The Economist 18 January 2020માંથી ટુંકાવીને
કેટલાક લોકોને સ્કીઈંગના અકસ્માતથી કમરમાં દુખાવો ઉપડે છે, તો કોઈકને કારના અકસ્માતથી. વળી કેટલાક લોકોને માત્ર જમીન પરથી મોજાં ઉંચકતાં જ કમરમાં સખત દુખાવો ઉપડે. પણ મોટા ભાગનાં લોકોને થતા કમરના દુખાવા માટે ડોક્ટરોને કોઈ પણ શારીરીક કારણ મળતું હોતું નથી. એ એમના માટે એક રહસ્ય છે. આથી જ કમરના દુખાવામાં જે સારવાર ડોક્ટરો દ્વારા આપવામાં આવે છે તે ભુલભરેલી જ હોય છે. ડોક્ટરો તરત જ દર્દશામક દવા લખી આપે છે જેની દર્દીને ટેવ પડી જાય છે, પણ રોગ જતો નથી, કેમ કે દર્દશામક દવા માત્ર દર્દનું ભાન થવા દેતી નથી એટલું જ, એ કંઈ રોગ મટાડતી નથી હોતી. વળી ડોક્ટરો MRI ટેસ્ટ કરાવે છે, જે લગભગ 80% કીસ્સામાં કમરના દુખાવામાં બીનજરુરી હોય છે. ઘણું ખરું આ ટેસ્ટમાં મણકો ખસી ગયો છે એમ બતાવે છે. પણ કોઈપણ પ્રકારનો કેડનો દુખાવો ન હોય તેવા લોકોમાં પણ મણકો સહેજ ખસેલો જોવા મળે છે. છતાં લોકો એનું ઓપરેશન કરાવે છે, જે ઘણા કીસ્સાઓમાં ફાયદાકારક નીવડતું હોતું નથી.
મોટા ભાગના કમરના દુખાવામાં દવા એ યોગ્ય ઉપાય નથી, પણ અમુક પ્રકારની કસરતો. જેમ કે તાડાસન એટલે કે ટટાર ઉભા રહી હાથ ઉપર ઉઠાવવા, કમર સહીત આખા શરીરને ઉપરની તરફ ખેંચવું. શારીરીક કામ કરવાનું ચાલુ રાખવું, પથારીમાં પડ્યા રહેવું નહીં. એનાથી તો દર્દ વધશે. સમસ્યા કદાચ તમારી કમરમાં છે જ નહીં, કદાચ મગજની દર્દસંદેશાવાહક પ્રણાલીમાં ક્યાંક ખામી હશે અને વૈદકવીજ્ઞાનને એમ કેમ થાય છે તેની માહીતી જ નથી. દર્દ કદાચ અંશતઃ મનોવૈજ્ઞાનીક પણ હોઈ શકે. સ્ટ્રેસને લીધે પણ હોય. જેમને બાલ્યાવસ્થામાં કોઈ માનસીક આઘાત લાગ્યો હોય તેમને આધેડવયે કમરનો દુખાવો થવાની શક્યતા રહે છે. મોટા ભાગના કીસ્સાઓમાં યોગ્ય કસરત અને સમયનું વહેવું દુખાવો દુર કરી દે છે. અને ઓપરેશનની સરખામણીમાં એમાં ખાસ કંઈ ખર્ચ નથી કે કેસ હાથમાં ન રહે એવી શક્યતા નથી.
ડોક્ટરો કમરના દુખાવા બાબત ભુલ કરે છે, એનાં કારણો છે. સખત દુખાવાને કારણે લોકો તરત જ કંઈક ઉપાય કરવાનો આગ્રહ રાખે છે. ડોક્ટર માટે તો આવી સારવાર કારગત નહીં નીવડે એવું કહેવા કરતાં દર્દશામક દવા લખી આપવાનું, સ્કેન કરવાનું કે ઈન્જેક્શન આપવાનું બહુ જ સરળ છે. વળી એનાથી એમને કમાણી પણ વધારે થાય.
(આયુર્વેદ અનુસાર સામાન્ય રીતે શરીરમાં થતા દુખાવાનું કારણ વાયુવીકાર હોય છે. આમ અહીં ઉપર જે જણાવવામાં આવ્યું છે કે સુઈ ન રહેતાં કંઈ ને કંઈ પ્રવૃત્તી કરવાનું ચાલુ રાખવાથી, અમુક કસરત કરવાથી કે સમય પસાર થતાં દુખાવો કેટલીકવાર જતો પણ રહે છે. એ બતાવે છે કે દુખાવાનું કારણ વાયુવીકાર હતું. -ગાંડાભાઈ)