ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
કુંવારપાઠાને અંગ્રેજીમાં યલો પ્લાન્ટ કહે છે. એના પાનના ગર્ભને લાબુ કહે છે, તથા છોડને પણ કેટલાક લોકો લાબુ કહે છે. એને બહુ પાણીની જરુર નથી. રેતીમાં એ બહુ સારી રીતે થાય છે. દરીયા કીનારે વધુ ફુલે ફાલે છે. ભારતમાં બધે જ થાય છે, પણ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં વધુ થાય છે. જમીનમાં કે કુંડામાં જામી ગયા પછી તેનાં જાડાં દળદાર રસભર્યાં પાન ચોતરફ કાઢે છે. કુંવારપાઠાના છોડ બેત્રણ ફુટ ઉંચા અને દળદાર લાંબાં અણીયારા પાનવાળા થાય છે. પાનને કીનારે ધાર પર અણીદાર કાંટા હોય છે.
કુંવારના પાનની વચ્ચે જ કારતક-માગસરમાં લાંબો પુષ્પદંડ નીકળે છે, જેને શેલડા કે શેલરા કહે છે. એ સ્વાદીષ્ટ અને આરોગ્યપ્રદ હોય છે. એનું શાક અને અથાણું થાય છે. કુંવારની મીઠી અને કડવી બે જાતો થાય છે. કડવી જાતનાં પાન જાડાં, રસદાર અને ગરભથી ભરેલાં હોય છે. મીઠી કુંવારનાં પાન ઓછાં જાડાં અને નાનાં હોય છે. ગુણોની દૃષ્ટીએ બંને સરખી હોવાથી દવામાં બંને વપરાય છે.
પાનની અંદરનો સુકવેલો ગરભ એળીયો કહેવાય છે. એનાં પાન કાંટાવાળી ધારવાળાં, ભરાવદાર, લાંબાં અને અંદરથી ઘી જેવી લુવાબથી ભરેલાં હોય છે. આ પાનમાં ખુબ ગર્ભ-ઘાટો રસ ભર્યો હોય છે. તેના ગર્ભને કાઢી થોડી વાર રાખવાથી રસ થઈ જાય છે. ચોમાસમાં આ છોડની વચ્ચેથી એક દાંડી નીકળે છે, જેના પર ફુલ આવે છે. ફુલ બહારથી નારંગી રંગનાં, અંદરથી પીળાશ પડતાં અને ઉગ્ર ગંધવાળાં હોય છે. આ ફુલ સાકર જેવાં મીઠાં હોય છે. ફુલની દાંડી અને પાન બંનેનાં અથાણાં થાય છે. આ અથાણાં યકૃત-લીવરના રોગોનું ઉત્તમ ઔષધ છે.
કુંવારપાઠાના રસમાંથી એળીયો બનાવવામાં આવે છે. એળીયો મળને ખસેડનાર અને રેચક છે, તથા માસીકની શુદ્ધી કરે છે અને માસીક નીયમીત લાવે છે. યકૃત અને બરોળનું એ ઉત્તમ ઔષધ છે. કુંવારપાઠુ ત્રીદોષહર છે.
લાબુ-કુંવારપાઠુ મળને ભેદનાર, શીતળ, કડવું, નેત્રને હીતકર, રસાયન, મધુર, બૃંહણ, બળકારક, વીર્યવર્ધક તથા વાયુ, વીષ, ગુલ્મ, પ્લીહા, યકૃત, વમન, કફ, જ્વર, ગ્રંથી, અગ્નીદગ્ધ વ્રણ, વીસ્ફોટ, રક્તપીત્ત અને ચામડીના રોગો દુર કરનાર છે. ટુંકમાં કુંવાર રેચક, શોધક અને પીત્તશામક છે. લાબુના પાન વચ્ચેનો ગર-માવો અડધી ચમચી જેટલો સવાર-સાંજ લેવો. કુમાર્યાસવમાં મુખ્ય ઔષધ કુંવારપાઠું છે. એનાથી લીવરના રોગો, બરોળ વધી જવી, સ્ત્રીઓની માસીક સંબંધી વીકૃતીઓ, અકાળે માસીક બંધ થઈ જવું વગેરે મટે છે. પાંડુરોગ તથા રક્તાલ્પતામાં એ સારું પરીણામ આપે છે.
(૧) કુંવારના પાનને છરી વડે ચીરી ગર્ભ કાઢી તેમાં હળદર મેળવીને કમળાના રોગીને આપવાથી લાભ થાય છે. આ ગર્ભને ચોળી નાખવાથી રસ બને છે. આ રસ પણ એકથી બે ચમચી પીવાથી કમળો મટે છે.
(૨) આર્તવના દોષો, હરસ, આફરો, ગોળો અને કબજીયાતમાં કુંવારનો ગર્ભ અને હળદરથી ફાયદો થાય છે.
(૩) કુંવારપાઠાના લાબાને દાઝેલા ભાગ પર લગાડવાથી ગમે તેવી બળતરા શાંત થાય છે, પાક થતો નથી અને પાક થયો હોય તો રુઝાઈ જાય છે.
(૪) આંખ આવી હોય તો લાબાને આંખમાં આંજવાથી આંખનો સોજો, ચીપડા, દુ:ખાવો, બળતરા, રતાશ વગેરે ખુબ ઝડપથી મટે છે.
(૫) કુંવારપાઠાનું ઘી જેવું લાબુ ૧-૧ ચમચી સવાર-સાંજ ખાવાથી લીવર અને બરોળના રોગો મટે છે. લોહીની ઓછપ ઘટે છે. શક્તી વધે છે. થાક અને દુર્બળતા દુર થાય છે.
(૬) માસીક સાફ આવતું ન હોય, ઓછું આવતું હોય, દુ:ખાવા સાથે આવતું હોય કે માસીકની બીજી કોઈ પણ ફરીયાદ હોય તો કુંવારપાઠાના નીયમીત સેવનથી તે મટે છે.
(૭) હાલતા-દુઃખતા દાંત પર કુંવારપાઠાનો રસ ઘસવાથી અને તેનો ટુકડો ચાવવાથી રાહત થાય છે.
(૮) આંખમાં કુંવારપાઠાનો રસ આંજવાથી આંખની તકલીફમાં રાહત થાય છે.
(૯) કુંવારપાઠું ડાયાબીટીસમાં અકસીર છે.
(૧૦) કાયમી ગૅસ, લીવર કે બરોળની તકલીફ, ભુખ ન લાગવી, અજીર્ણ, શુળ, અપચો, વગેરેમાં ઘઉંના લોટમાં કુંવારપાઠાનો રસ નાખી રોટલી-ભાખરી બનાવી ખાવાથી લાભ થાય છે.
(૧૧) કુંવારપાઠાનો એકથી દોઢ ઈંચ લાંબો ટુકડો સવાર-સાંજ ખાવાથી કબજીયાત દુર થાય છે.
(૧૨) કુંવારપાઠાનો એક ચમચો રસ દીવસમાં ત્રણ વાર લેવાથી તેમ જ પેટ પર તેનો લેપ કરવાથી જલંધરમાં રાહત થાય છે.
(૧૩) કુંવારપાઠાના પાનના કાંટા કાઢી, વાટીને હળદર-મીઠું ભેળવી થોડું ગરમ કરી ગાંઠ કે સોજા પર લગાડવાથી રાહત થાય છે.
(૧૪) મોં આવ્યું હોય તો કુંવારનો રસ સાકર સાથે લેવો.
(૧૫) એસીડીટીમાં કુંવારનો રસ થોડી સાકર નાખીને લેવાથી રાહત થાય છે.
(૧૬) કુંવારપાઠાના રસમાં અડધી ચમચી હળદર નાખી દીવસમાં બે વાર પીવાથી તાવમાં રાહત થાય છે. કપાળ અને પગના તળીયે તેનો રસ ઘસવાથી તાવ તરત ઉતરી જાય છે.
(૧૭) થાઈરૉઈડમાં કુંવારનો દોઢથી બે ઈંચનો ટુકડો ખાવાથી ફાયદો થાય છે. હળદર-અને મીઠું નાખેલો કુંવારનો રસ ગરમ કરી ગળા પર લેપ કરવાથી રાહત રહે છે.
(૧૮) કુંવારરસના સેવનથી યુવાની લાંબો સમય ટકી રહે છે.
(૧૯) શરીરના ખુલ્લા અંગો પર કુંવારપાઠું ઘસવાથી વાતાવરણની અશુદ્ધીઓની અસર થતી નથી. ચામડીનો વાન ઉજળો થાય છે.
(૨૦) માથાના વાળના રક્ષણ માટે તેની છાલ ઉતારી અંદરના ગર્ભને માથામાં ઘસી, વાળ સુકવી દેવા. થોડા સમય બાદ માલીસ કરી માથું ધોઈ નાખવાથી વાળ ચમકદાર કાળા બને છે, તથા વાળની વૃદ્ધી પણ થાય છે.
(૨૧) કુંવારનો ગર્ભ સાકર નાખી પીવાથી તાવનો દાહ શાંત થાય છે.
(૨૨) કુંવારનો રસ મોઢે ચોપડવાથી મોઢાનાં કાળાં ધાબાં-ડાઘા દુર થાય છે.
(૨૩) કુંવારનો રસ હળદર મેળવી પીવાથી બરોળ અને યકૃતની વૃદ્ધી મટે છે.
(૨૪) કુંવારના પાનના રસમાં હળદર, મધ અને સીંધવ મેળવી સવાર-સાંજ પીવાથી શ્વાસ-દમમાં કફ છુટો પડે છે.
(૨૫) અડધી ચમચી કુંવારનો ગર્ભ ખાઈને ઉપર એક ગ્લાસ ગરમ દુધ પીવાથી મળ એકદમ સાફ ઉતરે છે.
કુમાર્યાસવઃ કુંવારપાઠું (લાબુ કે લાબરું)માંથી બનાવવામાં આવતી એક પ્રવાહી દવાનું નામ છે કુમાર્યાસવ. ઘણી ફાર્મસીઓ આ દવા બનાવે છે. સારી ફાર્મસીની આ દવા ચારથી છ ચમચી જેટલી દરરોજ સવાર-સાંજ લેવાથી અનીયમીત માસીક, ઓછું માસીક, વધુ પડતું માસીક, કષ્ટદાયી માસીક વગેરે ત્રણથી ચાર માસના ઉપચારથી મટી જાય છે. વળી એનાથી ગર્ભાશયનો ક્ષય, વાતવ્યાધી, અપસ્માર, ઉધરસ, ક્ષય, આઠ પ્રકારના ઉદર રોગો, મંદાગ્ની, લીવરના રોગો, હરસ, બરોળના રોગો, સ્ત્રીબીજ ન બનવું વગેરે અનેક રોગોમાં પણ ફળદાયી પરીણામ મળે છે.