ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
વરણો એને વાયવરણો, કાગડાકેરી કે કોયોવડ પણ કહે છે. ૨૦થી ૩૦ ફુટ ઉંચું આ ઝાડ બધે જ થાય છે. એના સાધારણ કદનાં ઝાડ કોંકણમાં ખુબ થાય છે. તેનાં પાન બીલી જેમ ત્રીદલ હોય છે. પાનની ગંધ ઉગ્ર હોય છે અને દાંડી એરંડાની જેમ લાંબી હોય છે. પાન ખુબ કડવાં હોય છે, આથી એની ભાજીમાં ડુંગળી વધારે નાખવી પડે છે. એની છાલ ખુબ ગરમ છે, આથી દુખાવાના સ્થાન પર એનો લેપ કરવામાં આવે છે.
વરણો અને સરગવો ગુણમાં લગભગ સરખા છે. વરણો ગરમ છે એટલે તે જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે અને આહારનું પાચન કરાવે છે. ભુખ ન લાગતી હોય તેને માટે વરણાનું સેવન આશીર્વાદ સમાન છે. યકૃતવૃદ્ધી, મુત્રાવરોધ, મુત્રકષ્ટ, પ્રોસ્ટેટ(પુરુષાતન ગ્રંથી), પથરી અને સોજામાં આ વાયવરણો અકસીર ઔષધ છે.
(૧) વાયવરણાના મુળ અને છાલનું અડધીથી એક ચમચી ચુર્ણ એક ગ્લાસ પાણીમાં મંદ તાપે અડધા કપ જેટલું બાકી રહે ત્યાં સુધી ઉકાળી સવાર-સાંજ પીવાથી ઉપરોક્ત બધી તકલીફ મટે છે.
(૨) શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ થઈ હોય તો તેના પર વરણાની છાલનો લેપ કરવાથી થોડા દીવસોમાં ગાંઠ ઓગળીને બેસી જાય છે.
(૩) બરોળ અને લીવરના સોજા પર વરણાની છાલનો ઉકાળો સવાર-સાંજ પીવાથી સોજો મટી જાય છે. એક ચમચી છાલના ભુકાનો ઉકાળો કરી પીવો.
(૪) વાયવરણો, સુંઠ, જવખાર, ગોળ અને ગોખરુંનો ઉકાળો પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.
(૫) વરણો અને સરગવાની છાલનો ઉકાળો પીવાથી પેશાબના રોગો અને પથરી મટે છે.
(૬) પેશાબ અટકી જતો હોય, જોર કરવાથી અટકી અટકીને આવતો હોય તો વરણો, સરગવો અને ગોખરુ સમાન ભાગે લઈ ઉકાળો કરીને પીવો.
(૭) કાન નીચે મમ્પસ-ગાલપચોળીયા-લાપોટીયાનો સોજો આવ્યો હોય તો વરણાની છાલનું ચુર્ણ અને હળદરનું સમાન ભાગે મીશ્રણ કરી લેપ કરવાથી લાપોટીયું મટે છે.
(૮) આંતરડાનો અંદરનો સોજો, એપેન્ડીસાઈટીસ, ફેરીન્જાયટીસ, પેરીકાઈટીસ વગેરે સવાર-સાંજ વરણો અને સાટોડીનો ઉકાળો પીવાથી મટે છે.
(૯) વરણો પેટમાં આહારનો સડો અને વાછુટની દુર્ગંધ મટાડે છે. જેને ઉર્ધ્વ વાયુથી ઓડકાર આવતા હોય, વાયુથી પેટ ફુલી જતું હોય તેને વરણો સારો ફાયદો કરે છે. એ વાયુની ગતી અધોગામી કરે છે.
(૧૦) યકૃતની ક્રીયાને સુધારનાર હોવાથી તે પીત્તસારક ગણાય છે. આથી તે પીત્તની પથરી(ગોલ બ્લેડર)માં ખુબ જ હીતાવહ છે.
(૧૧) હરસ સુકા હોય તો વરણાનો ઉકાળો સવાર-સાંંજ પીવાથી ફાયદો થાય છે.
(૧૨) પાકેલા ગુમડા પર વરણાના પાનનો લેપ કરવાથી ગુમડું પાકીને ફુટી જાય છે.