ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
ખાંસી
(૧) ૫-૫ ગ્રામ મધ દીવસમાં ચારેક વાર ચાટવાથી કફ છુટો પડી ખાંસી મટે છે.
(૨) અજમાનાં ફુલ .૧૬ ગ્રામ દીવસમાં ત્રણ વાર ઘી અને મધ સાથે લેવાથી કફ ઓછો થાય છે અને ખાંસી મટે છે.
(૩) એલચી, ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી ખાંસી મટે છે.
(૪) દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી તેનો રસ ચુસવાથી ખાંસી મટે છે.
(૫) દ્રાક્ષ, આમળાં, ખજુર, પીપર અને મરી સરખા ભાગે લઈ બારીક ચુર્ણ કરી તેમાંથી ૩-૩ ગ્રામ લઈ, થોડા મધમાં મેળવી સવારે, બપોરે અને સાંજે ચાટવાથી સુકી ખાંસી મટે છે.
(૬) લસણ, ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી ખાંસી મટે છે.
(૭) કમળકાકડી એટલે રાષ્ટ્રીય ફુલ કમળનાં બીજનો નાની ચમચી પાઉડર મધ સાથે ચાટવાથી ખાંસી મટે છે. કમળકાકડીનો પાઉડર બજારમાં તૈયાર મળે છે. આ પાઉડર હંમેશાં ઝીણી ચાળણીથી ચાળીને વાપરવો જોઈએ.
(૮) દાડમનાં તાજાં છોડાં અથવા સુકાં છોડાંનો પાઉડર દુધમાં ઉકાળી પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.
(૯) સુંઠ અને સાકર સમભાગે લઈ પાઉડર કરી રોજ દર બે કલાકે ૧-૧ નાની ચમચી, ૧ ચમચી મધ સાથે ચાટી જવું. કોઈ પણ પ્રકારની ખાંસીમાં અા પ્રયોગથી વત્તો-ઓછો ફાયદો તરત જોવા મળે છે. પ્રયોગ ધીરજપુર્વક ચાલુ રાખવાથી ખાંસી જડમુળથી મટી જાય છે.
(૧૦) એલચીનું ચુર્ણ ૩/૪(.૭૫) ગ્રામ અને સુંઠનું ચુર્ણ ૩/૪ ગ્રામ મધમાં મેળવી ચાટવાથી કફજન્ય ખાંસી મટે છે.
(૧૧) એલચીના તેલનાં ચાર-પાંચ ટીપાં સાકર સાથે લેવાથી કફજન્ય ખાંસી મટે છે.
(૧૨) સુંઠ, મરી અને પીપરના સમભાગે બનાવેલા પાઉડરને ત્રીકટુ કહે છે. ૧-૧ નાની ચમચી ત્રીકટુ મધ સાથે સવાર, બપોર, સાંજ લેવાથી સામાન્ય ખાંસી તરત જ મટી જાય છે.
(૧૩) મરીના બારીક પાઉડરમાં થોડો ગોળ મેળવી સાધારણ કદની ગોળીઓ બનાવવી. દર બે કલાકે આ ગોળી ચુસતા રહેવાથી કોઈ પણ પ્રકારની ખાંસી મટે છે. નાનાં બાળકોને પણ આ આપી શકાય.
(૧૪) ગરમ કરેલા પાણીમાં મીઠું અને બે લવીંગનું ચુર્ણ નાખી સવાર-સાંજ કોગળા કરવાથી ગળામાંથી કફ નીકળી જઈ ખાંસી મટે છે. મીઠું અને લવીંગ બન્ને જંતુનાશક છે. બે-ત્રણ દીવસ આ ઉપાય કરવાથી ભારે ખાંસી પણ મટી જાય છે.
(૧૫) ખાંસી મટાડવા હુંફાળું ગરમ પાણી જ પીવું, સ્નાન પણ નવશેકા ગરમ પાણીથી કરવું. જેમ બને તેમ વધારે કફ નીકળી જાય એ માટે જ્યારે પણ ગળામાં કફ આવે તો કફ બહાર કાઢી નાખવો. મધુર, ખારા, તીખા અને તાસીરે ઉષ્ણ પદાર્થોનું સેવન કરવું. મધુર દ્રવ્યોમાં સાકર, જુનો ગોળ, જેઠી મધ અને મધ, ખારા પદાર્થોમાં યવક્ષાર, નવસાર અને ખારો, તીખાં દ્રવ્યોમાં સુંઠ, પીપર અને મરી તથા ઉષ્ણ પાદાર્થોમાં ગરમ પાણી, લસણ, આદુ વગેરેનું સેવન કરવું. વધારે ખટાશવાળા, ચીકાશવાળા, ગળ્યા, તેલવાળા પદાર્થોનું સેવન ન કરવું. ઠંડી હવા અને ઠંડાં તથા ઠંડી પ્રકૃતીવાળા પદાર્થોનું સેવન પણ ન કરવું.
(૧૬) ગળો, પીપર અને ભોંયરીંગણી અધકચરાં ખાંડી એક ગ્લાસ પાણીમાં ત્રણ ચમચી નાખી પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ પાડી અડધી ચમચી મધ અથવા દળેલી સાકર(ખાંડ નહીં) નાખી સવાર-સાંજ પીવાથી કફવાળી ખાંસી મટે છે.
(૧૭) દર ચારેક કલાકે બબ્બે ત્રણત્રણ લવીંગ મોંમાં રાખી ચુસતા રહેવાથી ગમે તેવી ખાંસી -સુકી, ભીની કે કફયુક્ત થોડા દીવસોમાં મટી જાય છે.
(૧૮) તુલસીનાં આઠ-દસ તાજાં પાન ખુબ ચાવીને દરરોજ સવાર, બપોર, સાંજ ચાવતા રહેવાથી ગમે તે પ્રકારની ખાંસી કાબુમાં આવી જાય છે.
(૧૯) અખરોટનો ગર્ભ કાઢી શેકીને દીવસમાં ચાર-પાંચ વખત ખાતા રહેવાથી કોઈ પણ પ્રકારની ઉધરસ મટે છે. નાનાં બાળકોને પણ આ ઉપચાર અનુકુળ અને સફળ થઈ શકે છે.
(૨૦) મુઠીભર શેકેલા ચણા ખાઈ, ઉપર પાણી પીવાથી ઉધરસ ઓછી થાય છે.
(૨૧) લસણ, આદુ અને મરીની સમભાગે બનાવેલી ચટણી દીવસમાં ચાર-પાંચ વખત ખાતા રહેવાથી અથવા તેમને ઉકાળી ગરમ ગરમ ઉકાળો પીતા રહેવાથી ખાંસીમાં તાત્કાલીક રાહત થાય છે.
(૨૨) અશ્વગંધા અને ગોખરુનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ અડધીથી એક ચમચી લઈ બમણા મધ સાથે મીશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી શોષ (શરીરની રસ, રક્ત, માંસ, મેદાદી સાતે ધાતુઓ સુકાઈ જવી) અને ખાંસી મટે છે. વળી અશ્વગંધાથી શરીર પણ પુષ્ટ થાય છે. અને આમાં ગોખરુ રસાયન હોવાથી કામશક્તી પણ વધે છે.
સુકી ખાંસી (૧) નાની એલચી તવી પર બાળી, કોયલો કરી, ધુમાડો નીકળી જાય એટલે વાસણ ઢાંકી દેવું. તેનું ૩/૪(૦.૭૫) ગ્રામ ચુર્ણ ઘી તથા મધ (મધ કરતાં ઘી બમણું લેવું) સાથે દીવસમાં ત્રણ વાર ચાટવાથી સુકી ખાંસી મટે છે.
(૨) એક નાની મુઠી તલ અને જરુરી સાકર ૨૦૦ મી.લી. પાણીમાં નાખી ઉકાળો બનાવી દરરોજ દર બેત્રણ કલાકે સાધારણ ગરમ પીવાથી થોડા દીવસોમાં સુકી ખાંસી મટે છે. (૩) ૧-૧ નાની ચમચી ઘી દરરોજ બે કલાકના અંતરે ચાટવાથી સુકી ખાંસી અચુક મટે છે.
(૪) દર ત્રણ કલાકે એક ચમચી તાજા માખણમાં વાટેલી સાકર નાખી ધીમે ધીમે ચાટી જવાથી સુકી ખાંસી મટે છે. નાનાં બાળકોમાં તો આ પ્રયોગ ખરેખર આશીર્વાદરુપ છે, કેમ કે બાળક હોંશે હોંશે સાકર-માખણ ખાશે અને ખાંસી મટી જશે.
(૫) સમભાગે સુકા આમળાનું ચુર્ણ અને સાકર એક એક ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી કંટાળાજનક જુની ખાંસી મટે છે. પ્રયોગ થોડા દીવસ સુધી નીયમીત જાળવી રાખવો.
(૬) ઉમરાનું દુધ મોંમાં ઉપલા તાળવે ચોપડી જે લાળ-થુંક આવે તે ગળી જવાથી કોઈ પણ દવાથી મટતી ન હોય તેવી ખાંસી પણ બહુ ઝડપથી મટી જાય છે.
(૭) આદુનો રસ મધમાં લેવો અને એક નાગરવેલના પાનમાં થોડી હળદર અને ૩-૪ મરી મુકી બીડું વાળી ઉપર લવીંગ ખોસવું. એને ચાર ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી દીવસમાં ત્રણ-ચાર વખત થોડું થોડું પીવું. એનાથી ખાંસી તરત જ ઓછી થવા લાગે છે.
(૮) સમભાગે તલ અને સાકરનો ઉકાળો દીવસમાં ચાર-પાંચ વાર ઘુંટડે ઘુંટડે પીતા રહેવાથી સુકી ખાંસી મટે છે.
(૯) એક મોટી એલચી સોયમાં ખોસી ઘીના દીવાની જ્યોતમાં ફોતરા સાથે કોલસા જેવી થઈ જાય તેટલી બાળવી. પછી એ આખી એલચીનું ચુર્ણ બે ટીપાં મધ અને ચાર ટીપાં ઘીમાં મેળવી દરરોજ સવાર, સાંજ અને રાત્રે થોડા દીવસો ચાટવાથી સુકી ખાંસી મટે છે. સાથે જો કબજીયાત રહેતી હોય તો રાત્રે સુતી વખતે અડધી ચમચી શેકેલો અજમો બે ચમચી દીવેલ સાથે ચાવતાં ચાવતાં પેટમાં ઉતારવું. વાયુ ઉપર ચઢીને ખાંસી ઉત્પન્ન કરે છે. એલચી તેમ જ દીવેલ ઉત્તમ વાયુનાશક છે. વળી મળશુદ્ધી થવાથી વાયુની શુદ્ધી થાય છે. સુકી ખાંસી માટે આ અનુભવસીદ્ધ પ્રયોગ છે.