બાર્લીવૉટર

July 12, 2009 by ગાંડાભાઈ વલ્લભ

બાર્લીવૉટર જવને ચારગણા પાણીમાં ઉકાળી, ત્રણચાર ઉભરા આવે ત્યારે  ઉતારી, એક કલાક ઢાંકી રાખી ગાળી લેવું. જવના આ પાણીને બાર્લીવૉટર કહે છે. એ તરસ, ઉલટી, અતીસાર, મુત્રકૃચ્છ્ર (પેશાબની અટકાયત અને બળતરા કરે તેવો રોગ), મુત્રદાહ, કીડનીનો દુખાવો, મુત્રાશયશુળ વગેરેમાં ફાયદો કરે છે. એકાદ ગ્લાસ જેટલું બાર્લીવૉટર સવાર-સાંજ પીવાથી ઉલટી, ઉબકા, અતીસાર-પાતળા ઝાડા, સોજો, દુખાવો, મુુત્રકષ્ટતા, મુત્રમાર્ગની બળતરા, પથરી, કીડનીનો સોજો તેમ જ દુખાવો વગેરેમાં ફાયદો થાય છે, તેમ જ મળ પણ સાફ ઉતરે છે. જેમને વારંવાર પથરી થયા કરતી હોય તેમને માટે બાર્લીવૉટર ખુબ જ ઉત્તમ છે.

બાળકોનું ચુર્ણ

July 10, 2009 by ગાંડાભાઈ વલ્લભ

બાળકોનું ચુર્ણ ‘બાલચાતુર્ભદ્ર ચુર્ણ.’ આ ઔષધમાં અતીવીષ, કાકડાશીંગી, નાગરમોથ અને લીંડીપીપર આ ચાર ઔષધ સરખા વજને લઈ, ખુબ ખાંડી બારીક વસ્ત્રગાળ ચુર્ણ બનાવી એરટાઈટ બોટલમાં ભરી રાખવું. ચણાના દાણા જેટલું ચુર્ણ અડધી ચમચી મધમાં સવારે, બપોરે અને રાત્રે ચટાડવાથી બાળકને વારંવાર થતી શરદી, છીંકો, ઉધરસ, તાવ, ઝાડા, અપચો, ગેસ, કબજીયાત, ઉલટી, ઉબકા વગેરે મટે છે. બાળકો માટેના આ ચાર સારાં(ભદ્ર) ઔષધોનું ચુર્ણ એટલે ‘બાલચાતુર્ભદ્ર ચુર્ણ.’

બાલરક્ષક ગુટીકા

July 9, 2009 by ગાંડાભાઈ વલ્લભ

બાલરક્ષક ગુટીકા એલચી, અજમોદ, જાયફળ, જાવંત્રી, તજ, લવીંગ, વાપુંભા, સફેદ મરી, વાવડીંગ, સુવા, સંચળ, હરડે, કરીયાતુ, કાચકા, એળીયો, અતીવીષ, દાડમછાલ, પીપરીમુળ, વાંસકપુર, હીરાબોળ, ખસખસ, લોબાન અને કેસર આ ત્રેવીસ ઔષધો સમાન ભાગે લઈ ખાંડીને બારીક ચુર્ણ બનાવવું. એને મધમાં બરાબર ઘુંટી મગ જેવડી ગોળી બનાવવી. આ ગોળીને બાલરક્ષક ગુટીકા કહે છે.  આ ગોળી બાળકોના પાતળા ઝાડા, મંદાગ્ની, વાયુ, અપચો, ઉલટી, કબજીયાત અને નબળાઈ મટાડે છે. બાળકને દુધ સારી રીતે પચે છે. બાળક બળવાન બને છે. બાળકોના બધા રોગોમાં ખુબ જ ઉપયોગી છે. છ મહીના સુધીના બાળકને એકથી બે ગોળી, છથી બાર મહીનાના બાળકને બેથી ચાર ગોળી અને મોટાં બાળકને થોડી વધારે, માતાના ધાવણ સાથે આપવી.

બાલજીવનવટી

July 7, 2009 by ગાંડાભાઈ વલ્લભ

બાલજીવનવટી એળીયો પ ગ્રામ, ગોરોચન ૨.૫ ગ્રામ, કેસર, જવખાર, રેવંચીનો શીરો, દારુડીનાં બી અને ભોંયરીંગણીનાં ફુલોનું કેસર દરેક ૧૦ ગ્રામને ખાંડીને બનાવેલા બારીક ચુર્ણને છ કલાક આદુના રસમાં વાટી-ઘુંટી મગના દાણા જેવડી બનાવેલ ગોળીને બાલજીવનવટી કહે છે. આ ગોળી માતાના ધાવણ સાથે બાળકને આપવાથી વરાધ-સસણી, મળાવરોધ, મુત્રત્યાગમાં અવરોધ, આફરો, ગૅસ, શ્વાસ(દમ), ઉધરસ વગેરે મટે છે.

બાજરી

July 6, 2009 by ગાંડાભાઈ વલ્લભ

બાજરી બાજરીમાં ઘઉં જેટલાં જ પોષક તત્ત્વો છે, પરંતુ ચરબીનું પ્રમાણ ઘઉં કરતાં વધારે છે. આથી અતીશય પરીશ્રમ કરનાર માટે બાજરી સારી છે. પરંતુ મેદસ્વી માટે સારી નથી. બાજરી હૃદય માટે હીતકર, બળ આપનાર, પચવામાં ભારે, ગરમ, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, પીત્તપ્રકોપક તથા પીત્ત વધારનાર, રુક્ષ, પૌષ્ટીક, ભુખ લગાડનાર, થોડા પ્રમાણમાં મળને બાંધનાર, અને કફનાશક છે. સ્ત્રીઓમાં કામવેગ ઉત્પન્ન કરનાર છે. ભેંસના દુધ સાથે બાજરીનો રોટલો ખુબ જ પૌષ્ટીક અને પથ્ય આહાર છે. ઘી કે માખણ ચોપડેલો બાજરીનો રોટલો ખુબ મીઠો લાગે છે. થોડા અંશે કબજીયાત કરતી હોવાથી કબજીયાત અને હરસના દર્દીએ સાવધાનીથી એનો ઉપયોગ કરવો જોઈએ.

બહેડાં

July 5, 2009 by ગાંડાભાઈ વલ્લભ

બહેડાં બહેડાંનું વૃક્ષ ઘણું જ ઉંચું, વીસ્તારવાળું અને હરડેના વૃક્ષ જેવું હોય છે. એને ગોળ ફળ આવે છે તેને ‘બહેડાં’ કહે છે. બહેડાં કડવાં, તીખા, તુરાં, પચવામાં હલકાં, મળને સરકાવનાર, પચી ગયા પછી મધુર, ઉષ્ણ અને સ્પર્શમાં શીતળ છે. મળને તોડનાર, આંખ માટે હીતકારક તથા કેશવર્ધક છે અને કફ, પીત્ત, ઉધરસ, કૃમી, સ્વર બેસી જવો, નાકના રોગો, રક્તદોષ તથા હૃદયરોગનો નાશ કરે છે. આ વીકારોમાં અડધી ચમચી જેટલું બહેડાનું ચુર્ણ બે ચમચી મધ સાથે દીવસમાં બે વાર લેવું. બહેડાની છાલનો ટુકડો ચુસવાથી કફ વગરની સુકી ઉધરસમાં તરત શાંતી થાય છે. પીચોટી ખસી ગઈ હોય તો ચાર ચમચી બહેડાની છાલનો રસ રોજ સવારે ત્રણથી ચાર દીવસ પીવાથી લાભ થાય છે. પાંચે પાંચ પ્રકારના દમ-શ્વાસના રોગમાં બહેડાનો ઉપયોગ કરી શકાય છે. બાફેલા બહેડાના એક ચમચી પેસ્ટને એટલા જ મધ સાથે મીશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે ચાટવાથી સર્વ પ્રકારના દમ-શ્વાસ મટે છે.

બથવો

July 4, 2009 by ગાંડાભાઈ વલ્લભ

બથવો બથવાની ભાજી પચ્યા પછી તીખી, કૃમીનાશક, બુદ્ધીવર્ધક, જઠરાગ્ની પ્રજ્વલીત કરનાર અને બળ આપનાર છે. આ ભાજીમાં ખનીજતત્ત્વો ખુબ સારી માત્રામાં છે. જમવામાં રુચી ઉત્પન્ન કરનાર અને મળને સરળતાથી ઉતારનાર છે. બથવો ત્રીદોષનાશક છે એટલે કે વાયુ, પીત્ત અને કફ ત્રણેનો નાશ કરનાર છે. આ ઉપરથી કહી શકાય કે, આ ત્રીદોષઘ્ન ભાજીનું મુલ્ય આરોગ્યની દૃષ્ટીએ ઘણું સારું છે.

બદામ

July 3, 2009 by ગાંડાભાઈ વલ્લભ

બદામ બદામ ગરમ, સ્નીગ્ધ, વાયુને હરનાર, વીર્ય વધારનાર અને પચવામાં ભારે છે. બદામનો ગર્ભ મધુર, વીર્ય વધારનાર, પીત્ત તથા વાયુને મટાડનાર, સ્નીગ્ધ અને ગરમ છે. એ કફ કરનાર છે.

બટાટા

July 2, 2009 by ગાંડાભાઈ વલ્લભ

બટાટા બધી જાતના બટાટા ઠંડા, ઝાડાને રોકનાર, મધુર, ભારે, મળ તથા મુત્રને ઉત્પન્ન કરનાર, રુક્ષ, પચવામાં ભારે, રક્તપીત્ત મટાડનાર, કફ તથા વાયુ કરનાર, બળ આપનાર, પીત્તશામક, કબજીયાત કરનાર, કામોત્તેજક, વીર્યને વધારનાર અને અલ્પ પ્રમાણમાં અગ્નીને વધારનાર છે. બટાટા પરીશ્રમી, પરીશ્રમથી નીર્બળ બનેલા, રક્તપીત્તથી પીડાતા, શરાબી અને તેજ જઠરાગ્નીવાળાઓ માટે અતી પોષક છે. જેને ગૅસ થતો હોય તેણે બટાટા ન ખાવા. બટાટા સ્વાદે મધુર અને વીપાકે પણ મધુર છે. આથી બટાટા પીત્તશામક છે. બટાટા કફકારક, પચવામાં ભારે અને કાર્બોહાઈડ્રેટથી ભરપુર હોવાથી મેદની તકલીફવાળાએ, ડાયાબીટીસવાળાએ તથા જેની પાચનક્રીયા નબળી હોય તેમણે બટાટા કદી ખાવા જ નહીં જોઈએ. વાયુના રોગોમાં પણ બટાટા ત્યાજ્ય છે. (૧) શરીરના ઉપરના કે નીચેના માર્ગેથી રક્તસ્રાવ થતો હોય તો બટાટાનો સાકરમાં બનાવેલો શીરો ખાવો. (૨) બટાટા બાફી પેસ્ટ જેવું બનાવી, ખરજવા પર મુકી પાટો બાંધી દેવાથી ભીનું કે સુકું-જુનું ખરજવું નીર્મુળ થઈ જાય છે.

ફુદીનો

June 30, 2009 by ગાંડાભાઈ વલ્લભ

ફુદીનો ફુદીનો સ્વાદુ, રુચીકર, હૃદ્ય(હૃદયને હીતકર), ઉષ્ણ, દીપન, વાયુ અને કફનો નાશ કરનાર તથા મળમુત્રને અટકાવનાર છે. એ ઉધરસ, અજીર્ણ, અગ્નીમાંદ્ય, સંગ્રહણી, અતીસાર, કૉલેરા, જીર્ણજ્વર અને કૃમીનો નાશ કરનાર છે. એ ઉલટી અટકાવે છે, પાચનશક્તી વધારે છે, તથા પીત્ત કરે તેવું બગડેલું ધાવણ સુધારે છે. એમાં વીટામીન ‘એ’ સારા પ્રમાણમાં છે. વીટામીનની દૃષ્ટીએ ફુદીનાનું સેવન તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન છે. (૧) ફુદીનો અને આદુનો રસ અથવા ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી ટાઢીયો તાવ મટે છે. વળી તેનાથી પરસેવો વળી કોઈ પણ પ્રકારનો તાવ પણ મટે છે. (૨) વાયુ અને શરદીમાં પણ એ ઉકાળો ફાયદો કરે છે. (૩) ફુદીનાનો રસ મધ સાથે મેળવી  દર બે કલાકે આપવાથી ન્યુમોનીયાથી થતા અનેક વીકારો અટકી જઈ ન્યુમોનીયા ઘણી ઝડપથી મટી જાય છે. (૪) ફુદીનાનો રસ મધ સાથે લેવાથી આંતરડાની ખરાબી અને પેટના રોગો મટે છે. આંતરડાંની લાંબા સમયની ફરીયાદવાળા માટે ફુદીનાના તાજા રસનું સેવન અમૃત સમાન ગણાય છે. (૫) ફુદીનાનું શરબત પીવાથી કૉલેરા મટે છે. (૬) ફુદીનાનો રસ નાકમાં પાડવાથી પીનસ-સળેખમમાં ફાયદો થાય છે. (૭) ફુદીનાનો રસ દાદર પર વારંવાર ચોપડવાથી ફાયદો કરે છે. (૮) વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે એનાં પાન ચાવવાથી રાહત થાય છે.