ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
સફરજન : સફરજનમાં શરીરનાં વીજાતીય દ્રવ્યોનો નાશ કરવાનો ખાસ ગુણ રહેલો છે.
એ સંગ્રહણી, મરડો અને અતીસારમાં સારું ગણાય છે. એ ગ્રાહી છે એટલે કે પાતળા મળને બાંધીને રોકે છે. સફરજનમાં પોટેશ્યમ અને મેલીક એસીડ જેવા અગત્યના પદાર્થો છે. એનો મુરબ્બો સંગ્રહણી-અતીસારમાં ખુબ સારો છે.
એ રસાયન ઔષધ છે. રોજનું એક સફરજન ખાવાથી તંદુરસ્તી સારી રહે છે. એમાં રહેલું તીવ્ર એન્ટીઑક્સીડંટ શરીરના કોષોને નાશ પામતા અટકાવવામાં મદદરુપ થાય છે. લાલ છાલવાળા સફરજનમાં લીલી છાલવાળા કરતાં એન્ટીઑક્સીડન્ટ વધારે હોય છે.
સફરજન હૃદય, મગજ, લીવર અને હોજરીને બળ આપે છે, ભુખ લગાડે છે, લોહી વધારે છે અને શરીરની કાંતી વધારે છે. સફરજનને બાફીને કે સુપ બનાવીને પણ ખાઈ શકાય.
સફરજન મરડો, સંગ્રહણી, અતીસાર, આંતરડાનાં ચાંદાં-અલ્સરેટીવ કોલાયટીસમાં સારો ફાયદો કરે છે. પાચનશક્તી નબળી પડી ગઈ હોય, વારંવાર પાતળા ઝાડા થતા હોય કે કબજીયાત રહેતી હોય તો માત્ર સફરજન પર રહેવાથી ફાયદો થાય છે. જો દુધ માફક આવતું હોય તો સવાર-સાંજ દુધ અને બપોરે સફરજન લઈ શકાય. દુધ અને સફરજનની વચમાં એ પચી જાય એટલો સમયગાળો રાખવો જોઈએ, અને એટલા જ પ્રમાણમાં દુધ અને સફરજન ખાવાં જોઈએ. જો દુધ અનુકુળ ન આવતું હોય તો તાજા દહીંનો મઠો લઈ શકાય.