સનડે ઈ-મહેફીલના પ્રણેતા શ્રી. ઉત્તમભાઈ ગજ્જરને મેં તાજેતરમાં એમાં પ્રગટ કરેલા સુંદરલેખની પ્રસંશા કરતો ઈ-મેઈલ મોકલ્યો હતો. તેના પ્રત્યુત્તરમાં એમણે સ.મ.માં પ્રગટ થતી મને પસંદ હોય તે કોઈ પણ કૃતી મારા બ્લોગ પર મુકવાની છુટ આપી છે. એમણે વૃદ્ધત્વ બાબત તેર આર્ટીકલ મને મોકલ્યા છે. એ પૈકી સૌ પ્રથમ આ આર્ટીકલ મારા બ્લોગ પર મુકવાનું મને ઠીક લાગ્યું છે.
આ સદીની સિદ્ધિરૂપ, ૪૫ લાખ જેટલા શબ્દોના
મહાભારત જેવા શબ્દભંડોળની, ગુજરાતીઓને
‘લેક્સિકોન’
મારફત ચિરંજીવ ભેટ અર્પનાર એના રચયિતા
રતિલાલ ચંદરયા
હવે આપણી વચ્ચે નથી રહ્યા.
જન્મ : વીજયાદશમી : ૨૪–૧૦–૧૯૨૨ … નિર્વાણ : વીજયાદશમી : ૧૩–૧૦–૨૦૧૩
(સ્વર્ગસ્થ પત્નીનું નામ પણ ‘વીજયા’)
અને હવે વાંચો આજની આ ‘સ.મ.’
બુઢ્ઢા હોગા તેરા બાપ !
–જયેશ અધ્યારુ
હમણાં થોડા દીવસ પહેલાં સુપરસ્ટાર અમીતાભ બચ્ચનનો ૭૨મો જન્મદીવસ ગયો. હવે તમારી આસપાસની સીત્તેર–પંચોતેરની વચ્ચેની કોઈ પણ પાંચ વ્યક્તીઓને લઈ લો અને એમની શારીરીક–માનસીક સ્થીતીનું અવલોકન કરો. એ પાંચમાંથી ઓછામાં ઓછા ત્રણ જણને માથે તો વૃદ્ધાવસ્થાનાં કાળાં ડીબાંગ વાદળો ઘેરાઈ ચુક્યાં હશે. જીવનને ખરા અર્થમાં ‘જીવવા’ની એમની ઈચ્છા ક્ષીણ થઈ ચુકી હશે. અને દીવસમાં એટલીસ્ટ, એક વાર તો તેઓ આ મતલબનું વાક્ય બોલતાં જ હશે, ‘આપણે હવે આ બધું કરીને શું કરવું છે ? આપણે તો બહુ ગઈ ને થોડી રહી !’ આપણે ત્યાં દોઢડાહી નહીં; બલકે અઢી–સાડા ત્રણ ડાહી દુનીયા, હજી સાઠ વર્ષ ન થયાં હોય તો પણ ‘દાદા, તમે ધ્યાન રાખજો’ ટાઈપનાં વાક્યો ફેંકી ફેંકીને વ્યક્તીના મગજમાં ઠસાવતા રહે છે કે, ‘બૉસ, તમે હવે બુઢ્ઢા થયા. જરા સાઈડમાં ખસી જાઓ; નહીંતર નાહકના લેવાઈ જશો.’
હવે આ જ બધી વસ્તુઓ અમીતાભ બચ્ચન પર એપ્લાય કરો. છે કોઈની મજાલ કે એમને બુઢ્ઢા, ડોસા કે ઈવન (પૌત્રી આરાધ્યા સીવાય !) કોઈ દાદા પણ કહી શકે ? (આમ તો એ બહુ શાલીન છે; પરન્તુ એમને આવું કોઈ કહે તો સામે એવો જવાબ મળી શકે, ‘બુઢ્ઢા હોગા તેરા બાપ !’) એ સુપરસ્ટાર છે, કરોડો રુપીયા કમાય છે, દરરોજ એમના ઘરની આગળ ચાહકોનો મેળો જામે છે… આ બધી વાતો એક મીનીટ માટે ભુલી જાઓ, એમની આસપાસ રચાયેલા ‘સ્ટાર ઓફ ધી મીલેનીયમ’ અને ‘સદી કે મહાનાયક’ જેવાં આભામંડળને ઉતારીને બાજુએ મુકી દો. એ પછી જે રહેશે એ અમીતાભ ‘બચ્ચન’ શ્રી વાસ્તવ એઝ અ પર્સન. આપણે ત્યાં જેને ‘સંન્યસ્તાશ્રમ’ કહેવામાં આવે છે તે સમયગાળાના ઉંબરે પહોંચેલો એક માણસ. જેના ચહેરા પર કરચલીઓ પડી ચુકી છે, વાળ તો ક્યારનાયે ધોળા થઈ ચુક્યા છે. શરીરમાં અઢળક વ્યાધીઓ છે, છાશવારે હૉસ્પીટલનાં ચક્કર કાપવાં પડે છે; છતાં કોઈ ફરીયાદ નહીં. ઈન ફેક્ટ, એ અગાઉ ક્યારેય નહોતા એટલા આજે એક્ટીવ છે. ફીલ્મના કે એડ્સના સેટ પરથી કેબીસીના સેટ પર અને વીવીધ ઈવેન્ટ્સના સેટ વચ્ચે દોડતા રહે છે. આટલું પુરતું ન હોય એમ તેઓ (આ લખાય છે ત્યાં સુધી) છેલ્લા ૨૦૦૫ દીવસથી એટલે કે લગભગ સાડા પાંચ વરસથી લશ્કરી શીસ્તથી પોતાનો બ્લોગ( http://srbachchan.tumblr.com/ )લખે છે. એમની સાથે દેખાદેખીમાં બ્લોગોસ્ફીયરના રવાડે ચડેલા આમીર, શાહરુખ વગેરેના બ્લોગ્સનાં પાટીયાં પડી ગયાં છે. (ઈવન જેમણે વીચારો વહેંચવાનો ઠેકો લીધો છે એવા લેખકો–પત્રકારો પણ બચ્ચન જેટલી નીયમીતતાથી બ્લોગીંગ નથી કરી શકતા).
તેઓ પોતાનો બંગલે હોય કે અમેરીકા, ભોપાલ કે સાસણ–ગીર હોય; પોતાનું લેપટૉપ સાથે જ રાખે છે. રાતે બાર વાગ્યા હોય કે બે–ત્રણ કે ઈવન સવારે ચાર વાગ્યે પણ; તેઓ પોતાના બ્લોગ પર વીચારો ઠાલવ્યા પછી જ સુએ છે. એવા હજારો વાચકો હશે જે મન્દીરે જવાની નીયમીતતાથી એમની બ્લોગપોસ્ટની રાહ જોતા હશે. ને માઈન્ડ વેલ, એ પોતાના બ્લોગ પર ‘કૉલમીયા લેખકો’ની જેમ પોતાના જ છપાયેલા આર્ટીકલ્સ ‘પેસ્ટ’ કરીને એને ‘બ્લોગપોસ્ટ’ તરીકે નથી ખપાવતા. બલકે રોજ કોઈ ઓબ્ઝર્વેશન, વીચારો – ઈન શોર્ટ – કશુંક નવું મુકે છે. જેમ કે ફીલ્મ ‘સત્યાગ્રહ’ના શુટીંગ સમયે જ્યારે તેઓ ભોપાલમાં હતા ત્યારે એમના રુમની બાલ્કનીમાં કીચન ગાર્ડન હતો, જેનાં કુંડામાં લાલચટ્ટાક ટમેટાં ઉગેલાં હતાં. એના ફોટા પાડીને પણ એમણે બ્લોગ પર મુકેલા ! આ ઉપરાંત એમના બ્લોગ પર બીજું શું શું હોય છે એ તો પાછો અલગ અને ખાસ્સી ઈન્ટરેસ્ટીંગ ચર્ચાનો વીષય છે. ઈન્ટરનેટના બાશીંદાઓ જાણે છે કે અમીતાભ બચ્ચન ફેસબુક અને ટ્વીટર ઉપર પણ એટલી જ શીદ્દતથી સક્રીય છે. અગાઉ કેટલાક વાંકદેખાઓ શંકા વ્યક્ત કરતા હતા કે, ‘એ તો બચ્ચનના નામે કોઈ ભુતીયા લેખકો એમનો બ્લોગ લખતા હશે’; પરન્તુ ખુદ ‘બીગ બી’એ એકથી વધુ વાર કરેલી ચોખવટ પરથી એ શંકાનો છેદ ઉડી જાય છે.
એની વે, આપણી વાતનો પૉઈન્ટ એ છે કે અમીતાભ બચ્ચનનું શરીર વૃદ્ધ થયું હોઈ શકે; પરન્તુ એમને ‘ઘરડા’, ‘ડોસા’ કે ‘ઓલ્ડ મૅન’ કહેતાં આપણી જીભ ઉપડે નહીં. એ અમારા પપ્પાની ઉમ્મરના ચાહકોમાં જેટલા લોકપ્રીય છે, એટલા જ, કદાચ એના કરતાંયે વધારે અમારી અને ઈવન અમારા પછીની બચ્ચાંલોગવાળી પેઢીમાં પણ લોકપ્રીય છે. એ શાલ ઓઢીને આવ્યા હોય ત્યારે વડીલ લાગે; પણ જીન્સ–બ્લેઝરમાં હોય ત્યારે ‘કુલ–ડ્યુડ’ જ લાગે. આ બધો કંઈ ઈશ્વરીય ચમત્કાર નથી. કુદરતે કંઈ એમને ‘ચીર યૌવન’ કે ‘ઈચ્છાવૃદ્ધત્વ’ જેવું વરદાન નથી આપ્યું; પરન્તુ એમને બદલાતા સમય સાથે તાલમેળ જાળવી રાખીને ગ્રેસફુલી ‘ગ્રો’(વૃદ્ધ નહીં !) થતાં આવડે છે. એ પપ્પાલોગની પેઢીને પોતીકા લાગે છે; કારણ કે આજે પણ એ એમની યુવાનીના ‘સારા ઝમાના’ જેવાં ગીતો પર થીરકી શકે છે અને ‘હાં, હમેં મહોબ્બત હૈ’ નો ડાયલોગ એટલા જ પેશનથી બોલી શકે છે. એ અત્યારની ફેસબુક જનરેશનને ટ્વીટર પર પુછે છે કે ‘અરે ભાઈલોગ, આ મારા મૅક બુક પ્રોમાં ફેસબુક બરાબર ડીસ્પ્લે નથી થતું અને ટ્વીટર પર પોસ્ટ થવામાં પણ લોચા થઈ રહ્યા છે. આ સમસ્યાનો કોઈ ક્વીક ઉકેલ ખરો ?’ અને ટેણીયાંમેણીયાં સાથે મળીને એ મેગી ખાતા જોવા મળે છે. ઈન શોર્ટ, કોઈ પણ જનરેશનને એ ‘અપનેવાલે’ જ લાગે. એમની સાથે કોઈને જનરેશન ગેપ હોઈ શકે એવો વીચાર સુધ્ધાં ન આવે. અમીતાભ બચ્ચનના સમગ્ર બીહેવીયરમાં કઈ રીતે મોટા થવું, કઈ રીતે ‘ડોસા’ ન થવું, કઈ રીતે સતત જીવન્ત રહેવું એની માસ્ટર કી છુપાયેલી છે.
૨૦૧૧ની એમની બર્થ ડેની બ્લોગ પોસ્ટમાં એમણે આવી જ એક ચાવી આપેલી : ‘આપણે આ જગતને જે જેવું છે એ જ રુપમાં અને એ પોતે જે આકારમાં ઢળવા માગે છે એ જ રુપમાં એને સ્વીકારી લેવું જોઈએ. વ્યક્તીઓનું પણ એવું જ છે.’ બીલકુલ સહી ! ‘અત્યારનો જમાનો ખરાબ છે. જુવાનીયાંવ વંઠી ગયાં છે, દુનીયા સ્વાર્થી છે, કોઈને વડીલો પ્રત્યે માન રહ્યું નથી….’ આવી ફરીયાદો કરતા રહીશું એટલે તરત જ આપણે આસપાસના લોકોથી કપાઈ જઈશું. હશે એક જમાનામાં રુપીયો ગાડાનાં પૈડાં જેવડો, મળતું હશે એ જમાનામાં દસ–વીસ પૈસામાં સુંડલો ભરીને સુખ; પણ હવે એ સમય વીતી ગયો છે અને એને માટે ગમે તેટલો કકળાટ કરવાથી પણ પાછો આવવાનો નથી. માન્યું કે તમારો જમાનો ગ્રેટ હતો; પણ આ સમય પણ કંઈ એટલો નાખી દેવા જેવો તો નથી. અને બાય ધ વે, આ પણ તમારો જ જમાનો છે ! આ વીશ્વને પોતે જે રીતે વીકસવું હશે એ રીતે જ એને વીકસવા દો ને ! જો ઈશ્વરમાં માનતા હોઈએ તો જે કંઈ થઈ રહ્યું છે એ આપણને ન ગમતું હોવા છતાં; એની ઈચ્છા પ્રમાણે જ થતું હશે ને ? તો પછી જે છે એને એ જ રીતે શા માટે સ્વીકારી ન લેવું ? અને ખરું પુછો તો બધું કંઈ એટલું ખરાબ હોતું નથી જેટલું આપણે ધારતા હોઈએ છીએ.
બદલાતી દુનીયા સાથે એની ભાષામાં વાત કરશો તો તરત જ એની સાથે કનેક્ટ થઈ જશો. નાના બાળક જોડે કાલાં કાલાં ઘેલાં કાઢવાને બદલે કાર્ટુન નેટવર્કના પોકેમોન, ડોરેમોન કે છોટા ભીમની વાત કરજો, એ તરત જ તમારી સાથે રસપુર્વક વાતો કરવા માડશે. બસ, આ જ છે જનરેશન ગેપ દુર કરવાનો આઈડીયા. બાળકો, યુવાનોની દુનીયામાં – એમની ટીકા કર્યા વીના – રસ લેશો, તો એક તો એમાંના એક થઈને રહેશો અને તમારી સમક્ષ પણ એક નવું વીશ્વ ખુલી જશે.
૨૦૧૦ના બર્થ ડેની પોસ્ટમાં બચ્ચને લખેલું કે :‘મારા શરીરની ઉમ્મર વધી છે; પણ મારું માઈન્ડ–મન આજે પણ ૧૯૪૨માં હતું એવું ને એવું જ છે.’ અને જો આ જ સ્પીરીટ હોય તો કોઈ પણ ઉમ્મરે, કોઈ પણ નવી વસ્તુ શીખવાનો તરવરાટ બરકરાર રહે. ખરેખરી વૃદ્ધાવસ્થા એ શરીરનું નહીં; મનનું વૃદ્ધત્વ છે. અત્યારે ટીવી પર ચાલતી ‘વોડાફોન’ કંપનીની ‘મેઈડ ફોર ધ યંગ’ સીરીઝની એડ્ ( http://www.youtube.com/watch?v=uhYgHPdVUEs ) જોઈ લો એટલે આ વાત સુપેરે સમજાઈ જશે.
મોટે ભાગે લોકો એમને સતત ઈન્વોલ્વ્ડ રાખે અને છતાં બધો જ થાક ઉતારી દે એવો કોઈ શોખ વીકસાવતા જ નથી. અને ઉપરથી આપણા સમાજની ‘આ ઉમ્મરે આવું કરાય અને આવું ન કરાય’ એવી ભંગાર–ફાલતુ વાતો. એટલે વડીલો માટે ઘરમાં જુનાં ફર્નીચરની જેમ કે મન્દીરોના ઓટલે અણગમતા અતીથીની જેમ, બેસી રહેવા સીવાય કોઈ રસ્તો જ નથી બચતો. હવે તો વીજ્ઞાન પણ કહે છે કે મગજને જેટલું એક્ટીવ રાખશો; અલ્ઝાઈમર્સ જેવા વ્યાધી તમારાથી દુર રહેશે. યાદ રાખો, તમને ગમતું કરવામાં, પહેરવામાં, ફરવામાં તમારે કોઈ ઉમ્મરની ચીંતા કરવાની જરુર નથી. તમારી લાઈફ છે, એમાં બીજા કહેવાવાળા કોણ છે વળી ?
અને આપણે ત્યાં આમેય કસરત કરીને શરીરને સુદૃઢ રાખવાનો મહીમા નથી. જો યુવાનીમાં જોગીંગ–સાઈક્લીંગ–સ્વીમીંગ–એક્સર્સાઈઝ–યોગ–પ્રાણાયામ માટે રોજનો એક કલાક પણ કાઢ્યો હોય, તો શરીર લાંબો સમય માટે ચુસ્ત–દુરસ્ત રહે એ કોઈને પણ સમજાય એવી વાત છે. પરંતુ કોઈને એવું કશું કરવું હોય નહીં; પછી શરીરને ઘડપણ વહેલું આંબી જાય એમાં શી નવાઈ ? આપણે રાજકારણીઓ કેટલા ભ્રષ્ટાચારી છે એની ટીકાઓ ઉછળી ઉછળીને કરીશું; પણ એમની નીયમીત લાઈફ–સ્ટાઈલ અને ખાવાપીવા પરના કંટ્રોલ વીશે એક હરફ સુધ્ધાં નહીં ઉચ્ચારીએ !
થોડા દીવસ પહેલાંના કેબીસીના એપીસોડમાં પત્રકાર સુમીત અવસ્થીએ બચ્ચનને સવાલ પુછેલો, ‘તમે આ ઉમ્મરે પણ સખત કામ કરો છો, રાત્રે સાવ ઓછી કહેવાય એવી ઉંઘ લો છો અને ખાવામાં માત્ર દાલ–રોટી. તો પછી આટલા બધા ઉધામા શા માટે કરો છો ? હવે શાંતીથી આરામ કરો ને !’ ત્યારે બચ્ચને એક જ વાક્યનો ક્લાસીક જવાબ આપેલો, ‘જબ તક યે શરીર ચલ રહા હૈ તબ તક તો કામ કરતા રહુંગા. ઔર અગર મૈંને કામ કરના બંદ કર દીયા તો ભાઈસા’બ, ક્યા કરુંગા ? મૈં તો બીમાર પડ જાઉંગા !!’
હજુ થોડા દીવસ પહેલાં જ બીગ બીએ લખેલું : ‘કશું પણ શીખવા માટે ક્યારેય મોડું નથી હોતું. સવાલ માત્ર શું શીખવું છે એ નક્કી કરવાનો જ હોય છે. જેમ કે હજી મારે કમ્પ્યુટર શીખવાનું છે. એક્ટીંગ શીખવાની છે. કોઈ વાદ્ય વગાડતાં અને ગાતાં શીખવાનું છે. કોઈ નવી ભાષા શીખવાની છે. પણ મને લાગે છે કે કશુંક નવું શરુ કરી દેવું જોઈએ. બાકીનું બધું આપમેળે પાછળ પાછળ આવશે…’ થેન્ક યુ અમીતજી, ફોર બીઈંગ ફોર એવર યંગ, એનર્જેટીક એન્ડ ઈન્સ્પીરેશન ફોર ઓલ ઓફ અસ !
–જયેશ અધ્યારુ – ( jayeshadhyaru@gmail.com )
‘દીવ્ય ભાસ્કર’ દૈનીક અખબારની બુધવારીય પુર્તી ‘કળશ’માં લેખક ઘણા સમયથી ‘મુડ ઈન્ડીગો’ નામક લોકપ્રીય કૉલમ કરે છે. એમનાં લખાણ જરા હટકે હોય છે. દેખાતી પરીસ્થીતીની બીજી બાજુનાં દર્શન તેઓ જુદે ખુણેથી બખુબી કરાવે છે. તા. ૧૮ ઑક્ટોબર, ૨૦૧૩ના ‘કળશ’માં પ્રકાશીત થયેલો આ લેખ, લેખકભાઈ શ્રી જયેશ અધ્યારુ અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર.. ઉત્તમ ગજ્જર..
લેખકસમ્પર્ક : એન-23, અસ્માકમ એપાર્ટમેન્ટ – વિભાગ-2, ટોરેન્ટ પાવર સબ સ્ટેશનની પાછળ, મકરબા-વેજલપુર રોડ, વેજલપુર, અમદાવાદ- 380 051 ગુજરાત, ભારત
મોબાઈલ : +91- 99247 70037 ઈ–મેલ : jayeshadhyaru@gmail.com
‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષ : નવમું – અંક : 284 – December 01, 2013
‘ઉંઝાજોડણી’માં સાભાર અક્ષરાંકન : ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com
@@@@@
More than 2,55,00,000 Gujarati Language lovers have visited
http://www.gujaratilexicon.com
More than 23,83,000 have visited Digital Bhagwadgomandal
http://www.bhagwadgomandal.com
More than 5,54,000 have visited Lokkosh
http://lokkosh.gujaratilexicon.com