એ માટેની બીજી બાબત છે આહારનું પ્રમાણ ઘટાડવાની. સાંજના આહારમાં થોડો ઘટાડો કરવાથી શરુઆત કરી શકાય. અમેરીકાના મેડીકલ એસોસીએશનના જર્નલમાં પ્રગટ થયેલા એક અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે આહારમાં 25% ઘટાડો કરવાથી શરીરના તાપમાનમાં અને આહાર પહેલાંના ઈન્સ્યુલીનના પ્રમાણમાં ઘટાડો થાય છે. અમેરીકાના મેયો ક્લીનીકની ભલામણ અનુસાર શરીરનું સામાન્ય વજન જાળવી રાખવા માટે જરુરી આહાર કરતાં થોડો ઓછો આહાર લેવો, પણ જરુરી વીટામીન અને અન્ય પોષક તત્ત્વો મળી રહે તે જોવું. આ પ્રકારના આહારની એક અનીચ્છનીય અસર હાડકાં નબળાં પડે અને સ્નાયુ પોચા પડી જાય. એના ઉપાય તરીકે નીયમીત કસરત સાથે કેલ્શ્યમ અને વીટામીન ડીની ટીકડી પુરક આહાર તરકે લેવી પડે.
રીસર્ચમાં નોંધવામાં આવ્યું છે કે આહારના પ્રમાણમાં ઘટાડો કરવાથી એની સારી અસર બ્લડ પ્રેશર, રક્તશર્કરા (બ્લડસ્યુગર), શરીરમાંની ચરબીમાં ભરાવો, કોલેસ્ટ્રોલનું પ્રમાણ અને શરીરના વજન પર થાય છે. આ બધું સ્વસ્થ જીવન માણવા માટે લાભકારક છે. ઘટાડેલ આહારના પ્રમાણથી ચયાપચયની ક્રીયા ધીમી પડે છે. એનાથી હાનીકારક ફ્રી રેડીકલ્સમાં ઘટાડો થવાની શક્યતા છે. જરુર લાગે તો આહારમાં ફેરફાર કરવામાં અગત્યનાં પોષક તત્વો મળી રહે છે કે કેમ એ માટે આહાર નીષ્ણાતની મદદ લઈ શકાય.