ખોવાયેલું ઘડીયાળ
(બ્લોગ પર તા. ૨૯-૨-૨૦૧૬ )
પીયુષભાઈ પરીખના ઈમેલમાંથી મળેલું. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં રુપાંતર: ગાંડાભાઈ વલ્લભ
એક વાર એક ખેડુતનું ઘડીયાળ ખોવાઈ ગયું. એને ખાતરી હતી કે ઘડીયાળ ક્યાંક એના કોઢારમાં જ પડી ગયું છે. એ કોઈ સામાન્ય ઘડીયાળ નો’તું, એની સાથે એક ખાસ લાગણી જોડાયેલી હતી.
ઘાસની ગંજીમાં ખુબ શોધ્યું, ઘણા લાંબા સમય સુધી આમતેમ ફંફોસ્યું પણ જડ્યું નહીં. એણે જાતે એ શોધવાનું છોડીને બહાર કોઢાર પાસે રમતાં બાળકોની મદદ લેવાનું વીચાર્યું. એણે બાળકોને કહ્યું કે જે એ ઘડીયાળ શોધી કાઢશે તેને કંઈક ઈનામ આપવામાં આવશે.
આ સાંભળતાં જ બધાં બાળકો કોઢારમાં દોડી આવ્યાં અને ઘડીયાળ શોધવામાં લાગી ગયાં. ઘાસની આખી ગંજીને ઉપરથી નીચે સુધી બરાબર ખુંદી વળ્યાં, પણ ઘડીયાળ તો કંઈ મળ્યું નહીં. હવે જેવો એ ખેડુત ઘડીયાળ શોધવાનું માંડી વાળવાની તૈયારીમાં હતો અને એક નાના છોકરાએ કહ્યું કે એને ઘડીયાળ શોધવાની એક વધુ તક આપવામાં આવે.
ખેડુતે એ છોકરા તરફ જોયું. છોકરો એને ખરેખર ઘડીયાળ શોધવા બાબત ગંભીર જણાયો. એણે કહ્યું, “જરુર, તું એક વધુ પ્રયાસ કરી જો, મને કોઈ વાંધો નથી.”
આથી ખેડુતે એ નાના બાળકને કોઢારમાં જવાની રજા આપી. થોડી વાર પછી એ નાનો છોકરો ઘડીયાળ લઈને બહાર આવ્યો. ખેડુતને સાનંદાશ્ચર્ય થયું. એણે છોકરાને પુછ્યું કે આ બધામાંથી કોઈ શોધી શક્યું નહીં અને તેં કેવી રીતે શોધી કાઢ્યું?
છોકરાએ કહ્યું, “મેં કશું જ ન કર્યું, માત્ર નીચે બેસી ગયો અને શાંત થઈને કંઈ અવાજ આવે તો તે સાંભળવા લાગ્યો. એ સન્નાટામાં મને ઘડીયાળની ટીક ટીક સંભળાઈ, અને બસ એ દીશામાં શોધવા લાગ્યો.”
બોધ: શાંત મન કામમાં વીક્ષુબ્ધ મન કરતાં વધુ સારી રીતે વીચારી શકે છે.
દરરોજ તમારા મનને થોડી મીનીટ માટે શાંત કરી દો. અને જુઓ કે તમારા ધ્યેયને પહોંચવામાં એ કેવું અણીશુદ્ધ રીતે તમને સહાય કરે છે.