ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
સારીવા : સારીવાને કપુરમધુરી, ઉપલસરી, કાબરી, હરીવો વગેરે કહે છે. એનાં પાન કાબરચીતરાં હોય છે. તેની સુગંધ મીઠી મનમોહક હોય છે. એને અનંતમુળ પણ કહે છે.
સારીવા મધુર, ગુરુ, સ્નીગ્ધ, વર્ણ માટે હીતકારી, મળને બાંધનાર, ધાવણ શુદ્ધ કરનાર, દાહ શાંત કરનાર, ત્રીદોષનાશક, રક્તવીકાર, તાવ, ચળ, કુષ્ટ, પ્રમેહ, શરીરની દુર્ગંધ, અરુચી, અગ્નીમાંદ્ય, દમ, ખાંસી, ત્વચાના રોગો, વીષ અને અતીસારને મટાડે છે. ઉપરાંત મુત્રવીરચનીય, પરસેવો લાવનાર, સોજો મટાડનાર અને રસાયન છે.
સારીવા-અનંતમુળની કપુરકાચલી અને ચંદન જેવી મીશ્ર સુગંધ મધુર, આહ્લાદક, સુંઘ્યા જ કરીએ, ભુલી ન શકાય તેવી હોય છે. જે સારીવાના મુળીયામાં સુગંધ આવતી હોય તેનો જ ઔષધમાં ઉપયોગ કરવો. સારીવાનાં મુળ બજારમાં મળે છે. એ રક્તશુદ્ધીની અપ્રતીમ દવા છે.
(૧) કોઠે રતવા હોય, વારંવાર કસુવાવડ થઈ જતી હોય, બાળક જન્મતાં જ મરી જતું હોય તો તેને માટે સારીવા ઉત્તમ ઔષધ છે. એમાં અડધી ચમચી સારીવા-મુળનું ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવું.
(૨) લોહી-બગાડ અને ત્વચાના રોગમાં અનંતમુળ અને ગળોનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ અડધીથી એક ચમચી પાણી સાથે ફાકી જવું.