

10 ભાગ ગાજર, 3 ભાગ બીટ અને 3 ભાગ કાકડી (વજન અનુસાર) લઈ એક ગ્લાસ જેટલો રસ કાઢીને પીવો જોઈએ.  સવારે કશું ખાધા પહેલાં કે સવારનો નાસ્તો પચ્યા પછી કે બપોર પછી, પણ બપોરનું જમણ પચ્યા પછી પી શકાય.

  1.  દીવસમાં બે વખત ચ્યવનપ્રાશ લો

ચ્યવનપ્રાશ રોગો સામે રક્ષણ આપતું ઉત્તમ પ્રકારનું ઔષધ છે. એમાં સારા પ્રમાણમાં વીટામીન સી અને બીજા એન્ટી ઑક્સીડન્ટ હોય છે. એના પાઠમાં મુખ્ય ઘટક આમળાં હોય છે જે વીટામીન સીનો ભંડાર છે. આ ઉપરાંત એમાં બીજાં 40 ઔષધો હોય છે, જે બધાં સારી જાતનાં એન્ટી ઑક્સીડન્ટ છે. આથી એ રોગપ્રતીકારક શક્તીમાં વધારો કરે છે.

  1.  રાત્રે સુતાં પહેલાં ત્રીફળા લો

સુતાં પહેલાં ત્રીફળા લેવાથી પાચનમાર્ગ સ્વચ્છ થાય છે. ત્રીફળામાં હરડે, આમળાં અને બહેડાં સમાન ભાગે મેળવવામાં આવે છે.

પ્રભુની આજ્ઞા

જાન્યુઆરી 8, 2017

પ્રભુની આજ્ઞા

બ્લોગ પર તા. ૮-૧-૧૭

પિયુષભાઈના ઈમેલ પરથી અંગ્રેજીમાંથી ગુજરાતીમાં

આ વીડીઓના અંતે નોંધ હતી, “SHARE TO BLESS OTHERS”

નાનકડા પરીવારવાળી એક બહુ જ ગરીબ મહીલાએ રેડીઓ સ્ટેશનને ફોન કરી ભગવાન વતી મદદની માગણી કરી. એક નાસ્તીક આ રેડીઓ પ્રોગ્રામ સાંભળતો હતો. એને આ મહીલાની મજાક કરવાની ઈચ્છા થઈ. એણે સરનામું લીધું, એની સેક્રેટરીને ફોન કર્યો અને સારા એવા પ્રમાણમાં ભોજન સામગ્રી ખરીદવાનું કહ્યું, અને આ મહીલાના સરનામે બધું પહોંચાડવા જણાવ્યું. સાથે સાથે સુચના આપી, “જ્યારે એ બહેન પુછે કે આ બધું ખાવાનું કોણે મોકલ્યું? ત્યારે એને કહેજો કે એ તમને શેતાન તરફથી મોકલવામાં આવ્યું છે.”

બપોર પછી મોડી મોડી પેલી સેક્રેટરી આ મહીલાના ઘરે પુશ્કળ ખાવાનું લઈને આવી પહોંચી. મહીલા મદદ આવેલી જોઈને ખુશખુશાલ થઈ ગઈ, અને મદદ બદલ આભારની લાગણી વ્યક્ત કરી.

“આ મદદ કોણે મોકલી છે એ તમે જાણવાનું ઈચ્છતાં નથી બહેન?” સક્રેટરીએ પુછ્યું.

એ મહીલાએ જવાબ આપ્યો, “ના, જેણે પણ મદદ મોકલી હોય તેને ‘થેન્ક યુ’ કહેજો! કોણે મદદ મોકલી એની મને કોઈ ચીંતા નથી, કેમ કે હું જાણું છું કે જ્યારે પ્રભુ આજ્ઞા કરે ત્યારે શેતાને સુધ્ધાં એનો અમલ કરવો જ પડે.”

અતી સુંદર શીખામણ

જાન્યુઆરી 5, 2017

અતી સુંદર શીખામણ

પીયુષભાઈના ૫-૧-૧૭ના ઈમેલમાંથી, એમની પરવાનગી અને સૌજન્ય થકી. લેખકનું નામ મળી શક્યું નથી. અંગ્રેજીમાંથી ગુજરાતી -ગાંડાભાઈ

ભલું હોય તે કરવામાં વ્યસ્ત રહો. … વધુ પડતા લીંબુનો રસ પાણીમાંથી દુર કરો.

મને હજુ પણ બરાબર યાદ છે જ્યારે હું પહેલી વાર લીંબુનું શરબત બનાવી રહ્યો હતો.  મેં પાણીમાં જરુર કરતાં લગભગ પાંચગણું લીંબુ નીચોવી દીધું! અને શરબત? સાવ ખાટું. એને કેમ કરીને પીવાય! મારે હવે કંઈક કરવું પડે, એને પીવા લાયક બનાવવું પડે. મને થયું કે પાણીમાંથી હું કોઈક રીતે વધારાનો લીંબુરસ ખેંચી લઉં તો એ ફરીથી સ્વાદીષ્ટ થઈ જાય. પણ અફસોસ! અમુક બાબતો કર્યા પછી અનહોની કદી થઈ શકતી નથી. કેટલીક બાબતો કદી બદલી શકાતી નથી. વધારે પડી ગયેલો લીંબુનો રસ પાણીમાંથી દુર કરવાનો ઉપાય હું  જાણતો ન હતો.

તો પછી કરવું શું?

એનો એક માત્ર ઉપાય હતો બીજા ચાર ગ્લાસ પાણી એમાં ઉમેરવાનો, એકમાંથી પાંચ ગ્લાસ શરબત બનાવવું. આ હકીકતે મને વીચાર કરતો કરી મુક્યો. કેટલીક વાર જીવનમાં કંઈક ખોટું વેતરાયું હોય તેને આપણે થયું તે ન થયું કરી શકતા નથી. કેટલાક ગલત નીર્ણયો, કોઈ ખોટી પસંદગી, ક્યાંક નુકસાનકારક રોકાણ, કોઈ ખોટું ભરેલું પગલું, કોઈની ખોટી સંગત, ખોટા ઉદ્ગારો કે ખોટું વર્તન કદી બદલી શકાતાં નથી.

તો પછી એનો ઉપાય શો? જે ગલત થઈ ગયું હોય તેને જો તમે સુધારી ન શકો તો તેમ કરવામાં વધુ સમય વેડફશો નહીં. એ જાણે પાણીમાંથી લીંબુનો રસ દુર કરવાના પ્રયાસ જેવું હશે. એને બદલે એનાથી વીપરીત સારી બાબતો કરવા મંડી પડો જેથી પેલી ગલત બાબત સાવ ક્ષુલ્લક બની જાય. આપણાં બધાની અંદર નકારાત્મક બાબતો પણ હોય છે. એ નકારાત્મક બધી બાબતોને આપણે દુર કરી ન શકીએ કે સુધારી ન શકીએ, પણ આપણે જરુરથી વીધાયક, સકારાત્મક વીચારો, પોઝીટીવ વાંચન અને ભલા માણસોને આપણા જીવનમાં ઉમેરી તો શકીએ જ, અને એ રીતે નકારાત્મકને નરમ કરી શકીએ. આપણે બધાએ જ આપણા જીવનમાં કેટલાક મુશ્કેલ લોકો સાથે અને કેટલાક સરળ લોકો સાથે સંબંધમાં આવવાનું થાય જ. મુશ્કેલ લોકોને બદલવાના પ્રયત્નો કરવામાં સમય બગાડશો નહીં. એમ કરવામાં તમે તમારી સમગ્ર શક્તી નકામી વેડફી નાખશો. એને બદલે તમારો મોટા ભાગનો સમય સારા, આનંદી અને સુખી લોકો સાથે વીતાવો, જેથી મુશ્કેલી પેદા કરનારા લોકોની તમારા પર ખાસ અસર થશે નહીં. જીવનમાં બધી બાબતો અણીશુદ્ધ સંપુર્ણ હોતી નથી. જે બરાબર ન હોય તેને સરખું કરવામાં વધુ પડતો સમય વેડફશો નહીં. હંમેશાં સારું – ભલું કરવામાં વ્યસ્ત બનો.

 

દર્દ નીવારણ

જાન્યુઆરી 1, 2017

દર્દ નીવારણ

(બ્લોગ પર તા. ૧-૧-૨૦૧૭)

અમેરીકામાં કરવામાં આવેલ એક અભ્યાસ મુજબ સકારાત્મક વીચારો કરવાથી દુખાવમાં રાહત થાય છે. આ હકીકત વૈજ્ઞાનીક રીતે સાબીત થઈ છે. પોઝીટીવ વીચારો કરવાથી, મારું દર્દ ઓછું થઈ રહ્યું છે એવો ખરેખરો મનનો વીચાર મોર્ફીનના ઈન્જેક્શન જેટલો જ પ્રભાવક છે. ડૉક્ટરોની એક ટીમે ૧૦ સ્વસ્થ લોકો પર પ્રયોગ કર્યો હતો. એમના પગને વીજળીના એક સાધન વડે ગરમી આપવામાં આવી હતી, જેથી એમને દર્દનો અનુભવ થાય. સાથે જ તઓના મગજનું સ્કેનીંગ કરવામાં આવ્યું, જેથી માલમ પડે કે મગજનો કયો ભાગ કેવી પ્રતીક્રીયા કરે છે.

પ્રયોગ દરમીયાન માલમ પડ્યું કે કેટલીય વાર દર્દ વધારવા છતાં મગજની કોશીકાઓએ સ્કેનીંગમાં ખબર એવી આપી કે દર્દ ઓછું છે. અભ્યાસ દરમીયાન એવું માલમ પડ્યું કે જે લોકોએ દર્દ ઓછું હોવાની ભાવના કરી હતી, તેમને ૨૮ ટકા જેટલા ઓછા દર્દનો અનુભવ થયો હતો. દર્દમાં થયેલી આ કમી દર્દનીવારક ઈન્જેક્શન કે ગોળી લીધી હોય તેના જેવી જ હતી. સાથે જ દર્દનો અનુભવ મગજના જે ભાગમાં થાય છે તેમાં પણ હલચલ ઘટી ગયેલી જોવામાં આવી હતી.

આ પ્રયોગો પરથી એ સાબીત થાય છે કે દર્દ માત્ર શરીરના ઈજાગ્રસ્ત ભાગના જ્ઞાનતંતુઓએ મગજને પહોંચાડેલ સંદેશા પર જ આધાર રાખે છે એવું નથી. દર્દનીવારણ માટે માત્ર દવા પર જ આધાર રાખવો ન જોઈએ. મગજ પાસે દર્દનું પ્રમાણ નક્કી કરવાની ક્ષમતા હોય છે, આપણે એની એ શક્તીનો ઉપયોગ કરવો જોઈએ. આ નવી શોધ સ્વયં સુચનના ઉપયોગનાં દ્વાર ખોલે છે.