સ્મૃતીભ્રંશ (Alzheimer)
પીયુષભાઈના ઈમેલમાંથી. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં -ગાંડાભાઈ
બ્લોગ પર તા. 25-4-2017
ભારતમાં સ્મૃતીભ્રંશ રોગ સામેના પ્રતીકારનું રહસ્ય
સ્મૃતીભ્રંશ રોગ(Alzheimer deceases)થી ભારત કરતાં અમેરીકામાં મૃત્યુ થવાની શક્યતા લગભગ 100 ગણી વધુ હોય છે.
એનું કારણ શું હશે?
કહેવાય છે કે આખી દુનીયામાં ડૉક્ટરી સારવાર સૌથી સારામાં સારી અમેરીકામાં છે. અમેરીકામાં અતી આધુનીક પદ્ધતીએ રોગોનું નીદાન કરી શકાય છે, દવાઓ છેલ્લામાં છેલ્લી શોધ અનુસાર મળે છે, સતત થતી શોધોનો લાભ મળે છે. ભારતમાં ઘણા લોકો દારુણ ગરીબાઈમાં જીવે છે. તેઓ ડૉક્ટરને ત્યાં ભાગ્યે જ જઈ શકે છે. એમનું માનસીક સ્વાસ્થ્ય ધનવાન અમેરીકન કરતાં સારું કેવી રીતે હોય છે? સંશોધકોના એક ગૃપને લાગે છે કે એનો ઉત્તર એમની પાસે છે. એ છે સૈકાઓથી એમનો પરંપરાગત આહાર.
ભારતમાં સ્મૃતીભ્રંશનો પ્રતીકાર કરનાર એ રહસ્ય યાદશક્તીને નબળી પડતી અટકાવે છે. આ બાબતમાં આધુનીક ડૉક્ટરી દવા બનાવનારી કંપનીઓ સફળતા મેળવી શકી નથી.
એ છે એક તેજાનાની વસ્તુ, મસાલાની એક ચીજ. એ તમારા રસોડામાં જ હોય છે, પણ ઘણા લોકો (અમેરીકામાં) એનો બહુ ઉપયોગ કરતા હોતા નથી.
તાજેતરના અભ્યાસમાં માલમ પડ્યું છે કે હળદર (કે હલદી) સ્મૃતીભ્રંશ સામે એક બહુ જ શક્તીશાળી શસ્ત્ર છે. હળદર વડે રસોઈને પીળો રંગ મળે છે. હળદરમાં કર્ક્યુમીન નામે એક તત્ત્વ હોય છે. એ બહુ જ શક્તીશાળી એન્ટી ઑક્સીડન્ટ છે અને એ સોજો તેમ જ દુખાવો મટાડે છે. (મારા અનુભવમાં હળદર રુઝ લાવવામાં પણ અકસીર છે. -ગાંડાભાઈ)
એક અભ્યાસ દરમીયાન દર્દીઓને દરરોજ 764 મીલીગ્રામ હળદરનો પાવડર ટીકડીના રુપમાં 12 અઠવાડીયાં સુધી આપવામાં આવ્યો હતો. એનાથી તેમને 100 મીલીગ્રામ જેટલું કર્ક્યુમીન મળતું હતું. સંશોધકો કહે છે કે દર્દીઓને એનાથી ગણનાપાત્ર ફાયદો થયો હતો. તેમનાં લક્ષણો સુધર્યાં અને સારવાર કરનાર લોકો પરનું દબાણ હળવું થયું. વળી હળદર લાંબા સમય સુધી લાભ પહોંચાડતી રહે છે. એક વર્ષ પછી પણ દર્દીઓએ પાછી મેળવેલી યાદશક્તી અકબંધ રહે છે.
આ અભ્યાસનું તારણ બતાવે છે કે હળદરથી દર્દીનું જીવન તથા રોબરોજની પ્રવૃત્તી ઘણી સુધરી જાય છે.
સંશોધકોનું કહેવું છે કે મગજના જ્ઞાનકોષોને જે એક પ્રકારનું ચીકાશવાળું પ્રોટીન નુકસાન કરે છે તે પ્રોટીનને હળદર દબાવી દે છે. આ પ્રોટીન ચીત્તભ્રંશ માટે મહદ અંશે જવાબદાર છે. હળદર સ્મૃતીભ્રંશ માટે જવાબદાર જ્ઞાનતંતુના સોજાને પણ કંઈક અંશે દુર કરે છે.
આહારમાં હળદર મળતી રહે એ માટે સારામાં સારો ઉપાય તો તમે બને તેટલો વધુ ઉપયોગ મસાલાવાળી વાનગી (curry dish)નો સ્વાદ માણતા થઈ જાઓ એ જ છે. જો કે ભારતના લોકોની જેમ તમે (અમેરીકન લોકો) કદાચ રોજે રોજ તો મસાલા વાપરવાનું પસંદ નહીં પણ કરે.
તો બીજો ઉપાય છે હળદર/કર્ક્યુમીનની ટેબ્લેટ લેવી, જેનાથી મગજને સ્વસ્થ બનાવવાનો લાભ મળી શકે. સવાર, બપોર, સાંજ દરરોજ 400-600 મીલીગ્રામ અથવા એ દવાના લેબલ પર જણાવ્યા મુજબ દવા લેવી. જે ટેબ્લેટમાં કાળાં મરી અથવા લાંબી પીપર ઉમેરેલી હોય તે લેવી, કેમ કે એ અભીશોષણમાં સારી મદદ કરે છે.
બ્રોકલીમાં પણ એક પ્રકારનું એન્ટી ઑક્સીડન્ટ શોધાયું છે જે મગજના કોષોને નુકસાન થતું રોકે છે.
Good Health,
Angela Salerno
Publisher, INH Health Watch