ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
ધાણા
(બ્લોગ પર તા. 31-5-2018)
ધાણા સ્નીગ્ધ, કડવા, તીખા, હલકા, પાચક, ભુખ લગાડનાર, રુચી ઉત્પન્ન કરનાર, મુત્ર ઉત્પન્ન કરનાર, મળ રોકનાર અને જ્વર-તાવ મટાડનાર છે.
લીલા ધાણામાં વીટામીન એ, સી અને લોહ સારા પ્રમાણમાં હોય છે. 40થી 50 ગ્રામ લીલા ધાણા દાળ, શાક, ચટણી કે અન્ય રીતે લેવામાં આવે તો રોજના વીટામીન ‘એ’ની જરુરીયાત પુરી પડી રહે છે. વધારે પ્રમાણમાં ધાણા ખાવાથી વધારાના વીટામીન ‘એ’નો યકૃત(લીવર)માં સંગ્રહ થાય છે જે જરુરીયાતના સમયે ઉપયોગમાં લઈ શકાય. 40થી 50 ગ્રામ લીલા ધાણામાંથી વીટામીન ‘સી’ રોજની જરુરીયાત કરતાં પણ વધુ મળી રહે. જો કે એનો શરીર સંગ્રહ કરી શકતું નથી, કેમ કે વીટામીન ‘સી’ પાણીમાં દ્રાવ્ય છે.
લીલા ધાણામાં કેલ્શ્યમ અને ફોસ્ફરસ તથા પ્રોટીન અને ફાઈબર પણ ઘણા સારા પ્રમાણમાં હોય છે. જો કે લીલા ધાણા કરતાં ધાણાનાં બીમાં-સુકા ધાણામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. ફાઈબરથી પાચનતંત્ર સુધરે છે, કબજીયાત મટે છે અને મેદ ઘટે છે.
- લીલા ધાણા, ફુદીનો, કાળાં મરી, સીંધવ અને સુકી દ્રાક્ષને પીસીને ચટણી બનાવી લીંબુનો રસ નાખી ખાવાથી પાચનક્રીયા સુધરે છે.
- પાંચ ચમચી સુકા ધાણા એક ગ્લાસ પાણીમાં ઉકાળી ગાળીને સવાર-સાંજ પીવાથી થાઈરોઈડના રોગમાં લાભ થાય છે.
- જમ્યા પછી ઝાડા થવાની સમસ્યા હોય તો એક ચમચી સુકા ધાણા સંચળ સાથે ચાવીને જમ્યા પછી તરત ખાવા. સંચળ અનુકુળ ન હોય તો એકલા ધાણા પણ ખાઈ શકાય.
- ગરમીને કારણે ગળામાં દુખાવો કે બળતરા થતી હોય તો દર ત્રણ કલાકે બે ચમચી સુકા ધાણા ચાવીને ખાતા રહેવું.
- રાત્રે ચાર ચમચી સુકા ધાણા પાણીમાં પલાળી, સવારે સાકર સાથે પીસીને ગાળીને પીવાથી શરીરની ગરમી અને પેટની બળતરા મટે છે. એનાથી તીવ્ર તરસ અને પેશાબની બળતરા પણ મટે છે.
- 200 ગ્રામ પાણીમાં 20 ગ્રામ સુકા ધાણા નાખી ઉકાળવા. 50 ગ્રામ પાણી બાકી રહે ત્યારે ગાળી સાકર નાખી પીવાથી બહેનોની વધારે પડતું માસીક આવવાની સમસ્યા દુર થાય છે. આ પ્રકારની ફરીયાદમાં ધાણાનું ચુર્ણ, બુરુ ખાંડ અને ઘી મીક્સ કરીને લેવાથી પણ લાભ થાય છે.
- લીલા ધાણાનો 30 ગ્રામ રસ દરરોજ લેવાથી ભુખ ઉઘડે છે.
- બે ચમચી સુકા ધાણા એક ગ્લાસ પાણીમાં ઉકાળી ગાળીને દીવસમાં ત્રણ વાર પીવાથી ગેસની ફરીયાદ મટે છે.
- લીલા ધાણાની ચટણી દરરોજ ખાવાથી સારી ઉંઘ આવે છે.
- લીલા ધાણા પીસીને ખાવાથી આંખોનું તેજ વધે છે. મળી શકે તો એની સાથે આમળાં પણ મેળવી શકાય.
- 250 ગ્રામ દુધમાં 4 ચમચી ધાણા ઉકાળી ગાળીને સાકર નાખી પીવાથી હરસ-મસામાં લાભ થાય છે.