ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
કારેલાં : કારેલાં ઉત્તમ ઔષધ અને પથ્ય આહાર છે. ગુણોમાં તે અદ્વીતીય છે. કારેલાં ગરમ નથી, ઠંડાં છે. મળને સાફ લાવનાર અને પચવામાં હલકાં છે. કડવાં દ્રવ્યો મોટે ભાગે વાયુ કરનારાં હોય છે, પરંતુ કારેલાં વાયુ કરતાં નથી. ઉત્તમ સ્વાસ્થ્ય જાળવવા થોડો કડવો રસ જરુરી છે. આ માટે કારેલાં, કંકોડાં, મેથી પૈકી જરુર મુજબ પસંદગી કરી શકાય.
કારેલામાં ઘણા ખનીજ ક્ષારો છે, જેમાં કેલ્શીયમ, ફોસ્ફરસ અને લોહ મુખ્ય છે. ઉપરાંત એમાં થીયામીન (વીટામીન બી૧), રીબોફલેવીન (વીટામીનબી૨) નીઆસીન (વીટામીન બી૩), વીટામીન ‘એ’ અને ‘સી’ રહેલાં છે.
સંધીવા, બરોળની વૃદ્ધી, લીવર, લોહીના તથા ચામડીના રોગોમાં અને ડાયાબીટીસમાં કારેલાં ઉત્તમ છે. કારેલાંનો કડવો રસ યકૃતને શુદ્ધ કરી કાર્યક્ષમ બનાવીને અગ્નીને પ્રદીપ્ત કરે છે. યકૃતની શુદ્ધીથી તાવ, અામ વગેરેથી ઉત્પન્ન થતાં વીષોના શોધનની ક્રીયા બળવાન બને છે.
કડવા રસનું સપ્રમાણ સેવન કરવાથી રોગોને સરળતાથી દુર રાખી અારોગ્ય જાળવી શકાય. કારેલાં કડવાં છે પણ અરુચી મટાડે છે. તે કફ અને પીત્તનું શમન કરનાર, લોહીના વીકાર મટાડનાર, રક્તકણોની ઓછપ, ઘા, કરમીયાં, શ્વાસ(દમ), ખાંસી, ડાયાબીટીસ, ચામડીના રોગો અને તાવમાં ગુણકારક છે. તે પેટના રોગો, કૃમી, વાયુ, અપચો અને કબજીયાતમાં ફાયદો કરે છે.
મોટાં કારેલાં કરતાં નાનાં અને નાનાં કરતાં જંગલી કારેલાં ઔષધમાં વધારે ગુણકારી છે. ઔષધમાં કારેલાનો રસ કે ઉકાળો તાજો જ પીવો જોઈએ. તેનું ચુર્ણ કે ટેબ્લેટ એક મહીના સુધી વાપરી શકાય. કડવો રસ ઉત્તમ ગુણ ધરાવે છે. રસ, રક્ત, માંસ વગેરે ધાતુઓને રચવાની શક્તી વધારે છે. કારેલાંમાં રહેલું તત્ત્વ રક્તશર્કરા(બ્લડ સુગર) ઘટાડે છે.
(૧) સંધીવાના રોગીઓએ કારેલાંનું શાક અવશ્ય ખાવું. એકલા કારેલાંનું બાફેલું શાક સાત-આઠ દીવસ ખાવાથી સંધીવા સારો થાય છે.
(૨) ડાયાબીટીસવાળાએ એકાંતરે દીવસે કારેલાંનું શાક ખાવું જોઈએ.
(૩) અડધા કપ જેટલા કારેલાંના રસમાં એક ચમચી મધ મેળવીને પીવાથી કફજ્વર એટલે કે વાઈરલ ફ્લ્યુ મટે છે.
(૪) પેટમાં કૃમી થયા હોય તો અડધા કપ જેટલા કારેલાંના રસમાં એક ચમચી વાવડીંગનું ચુર્ણ નાખી ૭ દીવસ રાત્રે પીવું.