આઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ
પ્રકરણ ૧૨ : મારી શરણાગતી અને જેલયાત્રા
અમે ૯મી ઑગષ્ટ, ૧૫મી ઑગષ્ટ, ૨જી ઓક્ટોબર, ૨૬મી જાન્યુઆરી, ૬ઠ્ઠી એપ્રીલ વગેરે દીવસો ઉજવતા. પ્રભાતફેરી, સરઘસ, ધ્વજો ચઢાવવા વગેરે કાર્યક્રમો રાખવામાં આવતા. આ ઉપરાંત ચોરા બાળવાનું, દારુ-તાડીનાં પીઠાં બાળવાનું, નીશાળનાં દફતરો બાળવાનું પણ ચાલતું. અમે દાંડીનો ઉતારો બાળ્યો. પોલીસ પટેલ નાનુભાઈ દેસાઈના ઘરેથી રેકોર્ડ લઈ લીધા. નીશાળનાં દફતરો પણ બાળ્યાં. આવે વખતે અમારે ખુબ તકેદારી રાખવી પડતી. કોઈની જાનહાની ન કરવી એટલી મર્યાદા અમે રાખી હતી અને છેવટ સુધી એનું પાલન થયું. પરંતુ આવી છુપી પ્રવૃત્તીનાં ભયસ્થાનો પણ હતાં. અમારી ટુકડીમાં પણ કેટલીક વાર અનીચ્છનીય વ્યક્તીઓ ભળી જતી હતી એવું અમે જોયું. જીવસટોસટના જોખમો અમે ખેડતા હતા. છતાં પોલીસને જોઈને અમારે ભાગવું પડતું હતું! આ બધું ‘કરેંગે યા મરેંગે’ના સુત્ર અનુસાર દેશની આઝાદી માટે અમે કરતા હતા.
૧૯૪૫માં ગાંધીજીને છોડવામાં આવ્યા. ગાંધીજીએ બહાર આવ્યા બાદ જાહેર કર્યું કે,
“જેઓ ભુગર્ભમાં રહી લડત ચલાવતા હોય તેઓ બહાર આવે અને ખુલ્લી રીતે પ્રવૃત્તી કરે અને ધરપકડ વહોરે.”
અમે ભુગર્ભમાં રહીને પ્રવૃત્તી કરતા હતા, અને અમારા પર વૉરંટો હતાં. અમે ગાંધીજીના આદેશ પર વીચાર કર્યો. છેવટે શરુઆતમાં મારે અને મારા સાથી અને મીત્ર શ્રી દયાળભાઈ મકનજીએ જલાલપોર હાજર થવું એવું નક્કી થયું. અમે પટેલ ફળીયેથી એક બળદગાડામાં જલાલપોર થાણામાં હાજર થયા. અન્ય સાથીઓએ અમને વીદાય આપી હતી. અમને પકડવામાં આવ્યા અને કાચી જેલમાં પુરવામાં આવ્યા. અમને વારાફરતી બોલાવીને માહીતી મેળવવા પુછવામાં આવ્યું. પણ અમે કશી માહીતી આપી નહીં. અમને મારઝુડ કરવામાં આવી નહીં. અમે અગાઉથી ખબર આપીને પકડાયા છતાં પોલીસ દફતરે નોંધાયું:
“પોલીસને મળેલી બાતમીને આધારે ગુનેગારો જ્યારે જતા હતા ત્યારે પોલીસોએ તેમને પકડી પાડ્યા.”
હું ‘જી. સી.’ તરીકે ઓળખાતો અને મારા મીત્ર ‘ડી. એમ.’ તરીકે. અમારા વીષે પોલીસે ખુબ સાંભળ્યું હતું. અમને પકડવા આકાશપાતાળ એક કર્યાં હતાં. અમારા વીષે તેઓએ જુદી જ કલ્પના કરી હતી. પણ જ્યારે અમને નાના છોકરાઓ જેવા જોયા ત્યારે તેઓ માની શક્યા નહીં કે આ જ જી. સી. અને ડી. એમ. છે.
અમને થોડો વખત જલાલપોર લોક-અપમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં અમારી ઓળખ પરેડ થઈ. હકીકતમાં પરેડ પહેલાં અમને વારાફરતી કાઢીને ઓળખ તો આપી દેવામાં આવી હતી. પછી પરેડમાં પોલીસો અમને બતાવીને કહેતા, ‘વો થા, વો થા?’
જલાલપોરથી અમને બારડોલી લઈ જવામાં આવ્યા. ત્યાં બહાર રહેલા અમારા બીજા સાથીઓ પણ આવ્યા. અમારી સાથે પોલીસ જે રીતે વર્તી તેથી તેઓએ પણ હાજર થવાનું વીચાર્યું. તેઓ બધા જ હાજર થઈ ગયા અને બારડોલી આવી પહોંચ્યા. તેમાં શ્રી રવજીભાઈ છીબાભાઈ, સ્વ. જેરામભાઈ છીબાભાઈ, શ્રી નાનુભાઈ છીબાભાઈ, સ્વ. કનુભાઈ રામજીભાઈ, શ્રી હીરાભાઈ મકનજી, કોથમડીના શ્રી સુખાભાઈ સોમાભાઈ વગેરે હતા. અમને સામાન્ય કેદીઓ માટેની ઓરડીઓમાં રાખવામાં આવ્યા હતા. આ ઓરડીઓમાં બીજા કેદીઓને પણ રાખવામાં આવતા. દીવસે તો અમને ઝાડા-પેશાબ માટે બહાર કાઢવામાં આવતા હતા. પરંતુ રાત્રે ઓરડીમાં જ બધું કરવું પડતું હતું. કોઈ વાર તો અમે પંદર-વીસ જણ પણ થઈ જતા. ખુબ ત્રાસજનક હતું, છતાં ભોગવ્યે જ છુટકો હતો. કનુભાઈ સંગીત જાણતા હતા. તેઓ બારી પર બેસીને ગીત ગાતા:
ધીરે ધીરે આ રે બાદલ ધીરે ધીરે આ,
મેરા બુલ બુલ સો રહા હે, શોરગુલ ન મચા. ધીરે…
આયે બાદરવા બરસને આયે,
નન્હીં નન્હીં બુંદન ગરજ ગરજ અબ,
ચહુ ઓરસે બીજલી ચમકત – આયે
આવાં અને બીજાં હળવાં ગીતો પણ ગવાતાં. ભાઈશ્રી નાનુભાઈ અખાડીયન હતા. તેમની પાસેથી અમે કુસ્તી શીખ્યા. જાત જાતની વાતો અમે કરતા. હું વાંચન-લેખન અને ધ્યાનમાં ઠીક ઠીક સમય આપતો. તે વખતે કાગળ પેન્સીલ તો અમને મળતાં નહીં. છતાં આશ્રમભજનાવલી, મંગલ પ્રભાત વગેરે ગાંધી સાહીત્યની નાની પુસ્તીકાઓ સાથે બાંધીને એક ચોપડી મારી પાસે હતી. ભાઈશ્રી લલ્લુભાઈ મકનજીએ મને આ ભેટ આપી હતી. આ ચોપડીની કોરી જગ્યા પર મેં અનેક ગીતો લખ્યાં. પાછળથી નોટનો પણ ઉપયોગ કર્યો. મેં સરેરાશ દરરોજ એક કાવ્ય લખ્યું હતું. જેમાંથી કેટલાંક ગાંધીગીતોમાં પ્રસીદ્ધ થયાં હતાં. એમાં એક લાંબું કાવ્ય પણ મેં લખ્યું હતું.
બારડોલીમાં અમારો કેસ ચાલ્યો. કેસ સેશન્સ કમીટ થયો. અમને સુરત લઈ જવામાં આવ્યા. ત્યાં અમારો બચાવ સ્વ. મોતીભાઈ વીણે કર્યો. એમણે આ બચાવ એવી રીતે કર્યો કે જેથી અમારી હીંમત વધી અને અમે પણ ગૌરવ અનુભવ્યું.
આ વખતે સ્વ. મોતીભાઈએ કહેલું, ‘સ્વતંત્ર ભારતમાં બહાદુરી માટે વીક્ટોરીઆ ક્રોસ જેવો એવોર્ડ અપાતો હશે તો આ “ગોસાંઈ છીબા”ને આપવો જોઈએ.’
સ્વતંત્ર ભારતમાં બહાદુરીના એવોર્ડ આપવામાં આવે છે. પણ સરકારનું કોઈએ ધ્યાન ખેંચ્યું નથી. આવો એવોર્ડ મળે કે ન મળે અમને સંતોષ છે કે આઝાદી માટે અમે ખરા દીલથી કામ કર્યું હતું. અને પ્રાણની પરવાહ કરી નહોતી.
તા. ૯-૪-૨૦૦૪ના રોજ રાષ્ટ્રપતીના શુભ હસ્તે રાષ્ટ્રપતી ભુવનમાં સન્માન કરવામાં આવ્યું.
અમારા પર ફાંસીની સજા થઈ શકે એવા આરોપ મુકવામાં આવ્યા હતા. પરંતુ હું તો નીર્દોષ છુટ્યો. અમારા મીત્ર દયાળભાઈ મકનજી વગેરેને થોડા મહીનાની સજા થઈ. ૧૯૪૨માં ઘર છોડેલું. ૧૯૪૬માં ઘરે આવ્યો. તેમાં ૨૭ મહીના તો ભુગર્ભવાસમાં કાઢ્યા હતા. છુટ્યા ત્યારે દેશમાં કોંગ્રેસના આગેવાન નેતાઓને છોડવામાં આવ્યા હતા અને વાટાઘાટો ચાલતી હતી. સમાધાન થતાં અમારા બીજા સાથીઓનો પણ છુટકારો થયો. અમારા જેવા બીજા અનેક કાર્યકરો પણ છુટ્યા. અને છેવટે ૧૯૪૭ની ૧૫મી ઑગષ્ટ આવી. ભારતમાતાની ગુલામીનાં બંધન તુટ્યાં અને દેશ આઝાદ થયો. અમારાં મન નાચી ઉઠ્યાં. અમારી આંખમાં હરખનાં આંસું આવ્યાં.
૧૯૬૧માં મટવાડમાં લોકોએ શહીદસ્મારક રચ્યું. સ્વ. મોતીભાઈ વીણે એનું ઉદ્ઘાટન કર્યું. દર ૨૨મી ઑગષ્ટે આ શહીદસ્મારક આગળ શહીદોને પુષ્પાંજલી આપવામાં આવે છે. અને પછી ૧૯૪૨નાં સંસ્મરણો રજુ કરવામાં આવે છે. આ કાર્યક્રમની એક પરંપરા ઉભી થઈ છે. જ્યારે પણ ૧૯૪૨ની ૨૨મી ઑગષ્ટ આવે છે, ત્યારે તે વખતનાં સ્મરણો તાજાં થાય છે. ત્યારે મન ભરાઈ જાય છે અને શરીરનાં રુએરુઆં ખડાં થઈ જાય છે.
આજે તો આ વાતોને ૫૪ વર્ષ પુરાં થવા આવ્યાં. બે પેઢી આથમી તેનું સ્થાન નવી પેઢી લઈ રહી છે. આ પેઢી અને ત્યાર પછીની પેઢી તેમના પુર્વજોએ આઝાદીની લડતમાં રચેલી ગૌરવગાથાઓનું સ્મરણ કરે એ જરુરી છે. તેથી આ સંસ્મરણો રજુ કર્યાં છે. વાચકોને સંસ્મરણો ગમશે એવી આશા રાખું છું.
જયહીંદ