ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
સુવા : સુવા શરીરને પુષ્ટ કરનાર, બળપ્રદ, શરીરનો વર્ણ સુધારનાર, જઠરાગ્નીવર્ધક, માસીક લાવનાર, ગર્ભાશય, યોની અને શુક્રનું શોધન કરનાર, ગરમ, વાયુનાશક, પુત્રદા અને વીર્યપ્રદ છે. સંસ્કૃતમાં એને શતપુષ્પા કહે છે, કેમ કે એને પીળા રંગનાં સેંકડો ફુલ આવે છે.
સુવાની ભાજી ખવાય છે. સુવા કડવા, તીખા, ગરમ, ભુખ લગાડનાર, આહારનું યોગ્ય પાચન કરનાર, સ્નીગ્ધ, હૃદય માટે હીતકારી તેમ જ વાયુ અને કફનાશક છે. કહેવું જોઈએ કે સુવા પરમ વાયુ હરનાર છે, જઠરાગ્નીને પ્રદીપ્ત કરે છે, ધાવણ વધારે છે અને પચવામાં હલકા છે.
સુવા બળતરા, આંખના રોગો, તાવ, ઉલટી, ઉદરશુળ, ઝાડા, આમ અને તરસનો નાશ કરે છે.
સુવાવડ વખતે સુવાનો છુટથી ઉપયોગ કરવાથી ધાવણ સારું આવે છે, અને એ ધાવણ બાળકને પચી જાય એવું આવે છે. માતાની કમર દુખતી નથી, આહાર જલદી પચી જાય છે અને વાછુટ સારી થાય છે. સુવાદાણા ગર્ભાશયને ઉત્તેજીત કરે છે આથી પ્રસુતી પછી ગર્ભાશયમાં કોઈપણ બગાડ રહેતો નથી.
સુવાનો અર્ક એટલે યંત્રથી બનાવેલા પાણીને ‘ડીલવૉટર’ કહે છે. નાનાં બાળકોના કાચા લીલા ઝાડા, ઉલટી, પેટ ફુલવું, ચુંક-આંકડી આવવી વગેરેમાં આ પાણી આપવામાં આવે છે.
સુવા કફ અને વાયુનું ઉત્તમ ઔષધ છે.
(૧) સુવાદાણાનું અડધીથી પોણી ચમચી ચુર્ણ એક ચમચી સાકર સાથે ચાવીને ખાઈ જવાથી પેટનો ગૅસ, આફરો, ભરાવો, અપચો, અરુચી અને મંદાગ્ની મટે છે.
(૨) રેચક ઔષધ સાથે સુવા લેવાથી પેટમાં ચુંક-આંકડી આવતી નથી.
(૩) સુવા અને મેથીનું અડધી અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ દહીંના મઠામાં થોડા દીવસ લેવાથી દુર્ગંધયુક્ત પાતળા ઝાડા મટે છે. ઝાડા આમયુક્ત હોય તો પણ આ ઉપચાર હીતકારી છે.
(૪) અડધી ચમચી જેટલું સુવાદાણાનું ચુર્ણ એક એક ચમચી સાકર અને ઘી સાથે મીશ્ર કરીને ચાટી જવું. ઉપર દુધભાત અથવા સાકર નાખી બનાવેલી ખીર ખાવી. બે-ત્રણ મહીના આ ઉપચાર કરવાથી વંધ્યા અને ષંઢ બંને બાળકો ઉત્પન્ન કરી શકે એવાં પ્રબળ બની શકશે અને નપુંસકતા- સેક્સની શીથીલતા દુર થશે. વૃદ્ધ મનુષ્યમાં પણ યૌવન પ્રકટ થશે.
(૫) સુવાની ભાજી વાયુનો નાશ કરે છે. એટલે વાયુના રોગોવાળાએ સુવાની ભાજી રોજ રાત્રે થોડી ખાવી.
(૬) રોજ અડધી ચમચી સુવાનું ચુર્ણ મધ કે ઘી સાથે સવારે ચાટવાથી સ્મૃતીશક્તી વધે છે.
(૭) જઠરાગ્ની પ્રબળ કરવા ઈચ્છનારે ઘી સાથે, રુપની ઈચ્છા રાખનારે મધ સાથે, બળ પ્રાપ્તીની કામનાવાળાએ સાકર અને ઘી અથવા તો તલના તેલ સાથે અને જેમની બરોળ વધી ગઈ હોય તેમણે સરસીયા તેલ સાથે સુવાદાણાનો ઉપયોગ કરવો જોઈએ.
(૮) સુવાદાણા અડધી ચમચી અને ગોળ એક ચમચી ખુબ ચાવીને ખાવાથી ભુખ ખુબ જ લાગે છે.
(૯) સુવાના ગુણોનો લાભ લેવા નાની પાથી અડધી ચમચી સુવાદાણાનું ચુર્ણ પ્રકૃતી અનુસાર બે ચમચી મધ અથવા ઘી સાથે સવાર-સાંજ લેવું.