ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
લવીંગ : લવીંગ સુગંધી, આહારનું પાચન કરનાર, ભુખ લગાડનાર, વાયુને હરનાર, ઉત્તેજક, સ્ત્રીદોષહર, કફનાશક, તીખું, હલકું, શીતવીર્ય, રુચી ઉત્પન્ન કરાવનાર, વમન, આફરો, તરસ, ગેસ-ગોળો, શુળ-આંકડી, ઉધરસ, શ્વાસ, શરદી, કફજ્વર, ક્ષય વગેેરેનો નાશ કરનાર છે.
લવીંગ કડવું, નેત્રને હીતકારી, ઠંડું, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, ભોજન પર રુચી ઉપજાવનાર અને પીત્ત, લોહીના રોગો, તરસ, ઉલટી, હેડકી, શ્વાસને મટાડે છે.
લવીંગ દીપન અને પાચન બંને વધારનાર છે. એમાં સડો દુર કરવાનો ઉત્તમ ગુણ હોવાથી દાંત, મોં તથા કફની દુર્ગંધ દુર કરે છે. ખાદ્ય સામગ્રી સાથે એનો ઉપયોગ કરવાથી ગૅસ, વાછુટ અને મળની દુર્ગંધ દુર થાય છે.
વળી લવીંગ અરુચી, મંદાગ્ની, ઉબકા, ઉલટી, કફના રોગો, તરસ, ગૅસ અને આફરો મટાડે છે.
ખાદ્ય વાનગીઓમાં એનો ઉપયોગ કરવાથી તે સ્વાદીષ્ટ અને સુપાચ્ય બને છે.
(૧) શરદીમાં લવીંગનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે.
(૨) લવીંગનું તેલ દાંત પર મુકવાથી દાંતનો દુ:ખાવો તરત જ મટે છે.
(૩) એકાદ–બે લવીંગ મોંમાં રાખવાથી મોંમાં લાળ અને હોજરીમાં પાચક રસોનો સ્રાવ થાય છે.
(૪) પાતળા ઝાડા થતા હોય તો લવીંગ નાખી ઉકાળી ઠંડુ કરેલ પાણી પીવાથી લાભ થાય છે. એકાદ-બે લવીંગ મોંમાં રાખવાથી મોંમાં લાળ અને હોજરીમાં પાચક રસોનો સ્રાવ થવાથી પાચનક્રીયા સુધરે છે.
(૫) મરડો, ઝાડા, આફરો, ઉદરશુળ, દમ-શ્વાસનો હુમલો વગેરે પણ લવીંગથી મટે છે.
(૬) ખાદ્યસામગ્રી સાથે તેના ઉપયોગથી ગૅસ-વાછુટ અને મળની દુર્ગંધ દુર થાય છે.
(૭) માથું દુખતું હોય તો કપાળ પર લવીંગ ચોપડવાથી તરત રાહત થાય છે. બે લવીંગ ચાવવાથી કફ-ઉધરસમાં રાહત થાય છે અને મોઢાની દુર્ગંધ મટે છે.
(૮) લવીંગ મોઢામાં રાખી ચુસવાથી સગર્ભાની ઉલટી, ઉબકા શાંત થાય છે. લવીંગનું ચુર્ણ મધમાં મીશ્ર કરી ચટાડવાથી પણ સગર્ભાની ઉલટીઓ શાંત થાય છે.
(૯) પાંચથી સાત લવિંગનું ચુર્ણ એક ચમચી મધમાં સવાર સાંજ ચાટવાથી કફના રોગો મટે છે.
લવીંગાદી ચુર્ણ : લવીંગ, એલચી, તજ, નાગકેસર, કપુર, જાયફળ, શાહજીરુ, વાળો, સુંઠ, કાળું અગર, વાંસકપુર, જટામાંસી, નીલકમળ, પીપર, ચંદન, ચણકબાબ, તગર આ દરેક ઔષધ વીસ-વીસ ગ્રામ અને સાકર બસો ગ્રામ લઈ બારીક ચુર્ણ કરવું. એને લવીંગાદી ચુર્ણ કહે છે. એક ચમચી ચુર્ણ બે ચમચી મધમાં સવાર-સાંજ લેવાથી કફના રોગો, ખાંસી, હેડકી, ગળાના રોગો, શરદી, છીંકો વગેરે મટે છે. ઘી સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે.